Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

ઋષિકેશમાં જીવ ગુમાવનારા કારિયા પરિવારની વહારે વિજયભાઇ રૂપાણી

ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે વાત કરી : વ્યવસ્થામાં ઉપયોગી

રાજકોટ તા. ૩ : મહેસુલી અધિકારી દિલીપભાઇ કારિયાના પરિવાર પર ઋષિકેશમાં આવી પડેલી આફતમાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તેમને ઉપયોગી થયા છે. કારિયા પરિવાર યાત્રાએ ગયેલ ત્યારે દુઃખદ આકસ્મિક બનાવ બન્યો હતો.

દિલીપભાઇની દોહીત્રી સોનલનો પગ લપસતા તે પાણીમાં પડી ગયેલ. તે તણાવા લાગતા તેના પિતા અનિલભાઇ ગોસાઇ અને નાનીમા તરૂલતાબેન પણ પાણીમાં કુદયા હતા. પાણીનો પ્રવાહ પ્રચંડ હોવાથી દિલીપભાઇની નજર સામે જ ત્રણેય પાણીમાં ડુબી ગયા હતા. તરૂલતાબેનનો મૃતદેહ મળી આવ્યો છે. હજુ સોનલ અને તેના પિતા અનિલભાઇનો કોઇ પતો નથી. તેમના અન્ય પરિવારજનો ઋષીકેશ દોડી ગયા છે. આજે વિજયભાઇ રૂપાણીએ મૃતકોના પરિવારજનો અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે વાત કરી લાપતા બે પરિવારજનોની ભાળ મેળવવા વ્યવસ્થા કરવા રજૂઆત કરી હતી. શ્રી રૂપાણીએ ઘટના અંગે ઉંડા દુઃખની લાગણી વ્યકત કરી છે.

(3:33 pm IST)