Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ગાંધીગ્રામ હરસિધ્ધી સોસાયટીમાં કુંભાર યુવતિ વૈશાલીનો ગળાફાંસો ખાઇ આપઘાત

ત્રણ મહિના પહેલા જ લોધીડા ગામે સગાઇ થઇ'તીઃ કારણ જાણવા તપાસ યથાવત

રાજકોટ તા. ૩: ગાંધીગ્રામમાં સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ હરસિધ્ધી સોસાયટી-૧માં રહેતી ગુર્જર કુંભાર યુવતિ વૈશાલી પ્રેમજીભાઇ ખોખર (ઉ.૨૧)એ પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. ત્રણ મહિના પહેલા જ આ યુવતિની ત્રંબા નજીક લોધીડા ગામના યુવાન સાથે સગાઇ થઇ હતી.

સાંજે વૈશાલીના રૂમનો દરવાજો બંધ હોઇ માતા હીરાબેને દરવાજો ખખડાવવા છતાં નહિ ખોલાતાં તેમણે પતિને જાણ કરી હતી. દરવાજો તોડીને જોવાતાં તેણી લટકતી જોવા મળતાં સ્વજનો હતપ્રભ થઇ ગયા હતાં. ૧૦૮ના ઇએમટી નિલેષભાઇએ તેણીને મૃત જાહેર કરી પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરતાં ઇન્ચાર્જ સુરેશભાઇએ યુનિવર્સિટી પોલીસને વાકેફ કરતાં હેડકોન્સ. જયંતિભાઇ સોંદરવા તથા પ્રદિપસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર વૈશાલી ત્રણ બહેન અને એક ભાઇમાં નાની હતી. તેના પિતા પ્રમેજીભાઇ સિલાઇ કામ કરે છે. વૈશાલી પોતે પણ સિવણ કામ કરતી હતી. તેની ત્રણ મહિના પહેલા જ સગાઇ થઇ હતી. આપઘાત શા માટે કર્યો? તે અંગે પરિવારજનો હાલ કંઇ જાણતા ન હોઇ પોલીસ અંતિમવિધી બાદ વિશેષ નિવેદન નોંધશે. યુવાન દિકરીના આ પગલાથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

(11:45 am IST)