Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

રાજકોટને સ્વચ્છ નં.૧ બનાવવા અધિકારીઓ મેદાનમાં

વહેલી સવારથી વિવિધ વિસ્તારોમાં ફીલ્ડ વર્ક અધિકારીઓ સાથે સતત મોનિટરીંગ કરી માગદર્શન આપી રહેલા મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલ

રાજકોટ,તા.૪: ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન શરુ કરવામાં આવેલ છે, જેના ભાગરૂપે સરકાર દ્વારા જાન્યુઆરી – ૨૦૨૦ માં ભારતના તમામ શહેરોમાં સ્વચ્છતા અંગે સ્પર્ધાત્મક વાતાવરણ ઉભું થાય તે માટે સ્વચ્છતા સર્વેક્ષણ – ૨૦૨૦ કરવામાં આવે છે, જેમાં એપ્રિલ થી જુન ૨૦૧૯ ના પ્રથમ ત્રિમાસિક સમયગાળાના નિરીક્ષણમાં રાજકોટ સમગ્ર દેશમાં પાંચમા ક્રમનું સૌથી સ્વચ્છ શહેર જાહેર થયું હતું, જયારે જુલાઈ થી સપ્ટેમ્બર ૨૦૧૯ ના દ્વિતીય ત્રિમાસિક સમયગાળામાં થયેલા સર્વેક્ષણ અનુસાર રાજકોટ શહેરે સમગ્ર દેશમાં બીજો ક્રમ મેળવ્યો હતો. ભારત સરકારશ્રી દ્વારા ત્યારપછીના તબક્કાના સર્વેક્ષણમાં પણ રાજકોટ શહેર સૌથી સ્વચ્છ શહેર બની રહે તે માટેના પ્રયાસો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા થઇ રહ્યા છે.

આ પ્રયાસોના ભાગરૂપે મહાનગરપાલિકાના વરિષ્ઠ અધિકારીઓને મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ દ્વારા અલગ-અલગ વોર્ડના નિરીક્ષણની જવાબદારી સુપ્રત કરવામાં આવેલી છે. સંબધિત અધિકારીઓએ આ આદેશ અનુસંધાને પોતપોતાના વોર્ડમાં વિવિધ મુદ્દાઓ અંગેની કામગીરીનું નિરીક્ષણ અને તેનું રીપોર્ટીંગ કમિશનરશ્રીને કરવાનું રહે છે. જે અનુસંધાને આજે ૧૮ વરિષ્ઠ અધિકારીઓએ સવારે ૦૭:૦૦ વાગ્યાથી પોતપોતાના વોર્ડમાં તેમની જવાબદારી નિભાવી હતી. મ્યુનિ. કમિશનરશ્રીના આદેશ મુજબ ઉપરોકત અધિકારીઓએ સોશિયલ મડિયા પ્લેટફોર્મ પર પોતાના લાઈવ લોકેશન શેરિંગ સાથે કામગીરીનું રીપોર્ટીંગ કર્યું હતું. મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે શહેરના જુદાજુદા વોર્ડમાં સતત ફરતા રહી અધિકારીઓના લાઈવ લોકેશન શેરિંગનું પણ સતત મોનીટરીંગ કરી જેતે કામગીરી અંગે આવશ્યકતા મુજબની સૂચનાઓ આપી હતી.

રાજકોટ મહાનગરપાલિકાના જે ૧૮ વરિષ્ઠ અધિકારીઓને વોર્ડ વાઈઝ કામગીરી સોંપવામાં આવી છે, તેમાં વોર્ડ નં. ૧ માં  કે. એસ. ગોહેલ - સીટી એન્જીનીયર (ઇ.ચા), વોર્ડ નં. ૨ માં સંજયભાઇ ગોહેલ - ડાયરેકટર આઇ.ટી., વોર્ડ નં. ૩ માં અમિતભાઇ સવજીયાણી - ચીફ એકાઉન્ટન્ટ, વોર્ડ નં. ૪ માં શ્રી જસ્મીનભાઇ રાઠોડ - આસી. કમિશનર (ઇ.ચા), વોર્ડ નં. ૫ માં એચ. યુ. ડોઢીયા - સીટી એન્જીનીયર સ્પે., વોર્ડ નં.  ૬ માં વી. એસ. પ્રજાપતિ - આસી. કમિશનર (ઇ.ચા), વોર્ડ નં. ૭ માં રવિભાઇ ચુડાસમા - આસી. કમિશનર (ઇ.ચા), વોર્ડ નં. ૮ માં એ. એમ. મિત્રા - સીટી એન્જીનીયર સ્પે.(આવાસ), વોર્ડ નં. ૯ માં એસ. જે. ધડુક - આસી. કમિશનર (ઇ.ચા), વોર્ડ નં. ૧૦ માં બી. યુ. જોશી - એડી. સીટી એન્જીનીયર, વોર્ડ નં. ૧૧ માં કે. ડી. હાપલિયા - ડાયરેકટર પી. એન્ડ જી., વોર્ડ નં. ૧૨ માં એચ. આર. પટેલ - આસી. કમિશનર, વોર્ડ નં. ૧૩ માં એચ. કે. કગથરા - આસી. કમિશનર, વોર્ડ નં. ૧૪ માં એમ. આર. કામલીયા - એડી. સીટી એન્જીનીયર, વોર્ડ નં. ૧૫ માં બી. જે. ઠેબા - ચીફ ફાયર ઓફિસર (ઇ.ચા), વોર્ડ નં. ૧૬ માં હીરાબેન રાજશાખા - પ્રોગ્રામ ઓફિસર, વોર્ડ નં. ૧૭ માં બી. ડી. જીવાણી - એડી. સીટી એન્જીનીયર (ઇ.ચા) (રોશની) અને વોર્ડ નં. ૧૮ માં આર. બી. વિરડીયા - એમ.ઓ.એચ. નો સમાવેશ થાય છે. અન્ય અધિકારીઓને સોંપવામાં આવેલી કામગીરીનું તેમજ અન્ય વિવિધ બાબતોનું નિરીક્ષણ ઉપરોકત ૧૮ અધિકારીશ્રીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૦ પાર્ટ-૩માં ડાયરેકટ ઓબઝર્વેશનના ૧૫૦૦ માર્કસ રાખવામાં આવેલા હોય છે, જેમાં રેસીડેન્ટ અને કોમર્શીયલ સફાઈ, જાહેર શૌચાલયોની સફાઈ અને ઉપયોગ, જાહેર શૌચાલયોને આવશ્યક પોસ્ટરો, પુરુષો-મહિલાઓ અને બાળકો માટે અલગ-અલગ વ્યવસ્થા, શૌચાલયોમાં જરૂરી સુવિધાઓ, વધુ લોકો જાહેર શૌચાલયોનો ઉપયોગ કરે તેવા ચિત્રો દોરવા - પોસ્ટરો અને લગત બેનરો લગાવવા, શહેરની બજાર-માર્કેટની સફાઈ, જાહેર માર્ગો પર અમુક અંતરે કચરા પેટીનું હોવું, શહેરમાં સફાઈ જાગૃતતા અંગેના બોર્ડ-બેનરો લગાવવા, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટની સફાઈ, રેલ્વે સ્ટેશન - બસ સ્ટેશન અને એરપોર્ટ પર સ્વચ્છતા અંગેની બોર્ડ-બેનરો લગાવવા, સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૦માં સફાઈ જાગૃતતા અંગેના સ્ટીકરો વાહનો પર લગાવવા, શહેરમાં સ્વચ્છતા જાગૃતતા અંગે વિવિધ પ્રવૃતિઓ કરાવવી, શહેરની ઝુપડપટ્ટીની સફાઈ, ઓવરબ્રીજ-અન્ડરબ્રીજ અને જાહેર સ્થળોની દિવાલ પર સુંદર ચિત્રો દોરાવવા, રોડની ફૂટપાથ પર કચરાપેટીની વ્યવસ્થા અને સફાઈ, ડ્રેનેજ સિસ્ટમની સફાઈ, શહેરના રોડ-રસ્તા તૂટેલા ન હોવા જોઈએ અને તેની સફાઈ, વાતાવરણ શુદ્ઘ રહે તેવ પગલા લેવા, વૃક્ષારોપણ, રોડની વચ્ચેના ડીવાઈડરમાં અને રોડની બંને સાઈડમાં વધુને વધુ વૃક્ષારોપણ વિગેરે તમામ મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મ્યુનિ. કમિશનરશ્રી દ્વારા સ્વચ્છતાને લગતા અન્યો મુદ્દાઓ પણ આવરી લેવામાં આવશે.

(3:40 pm IST)