Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

પ્લાઝમા ડોનેટ એ રકતદાન જેવું જ કાર્ય

લલિતભાઈ કગથરાના પુત્ર સ્વ. વિશાલની પૂણ્યતિથિ નિમિતે પ્લાઝમાનું દાન કર્યા બાદ વેકસીન મુકાવવા અપીલ

૨૦૦૦ કિ.મી. દૂર મારા પુત્રને હું બચાવી ન શકયો પરંતુ કોરોના મહામારીમાં દર્દીઓને બચાવવાનું કાર્ય કરીએ તે જ સાચી શ્રધ્ધાંજલી

રાજકોટ, તા. ૩ :. કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ કગથરાના સુપુત્ર સ્વ. વિશાલ કગથરાના સ્મરણાર્થે તા. ૫ને બુધવારે પ્લાઝમા ડોનેશન કેમ્પની રાજકોટના પારસ હોલ, પારસ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ રોડ, રાજકોટ ખાતે આયોજન કરાયુ છે. આ કેમ્પના રજીસ્ટ્રેશન માટે મો. ૭૬૨૪૦ ૨૩૪૩૪ ઉપર સંપર્ક કરવાનો રહેશે.

આ અંગે લલિતભાઈ કગથરાએ જણાવ્યુ છે કે અત્યાર સુધીમાં ૪૦ જેટલા પ્લાઝમા ડોનેટ કરનારે રજીસ્ટ્રેશન કરાવ્યુ છે અને હજુ પણ રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ છે. પ્લાઝમા ડોનેટ કરનારે પ્લાઝમા ડોનેટ કર્યા બાદ કોરોના વેકસીન લેવી જોઈએ. પ્લાઝમા ડોનેટ એ રકતદાન જેવુ જ કાર્ય છે. જેમાં પ્લાઝમા ડોનેટ કરનારનું લોહી લેવામાં આવે છે અને તેમાથી પ્લાઝમા અલગ કરવાની કામગીરી લેબોરેટરી દ્વારા કરવામાં આવે છે. સ્વ. વિશાલ કગથરાની પૂણ્યતિથિ ૧૮મીએ છે, પરંતુ કોરોના મહામારી વચ્ચે લોકોને ઉપયોગી થવાય તે હેતુથી આ પ્લાઝમા ડોનેટ કેમ્પનું વહેલુ આયોજન કરવામાં આવ્યુ છે.

લલિતભાઈ કગથરાએ વધુમાં જણાવ્યુ હતુ કે ૨૦૦૦ કિ.મી. દૂર મારા પુત્ર સ્વ. વિશાલને હું બચાવી ન શકયો પરંતુ કોરોના મહામારીમાં દર્દીઓને બચાવવાનું કાર્ય કરીએ તે જ સાચી શ્રધ્ધાંજલી ગણાશે.

કોરોના મહામારી વચ્ચે પ્લાઝમા ડોનેટ કોણ કરી શકે ? તે જાણીએ તો (૧) કોરોના વાયરસના સંક્રમણથી ઠીક થયેલ વ્યકિત ૨૮ દિવસ પછી પ્લાઝમા ડોનેટ કરી શકે છે. (૨) ૧૮થી ૫૫ વર્ષના વ્યકિત પૈકી કોઈપણ પ્લાઝમા ડોનેટ કરી શકે છે. (૩) પ્લાઝમા ડોનેટ કરનાર જે તે વ્યકિતનું વજન ૫૦ કિ.ગ્રા.થી વધુ હોવુ જોઈએ. (૪) હિમોગ્લોબીન (એચ.બી.)નું કાઉન્ટ ૧૨.૫ થી વધુ તથા પ્રોટીનનું પ્રમાણ ૬ ગ્રામ - ડીએલ હોવું જોઈએ.

વધુ વિગત માટે 'રાજકોટ પ્લાઝમા ડોનર્સ ગ્રુપ'ના મનોજ રાણપરા મો. ૯૨૨૮૩ ૦૭૬૬૦, હિતેન પારેખ મો. ૭૫૭૫૦ ૭૫૭૫૯, મિલાપ શેઠ મો. ૯૦૯૯૦ ૯૮૧૯૦, વિશાલ માન્ડલીયા મો. ૮૯૦૫૯ ૭૭૭૭૬, જિજ્ઞાબેન તન્ના મો. ૯૯૯૮૪ ૬૪૭૩૧, મનીષા પારેખ મો. ૭૫૭૫૦ ૭૩૭૩૦ની અપીલ છે. ઉપરોકત કોઈપણ નંબર ઉપર રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને કોરોના મહામારીમાં દર્દીઓને મદદ કરી શકો છો.

(3:29 pm IST)