Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

તું શું કામ ઘર પાસેથી નીકળે છે? કહી કમલેશ ઉર્ફ ટીન્કૂને તુષારે ગાળો દીધી, પછી ત્રણ શખ્સો મોકલી હુમલો કરાવ્યો

પરસાણાનગર અને ઝુલેલાલ મંદિર પાસે બનાવઃ સિંધી યુવાનની ફરિયાદ પરથી તુષાર ભકતાણી, અબ્દુલ, ફૈઝલ ઉર્ફ કાલી અને હસન સામે ગુનોઃ જુનુ મનદુઃખ કારણભુત

રાજકોટ તા. ૩: પરસાણાનગરમાં રહેતાં સિંધી યુવાનને જુના મનદુઃખને લીધે અન્ય એક સિંધી શખ્સે રાતે અટકાવી ગાળો દઇ તું શું કામ મારા ઘર પાસેથી નીકળે છે? તેમ કહી ઝઘડો કર્યો હતો. આ પછી આ યુવાન ઝુલેલાલ મંદિર પાસે પોતાના ઘર નજીક પહોંચ્યો ત્યારે માથાકુટ કરનારે બીજા ત્રણ શખ્સોને મોકલી ધોકા-પાઇપથી હુમલો કરાવતાં તેને હોસ્પિટલના બિછાને પહોંચવું પડ્યું હતું.

બનાવ અંગે પ્ર.નગર પોલીસે પરસાણાનગર-૨માં રહેતાં અને સાઇકલ રિપેરીંગનું કામ કરતાં કમલેશ ઉર્ફ ટીન્કૂ ગોવિંદભાઇ નેભાણી (ઉ.વ.૨૭) નામના સિંધી યુવાનની ફરિયાદ પરથી તુષાર ભકતાણી, અબ્દુલ દાઉદભાઇ લંજા, ફૈઝલ ઉર્ફ કાલી અને હસન સામે ગુનો નોંધ્યો છે.

કલમેશ ઉર્ફ ટીન્કૂના કહેવા મુજબ તે રાતે સાડા દસેક વાગ્યે ઝુલેલાલ મંદિરથી ઘર તરફ જતો હતો ત્યારે પરસાણાનગર-૯માં રહેતાં તુષાર ભકતાણીએ રસ્તામાં રોકયો હતો અને 'તું કેમ અહિથી નીકળે છે?' તેમ કહી ગાળો દેવા માંડ્યો હતો. બંને વચ્ચે બોલચાલી થયા બાદ પોતે જતો રહ્યો હતો. તુષાર સાથે અગાઉ પણ ઝઘડો થયો હતો.   પોતે બાદમાં ઘર નજીક ઝુલેલાલ મંદિર પાસે પહોંચ્યો ત્યારે તુષારે બીજા શખ્સો અબ્દુલ, ફૈઝલ અને હસનને મોકલ્યા હતાં. આ ત્રણેયે પાઇપથી અને લાકડીથી હુમલો કરી પોતાને પગ, હાથ, છાતી અને શરીરના ભાગે માર માર્યો હતો.

મારને કારણે દુઃખાવો થતાં પોતે ત્યાં જ બેસી ગયો હતો. લોકો ભેગા થઇ જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. બાદમાં કાકાના દિકરા વિજયભાઇ આવી જતાં પોતાને સિવિલ હોસ્પિટલમાં પહોંચાડેલ. તેમ કમલેશ ઉર્ફ ટીન્કૂએ ફરિયાદમાં જણાવતાં હેડકોન્સ. કલ્પેશસિંહ ગોહિલે ગુનો નોંધ્યો હતો. તેણે આરોપીઓને શોધી કાઢવા વધુ તપાસ હાથ ધરી છે.

(12:45 pm IST)