Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

બેજવાબદાર લોકોના ટોળાના પાપે ચા-પાનનાં ધંધાર્થીઓનાં રોટલા અભડાશે

માસ્ક-હેન્ડવોશ-સોશ્યલ ડીસ્ટન્સનાં નિયમોનું ચુસ્ત પાલન કરો અન્યથા : જે દુકાનો અને લારી-ગલ્લામાં ભીડ હશે તે બંધ કરાવી દેવાશેઃ પાર્સલ આપવાનો આગ્રહ રાખવો જરૂરીઃ ઉદિત અગ્રવાલ

રાજકોટ, તા., ૩: શહેરમાં હવે અનલોક-રમાં વધુ છુટછાટ મળતા નાગરીકો વધુ બે જવાબદાર બની ગયા હોઇ કોરોનાં સંક્રમણ વધ્યું છે. છેલ્લા ૧ મહિનામાં ૧૦૪ કેસ કોરોના પોઝીટીવ આવી ગયા છે. ત્યારે તંત્રએ એવુ તારણ કાઢયું છે કે ચા-પાનની દુકાનોએ સૌથી વધુ બેજવાબદાર લોકોનાં ટોળા જમા થાય છે. જે કોરોના સંક્રમણ વધારવામાં નિમીત બને છે. તેથી મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલે આજે ચા-પાનનાં ધંધાર્થીઓ તેમજ માસ્ક-હેન્ડવોશ અને સોશ્યલ ડીસ્ટન્શીંગ  નહી જાળવનારા બે જવાબદાર લોકોને તાકીદ કરી છે કે જો કોઇ ચા-પાનની દુકાનો, લારી, ગલ્લાઓમાં ભીડ જોવા મળશે તો આવી દુકાનો બંધ કરાવી દેવાશે.

આ અંગે સતાવાર યાદીમાં જણાવાયું છે કે કોરોનાની મહામારીની વર્તમાન સ્થિતિમાં નાગરિકો વધુ ને વધુ સતર્ક રહે અને સરકારશ્રીની માર્ગદર્શિકાનુ પાલન કરે તેમજ સોશિયલ ડિસ્ટન્સ આવશ્યકરીતે જાળવે તે ખુબ જ જરૂરી દેખાય છે. હજુ નાગરિકોમાં આ બાબતો અંગે પર્યાપ્ત જાગૃતિ દેખાતી નથી તે ચિંતાની વાત છે. નાગરિકો કોરોના વાયરસના સંક્રમણથી બચી શકે તેવા ઉમદા આશય સાથે આવતીકાલથી શહેરમાં જો ચા-પાનની દુકાનો પર ગ્રાહકોના સમૂહ જોવા મળશે તો એવી દુકાનો જાહેર સ્વાસ્થ્યના હિતમાં તત્કાલ બંધ કરાવવામાં આવશે તેમ મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલે જાહેર કરેલ છે.

તેમણે રાજકોટમાં સોશિયલ શિસ્તબદ્ઘતા જળવાઈ રહે તે માટે સૌ નાગરિકો એલર્ટ બને તેવી અપીલ કરતા એમ જણાવ્યું હતું કે, ચા-પાનની દુકાનેથી લોકો ટેઈક અવે પધ્ધતિ એટલે કે પાર્સલ લઈ જવાનો જ આગ્રહ રાખે તે ઇચ્છનીય છે. દુકાનદારોએ પણ પોતાની દુકાન પાસે લોકોના ટોળા ભેગા ના થાય તેની કાળજી રાખવી જરૂરી છે. કોરોના વાયરસના ચેપથી બચવાનો ઉપાય નાગરિકો વચ્ચે આવશ્યક અંતર બની રહે તે છે. આ બાબતમાં બેકાળજીથી બીમારીને આમંત્રણ આપ્યા જેવું બની રહેશે.

હાલના સમયમાં કોરોના વાયરસના પ્રસારને રોકવામાં સૌ નાગરિકોની ભૂમિકા અત્યંત અનિવાર્ય અને મહત્વપૂર્ણ બની છે. સામાજિક અને વ્યકિતગત અંતર જાળવવું, હાથ વારંવાર સાફ કરવા, એકબીજા સાથે હાથ મિલાવવાને બદલે આવશ્યક રીતે નમસ્કારની મુદ્રાનો આશરો લેવો, માસ્ક પહેરવું, સહેજ પણ માંદગી જોવા મળે તો તુર્ત જ તબીબી સારવાર લેવી વગેરે જેવી બાબતોની કાળજી રાખવાથી કોરોનાને દુર રાખી શકાશે.

(2:56 pm IST)