રાજકોટ, તા. ૪ :. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બ્યુગલ ફુંકાઈ ગયા છે ત્યારે જ ખોડલધામના સ્વપ્નદ્રષ્ટા શ્રી નરેશ પટેલ અને વિંછીયા તાલુકાના સનાળી ગામના પૂર્વ સરપંચ શ્રી પોપટભાઈ ફતેપરા વચ્ચે સર્જાયેલ વિવાદોમાં આજે વધુ એક વખત પોપટભાઈએ નરેશભાઈની વાત સામે વિડીયો કલીપ દ્વારા ખુલાસો કરી નરેશભાઈ પહેલા ટાંટીયા ખેંચવાનુ બંધ કરે પછી કડવા અને લેઉવા પટેલ સમાજને એક કરવા નીકળે તેવુ જણાવતા આ વિવાદે ફરી આજે ચર્ચા જગાવી છે.
તાજેતરમાં ઉંઝા ખાતે આવેલ મા ઉમાના સાનિધ્યમાં લેઉવા પાટીદાર સમાજના મોટા ગજાના આ નેતા દ્વારા સરપંચથી સાંસદ અને કલાર્કથી કલેકટર સુધી પાટીદારો જ હોવા જોઈએ તેવી પ્રસિદ્ધ વિગતો અંગે વિંછીયાના સનાળી ગામના શ્રી પોપટભાઈ ફતેપરાએ જણાવ્યુ હતુ કે તેઓ કટ્ટર કોમવાદી માણસ છે અને હવે કડવા પાટીદારોનો સહારો લઈ પોતાના રાજકીય રોટલા શેકવા નિકળ્યા છે. તેવો ખુલ્લો આક્ષેપ કર્યો છે.
પોપટભાઈ ફતેપરાના આવા આક્ષેપો બાદ નરેશભાઈએ એક પ્રસિદ્ધ થયેલ અહેવાલમાં જણાવ્યુ હતુ કે હું પોપટભાઈને ઓળખતો પણ નથી, તો તેના જવાબમાં ગઈકાલે પોપટભાઈ ફતેપરાએ એક વિડીયોમાં જણાવ્યુ હતુ કે હું પણ નરેશભાઈને જોયે ઓળખતો નથી પરંતુ કડવા-લેઉવા પટેલ સમાજમાં ભાગલા પાડવાનું કામ તેમના દ્વારા અગાઉ અનેક વખત કરવામાં આવ્યુ છે.
તેમણે ૨૦૦૯માં રાજકોટ જીલ્લાના ભાજપના કડવા પટેલ ઉમેદવાર કિરણભાઈ પટેલને હરાવવા કેવા કેવા કાવાદાવા કર્યા હતા ? તે સહુ કોઈ આજે પણ જાણે છે.
પોપટભાઈએ વધુમાં જણાવ્યુ છે કે નરેશભાઈને રાજ્યસભાના સભ્ય બનવાના અભરખા જાગ્યા હોય આવા નિવેદનો કરી પોતાના રાજકીય રોટલા શેકે છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજના નિધનથી ખાલી પડેલ સીટના ઉમેદવાર માટે અનેકની નજર મંડાયેલ છે ત્યારે આ ધમધમાટ ભારે સૂચક છે.
ગઇકાલે પણ પોપટભાઇ ફતેપરાએ પોતાની વાત સાથે આજે પણ મક્કમ છે તેવું જણાવી કહયું હતું કે સમાજને જેટલું નુકસાન સમાજના લોકોએ કર્યુ છે. તેવુ અન્ય સમાજે નથી કર્યુ !
નરેશભાઇ દ્વારા કહેવામાં આવ્યુ હતું કે પટ્ટાવાળાથી લઇ પી. એમ. સુધી આપણા (પટેલ) લોકો હોવા જોઇએ. તેના જવાબમાં પોપટભાઇએ કહયું હતું કે ડો. ભીમરાવ આંબેડકર દ્વારા તૈયાર કરાયેલ બંધારણ દરેક સમાજ માટે છે. માત્ર પાટીદારો માટે નથી બનાવ્યું અન્ય સમાજ સાથે હોય તો જ બધાનો વિકાસ થાય.
લેઉવા અને કડવા પટેલ સમાજ એક થાય તે માટે શું કરવુ જોઇએ તેવ પ્રશ્નના જવાબમાં પોપટભાઇએ જણાવ્યુ હતું કે નરેશભાઇ મા ઉમા અને મા ખોડલનાં સોગન ખાઇ ટાંટીયા ખેચવાનું બંધ કરે તો જ પાટીદાર સમાજનો ઉધ્ધાર થશે.
નરેશભાઇ અને પોપટભાઇના આ વિવાદે હાલ ચૂંટણી ટાણે જ ભારે ચર્ચા જગાવી છે.
આ અંગે નરેશભાઇ પટેલનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેઓ મળી શકયા ન હતાં. પરંતુ ગઇકાલે અમુક જ અખબારી અહેવાલ પ્રમાણે નરેશભાઇ પટેલે જણાવ્યુ હતું કે, હું પોપટભાઇ ફતેપરાને ઓળખતો પણ નથી. અને તેમણે કરેલા આક્ષેપો સામે મારે કશુ જ કહેવાનું નથી.
પોપટભાઇ ફતેપરાએ ઉંઝાનાં હોદ્દેદારોને પાઠવેલ પત્ર..
જય ઉમિયાજી સાથ જણાવવાનુંકે કડવા પાટીદાર અને લેઉવા પાટીદાર સમાજ એક થઈને પાટીદાર સમાજનું ગૌરવ વધારવાની વાત છે તે અત્યાર ના યુગમાં તાતી જરૂરિયાત છે. આ બે સમાજ ભેગા ન થાય તેવા પ્રયાસો ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં કરતા આવેલ છે. ઊંઝા અને સિધ્ધસરમાં ઉમાના કાર્યક્રમમાં કેશુબાપા, કથીરિયા સાહેબ,શિવલાલભાઈ વેકરીયા અને લેઉવા પટેલ સમાજના અનેક આગેવાનોને ચીફ ગેસ્ટ અધ્યક્ષ સ્થાન દરેક કાર્યક્રમમાં કડવા પાટીદાર સમાજે આપેલ છે. કડવા પાટીદાર સમાજના એક આગેવાન અને દીકરા તરીકે હું જણાવું છું કે તા.૩૦/૦૧/૨૦૨૧ ના રોજ ખોડલ ધામ કાગવડના પ્રમુખ નરેશભાઈ પટેલમાં ઉમાધામ ઊંઝામાં કડવા પટેલ અને લેઉવા પટેલ સમાજ એક મંચ ઉપર આવીને પાટીદાર સમાજની એકતા બતાવવાના બણગા ફુકેલ જેથી નરેશ પટેલને જણાવું છું કે આપ સંકુચિત વિચાર શ્રેણીને કારણે આપનું માથું ચરમથી જુકી જવું જોઈએ આપણા ધર્મનિષ્ઠ સમાજના યુવાનોને જવલંત કારકિર્દી માટે અભિયાન હાથધરી તમામ ક્ષેત્રમાં આગળ આવવાની હાકલ કરવી ઉત્ત્।મ વાત ગણાય પરંતુ જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે વર્ગ વિગ્રહ ઉભો થાય તેવા પ્રયાસો કરવા એ હલકી માનસિકતા શિવાય કછુ લાગતું નથી. જ્ઞાતિનું ગૌરવ જરૂર રાખવું પણ મિથ્યા અભિમાન લાંબેગાળે વિનાશ નોતરે છે. આપ નરેશભાઈની સંકુચિતતા જોવો જેણે કાગવડ મુકામે ખોડલધામમાં તમામ દેવીઓની મૂર્તિઓ પ્રસ્થાપિત કરેલ છે પણ જગત જનની માં ઉમિયાજીની મૂર્તિ સ્થાપિત કરેલ નથી કે ત્યાંના કાર્યક્રમમાં એક પણ કડવા પાટીદારના આગેવાનોને આમંત્રણ સુધા આપેલ નથી.
ઉપરોકત બાબતે નરેશભાઈ પટેલને સૌરાષ્ટ્રના તમામ કડવા પાટીદાર સમાજના આગેવાનો આપને સારી રીતે જાણે છે. રાજકોટ સંસદ સભ્યની ચૂંટણીમાં પાટીદાર સમાજને કેવી મદદ કરી છે અને માં ઉમિયા ધામ ઊંઝા જઈને લેઉવા, કડવા પાટીદાર એક થવાની હાકલ કરી છે. નરેશભાઈ રાજયસભામાં ે ૨૦૨૨માં જવાની તૈયારી માટે પાટીદાર સમાજને એક થવાની હાકલ કરો છો તે સૌરાષ્ટ્રના ઘણા ખરાને ખ્યાલ છે. આપ કડવા પાટીદાર અને લેઉવા પાટીદાર સમાજને કોઈ સ્વાર્થ વગર એક કરવાની વાત કરો તો સારું છે. આપ ચૂંટણી લડવા માંગતા નથી તે પણ જાહેર કરો. ત્યારબાદ આપ પાટીદાર સમાજને સંગઠિત કરવાની વાત કરો તે વ્યાજબી લાગે છે. જો આપ ચૂંટણી લડવા માંગતા નથી તેવી જાહેરાત નહીં કરી શકો તો નરેશભાઈ હલકી માનસિકતા સિવાય તમારામાં કશું લાગતું નથી તેવું પ્રસ્થાપિત થશે. જેથી માં ઉમિયા ધામ ઊંઝાના ટ્રસ્ટીઓશ્રીને નમ્ર નિવેદન છે કે નરેશભાઈ પટેલને રાજયસભાના સભ્ય અથવા ૨૦૨૨માં ટોપાવાળી ગાડી માટે એકતાની વાત કરે છે અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં લેઉવા અને કડવા પટેલ સમાજને ભેગા થવા દીધા નથી તેવું સૌ કોઈનું માનવું છે. જેથી ઉત્ત્।ર ગુજરાતમાં લેઉવા અને કડવા પાટીદારના નામે જે ઓળખ ઊભી થયેલ છે તે જળવાઈ રહે તે માટે જોઈ વિચારીને આગળ વધવામાં ઉમાધામના ટ્રસ્ટીશ્રીઓને નમ્ર વિનતી છે.