Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

કોઠારીયા સોલવન્ટમાં ૨૭ દિવસના બાળકનું મોતઃ જૂડવા ભાઇ સારવારમાં

શમા પરિવારની ખુશી થોડા દિવસોમાં જ માતમમાં ફેરવાઇ ગઇ

રાજકોટ તા. ૩: કોઠારીયા સોલવન્ટ બરકતીનગરમાં શમા પરિવારમાં ૨૭ દિવસ પહેલા જૂડવા બાળકોનો જન્મ થયો હતો. તેમાંથી એક ભાઇનું બેભાન થઇ ગયા બાદ મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

બરકતીનગરમાં રહેતાં જુમારભાઇ શમા અને ઝરીનાબેન શમાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હતી. સત્તાવીશ દિવસ પહેલા ઝરીનાબેને જૂડવા પુત્રને જન્મ આપતાં પરિવારમાં ખુશની માહોલ છવાઇ ગયો હતો. આ બંને ભાઇઓના નામ અનસ અને અશરફ રખાયા હતાં. અનસની તબિયત જન્મથી જ નરમગરમ હતી.

ગઇકાલે બપોરે સાડા ત્રણેક વાગ્યે માતાએ પુત્ર અનસને જગાડતાં તે ન જાગતાં બેભાન હાલતમાં સારવાર માટે પદ્દમકુંવરબા હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ તેનું મોત નિપજ્યું હતું. બીજી તરફ જૂડવા ભાઇ અશરફની પણ તબિયત બગડતાં તેને પણ દાખલ કરવો પડ્યો હતો. એએસઆઇ આર. બી. જાડેજાએ એડી નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

(1:15 pm IST)