Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ફૂડ સિકયુરીટી કાયદામાં ભાજપ સરકારે પોતાના નિયમો મૂકયા છે : BPL - અંત્યોદય કાર્ડ બંધ કરી દીધા છે

પુરવઠા નિગમ ખાતે આગેવાનોના દેખાવો : ૩૯ની અટકાયત

ગરીબોને અન્ન આપો : કોંગ્રેસ દ્વારા પુરવઠા નિગમ ખાતે દેખાવો... ટીંગાટોળી કરી ૩૯ની અટકાયત : ઉગ્ર દેખાવો - સૂત્રોચ્ચાર કરાયા : રાજકોટના જંકશન રોડ ઉપર આવેલ રાજ્યના નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનના દરવાજા પાસે ભાજપ સરકારની પાંચ વર્ષની ઉજવણી સામે આજે કોંગ્રેસના આગેવાનો, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રી ગાયત્રીબા વાઘેલા તથા ભાનુબેન સોરાણી, વશરામભાઇ સાગઠીયા, નરેશ સાગઠીયા, રણજીત મુંધવા, સંજય અજુડીયા, જયાબેન ટાંક, કનકસિંહ જાડેજા, મનીષાબા વાળા, હિરલબેન રાઠોડ, પ્રફુલાબેન વિગેરે ગરીબોને અન્ન આપોના નારા સાથે દેખાવો કર્યા હતા તે નજરે પડે છે. કોંગ્રેસના કાર્યકરો - આગેવાનોની પોલીસે ટીંગાટોળી કરી કુલ ૩૯ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.(તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૩ : ગુજરાતની ભાજપ સરકાર ૩ ઓગસ્ટ ના દિવસે 'અન્નોત્સવ દિવસ' ઉજવીને ગુજરાતની પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાની સૂચના અનુસાર રાજકોટ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ  'અન્ન અધિકાર અભિયાન' કાર્યક્રમ દ્વારા ગરીબોને પુરતું અનાજ મળે, ગરીબોને બીપીએલ કાર્ડ આપવામાં આવે, કાર્ડ માં પુરતું અનાજ આપવામાં આવે જેવા મુદા ઓ સાથે રાજકોટ પુરવઠા ગોડાઉન ઓફીસ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરે જણાવ્યું છે કે જયારે ફૂડ સિકયુરીટી એકટ કાયદો ૫, જુલાઈ, ૨૦૧૩ના રોજ કોંગ્રેસ પક્ષ લઈ આવેલ તેમાં શહેરી વસ્તીના ૫૦% લોકોને જાહેર વિતરણ વ્યવસ્થા સબસીડી યુકત અનાજ મેળવવાનો અધિકાર આપ્યો હતો. પરંતુ ગુજરાત માં ભાજપ સરકારે તેમના પોતાના નિયમો મુકીને લોકોને લાભ ના મળે તેવા પ્રયત્નો કરી રહિ છે.

રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદીએ જણાવ્યું છે કે ભાજપ સરકાર દ્વારા બીપીએલ અને અંત્યોદય કાર્ડ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યા છે. હાલમાં માત્ર NFSA કાર્ડ જ આપવામાં આવે છે જેમાં માત્ર ઘઉં અને ચોખા જ મળે છે. વિધવા અપંગ અને નિરાધાર જેવા ખાસ કીસ્સામાં જ અનાજ આપવામાં આવે છે.

રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન પ્રવીણભાઈ સોરાણીએ  જણાવ્યું છે કે ભાજપ સરકાર પોતાનો વિકાસ બતાવવા માટે દિવસે ને દિવસે બી.પી.એલ. અને અંત્યોદય સહાય માટે અપાતા કાર્ડ બંધ કરતા રહ્યા છે. માટે ગરીબોના ભોગે સરકાર પોતાનો વિકાસ બતાવી રહી છે.

રાજકોટ શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂતે જણાવ્યું છે કે કોંગ્રેસની સરકાર વખતે એપીએલ કાર્ડ ધારકોને ઘઉં, ચોખા, ખાંડ, કેરોસીન અને વાર-તહેવારે પુરતું તેલ આપવામાં આવતું હતું. હાલ માં ભાજપ સરકાર દ્વારા તહેવારે ૧ કિલો ખાંડ અને  ૧ બોટલ તેલ આપવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાતની ભાજપ સરકાર અન્નોત્સવ દિવસની ઉજવણી કરી રહ્યા છે ત્યારે ગરીબ લોકોને પોતાના અન્નનો અધિકાર મળી રહે તે રાજકોટ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા 'અન્ન અધિકાર અભિયાન' દ્વારા સરકારની નિષ્ફળતાઓનો વિરોધ કરવામાં આવ્યો આ તકે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન પ્રવીણભાઈ સોરાણી, પ્રદેશ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, પૂર્વ ડેપ્યુટી મેયર ભરતભાઈ મકવાણા, સુરેશભાઈ બથવાર, પૂર્વ વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, રહીમભાઈ સોરા, સેવાદળ મુખ્ય સંગઠક રણજીત મુંધવા, મહિલા પ્રમુખ મનીષાબા વાળા, એસ.સી.વિભાગ ચેરમેન નરેશભાઈ સાગઠીયા, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, સંજય અજુડિયા, ઘનશ્યામસિંહ જાડેજા, ઠાકરશીભાઇ ગજેરા, વોર્ડ પ્રમુખ મહેન્દ્રભાઈ શ્રીમાળી, અલ્પેશભાઈ ટોપીયા, ગીરીશભાઈ ઘરસંડિયા, બીજલ ભાઈ ચાવડીયા, રોહિત બોરીચા, રાજુભાઈ ચાવડા, રામભાઈ જીલરીયા, હિરલબેન રાઠોડ, પ્રભાતભાઈ ડાંગર, કનકસિંહ જાડેજા, ભાવેશ પટેલ, રવિ ડાંગર, દાનાભાઈ હુંબલ, જગદીશભાઈ ઠુંન્ગા, હાર્દિપ પરમાર, સલીમભાઈ કારીયાણીયા,જગદીશભાઈ સાગઠીયા, મનોજ ગેડિયા, સહિતના ૩૯ આગેવાનો કાર્યકરોની પોલીસે અટકાયત કરેલ હતી.

(2:59 pm IST)