Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

મહાવીર જન્મ કલ્યાણક : કાલે સ્થાનકવાસી અને સોમવારે મૂર્તિપૂજકો દ્વારા ઘરેથી જ ઉજવણી

રાજકોટ, તા. ૪ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં ભગવાન મહાવીર જન્મજયંતિની  હાલના કોરોના વાયરસની પરિસ્થિતિમાં ઘરે જ રહી પ્રભુ ભકિત કરશે. જે અંતર્ગત અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોમાં શોભાયાત્રા, સમૂહ ભોજન, પ્રવચન, પ્રભાતફેરી  તમામ બંધ રખાયા છે. ચૈત્રસુદ ૧૩ એટલે જૈન ધર્મના ૨૪માં તીર્થકર શ્રી મહાવીર સ્વામીનું જન્મ કલ્યાણ પર્વ, આ પર્વને જન્મદિવસ કે જન્મજયંતિ ન કહેવાય પણ જન્મ કલ્યાણક કહેવાય છે. તેનું કારણ એ છે કે તીર્થ પરમાત્માનો જન્મ વિશ્વના સર્વ જીવોનું કલ્યાણ કરનારો છે. પ્રભુએ જન્મ ધારણ કરીને અજન્મા બનવાની સાધના કરી, જન્મ મરણના ચક્કરમાંથી કાયણ માટે મુકત બન્યા. મહાવીર સ્વામીએ જગતને અહિંસા, અનેકાન્તવાદ અને અપરીગ્રહના અણમોલ સંદેશ આપ્યા. વનસ્પતિના પાંદડામાં અને પાણીના ટીપામાં પણ જીવ છે તેવુ સૂક્ષ્મ જીવ વિજ્ઞાન તેમણે પોતાના જ્ઞાનના પ્રકાશમાં જોઈને વિશ્વને બતાડ્યુ. ગ્લોબલ વોર્મીંગની સમસ્યાથી ગ્રસ્ત બનેલી દુનિયાને મહાવીર સ્વામીની અહિંસાનો સંદેશ જ સાચુ માર્ગદર્શન આપી શકે. જળ, જમીન, જંગલ અને જનાવરની રક્ષા એ પર્યાવરણની રક્ષા માટેનો એક માત્ર ઉપાય છે.તે જ રીતે લડતી જગડતી દુનિયાએ પ્રભુ મહાવીરનો અનેકાન્તવાદનો સંદેશ કાન ધરીને સાંભળવા જેવો છે. ગરીબી, બેકારી જેવી હજારો સમસ્યાઓનું મુળ સંગ્રહ અને પરીગ્રહની વૃતિમાં પડેલુ છે. મહાવીર સ્વામીના અપરિગ્રહના સંદેશને જો જીવનમાં સ્થાન આપવામાં આવે તો અશાંતિ, ટેન્શન, ડીપ્રેશન જેવી તકલીફોને કોઈ અવકાશ જ ન મળે.

(11:37 am IST)