Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

કાલે તું શું પકતાઇ કરતો'તો?...કહી સુરસંગભાઇ ખેરડીયા પર તલવારના ઘા

ગોંડલ રોડ ચોકડી પાસે રિધ્ધી સિધ્ધી પાર્કમાં બનાવઃ પીપળીયા હોલ પાસે રામેશ્વરમાં રહેતાં અજીત બોરીચા વિરૂધ્ધ ફરિયાદ

રાજકોટ તા. ૩: ગોંડલ રોડ ચોકડીએ રહેતાં ગુર્જર રજપૂત વૃધ્ધને પીપળીયા હોલ પાસે રહેતાં આહિર શખ્સે આગલા દિવસે થયેલી ચડભડનો ખાર રાખી તલવારના ઘા ઝીંકી હાથ-માથામાં ઇજા કરતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

બનાવ અંગે આજીડેમ પોલીસે ગોંડલ રોડ ચોકડી રિધ્ધી સિધ્ધી પાર્ક ૨-અ, શિવ કૃપા ખાતે રહેતાં ગુર્જર રજપૂત સુરસંગભાઇ ઉર્ફ સુરૂભા માનસંગજી ખેરડીયા (ઉ.વ.૬૧)ની ફરિયાદ પરથી પીપળીયા હોલ પાસે રામેશ્વર સોસાયટીમાં રહેતાં અજીત વાજસુરભાઇ બોરીચા સામે ગુનો નોંધ્યો છે.

સુરસંગભાઇ ઉર્ફ સુરૂભાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવુ છું અને પરિવાર સાથે રહુ છું. સાંજે સાતેક વાગ્યે હું અમારા ઘર નજીક રિધ્ધી સિધ્ધી પાર્કમાં રામાપીર ચોકમાં મારા પોૈત્રને લઇને બેઠો હતો ત્યારે રામેશ્વર સોસાયટીનો અજીત બોરીચા આવ્યો હતો અને 'તું શું પકતાઇ કરતો હતો' તેમ કહી ગાળો દઇ તલવારનો ઘા કરતાં હાથમાં ઇજા થઇ હતી. બીજો ઘા તેણે માથામાં કરતાં મેં જમણો હાથ આડો રાખતાં હાથમાં ઇજા થઇ હતી. ઝપાઝપી બાદ મેં તલવાર પકડી લીધી હતી. આથી તેણે ઢીકા-પાટુનો માર માર્યો હતો. પડોશીએ વચ્ચે પડી મને છોડાવ્યો હતો. કોઇએ ૧૦૮ બોલાવતાં મને હોસ્પિટલમાં ખસેડાયો હતો. હાથમાં અને માથામાં ટાંકા લેવા પડ્યા હતાં.

પરમ દિવસે અજીત ઘર નજીક ગાળાગાળી કરતો હોઇ તે કારણે મારે તેની સાથે સામાન્ય બોલાચાલી થઇ હતી. તેનો ખાર રાખી તેણે તલવારથી હુમલો કર્યો હતો.  તેમ વધુમાં સુરસંગભાઇએ જણાવતાં એએસઆઇ વી. બી. સુખાનંદી અને કિરીટભાઇ રામાવતે ફરિયાદ નોધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

(12:48 pm IST)