Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

ઘંટેશ્વર ૨૫ વારીયામાં ૧૧ વર્ષનો પૃથ્વી વાળા રમવા જવાનુ કહી નિકળ્યા બાદ લાપત્તા

દાદી હિરાબેન વાળાની ફરીયાદ પરથી અજાણ્યા શખ્સ સામે ગુનો

રાજકોટ, તા. ૪ :. શહેરના ઘંટેશ્વર એસઆરપી કેમ્પ પાછળ ૨૫ વારીયા કવાર્ટરમાં રહેતો ૧૧ વર્ષનો બાળક ઘરેથી રમવા જવાનુ કહી નિકળ્યા બાદ પરત ન આવતા યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરીયાદ થઈ છે.

મળતી વિગત મુજબ ઘંટેશ્વર પાસે ૨૫ વારીયા કવાર્ટર નં. ૩૨૩માં રહેતા હિરાબેન હકાભાઈ વાળા (ઉ.વ. ૬૦)એ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ છે કે પોતાને સંતાનમાં બે દીકરા છે. જેમાં પુત્ર પંકજના બાર વર્ષ પહેલા અરૂણા સાથે લગ્ન પડધરીના જીવાપર (ખાખરા) ખાતે થયા હતા. તેને લગ્ન જીવન દરમિયાન એક પુત્ર અને એક પુત્રી છે. પોતાના પુત્ર પંકજને પત્નિ અરૂણા સાથે અવારનવાર ઝઘડા થતા તે આઠ મહિનાથી ઘર છોડી જતો રહ્યો છે અને પુત્રવધુ છેલ્લા ૧૫ દિવસથી પૌત્રી ટ્વીન્કલને લઈને જતી રહી છે. જ્યારે પૌત્ર પૃથ્વી (ઉ.વ.૧૧) પોતાની સાથે રહે છે. ત્રણ દિવસ પહેલા પૌત્ર પૃથ્વી 'હું બહાર રમવા માટે જાવ છું' તેમ કહી ઘરેથી નિકળ્યો હતો. રાત્રે ૯ વાગ્યા સુધી પૃથ્વી પરત ન આવતા પોતે તેને ફોન કરીને પૂછતા 'હું હમણા જ ઘરે આવુ છું' તેમ કહી તેણે ફોન કાપી નાખેલ અને બાદ પોતે તેને ફરી ફોન કરતા તેનો મોબાઈલ ફોન બંધ આવતો હતો. બાદ પોતે આજુબાજુ અને સગાસંબંધીને ત્યાં તપાસ કરતા તેનો કોઈ પત્તો ન લાગતા યુનિવર્સિટી પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા પોલીસે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ અપહરણનો ગુનો દાખલ કરી પીઆઈ આર.એસ. ઠાકરે તપાસ હાથ ધરી છે.

(3:27 pm IST)