Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

રાજકોટ તાલુકાના ઠેબચડાના ગરાસીયા પ્રૌઢની હત્યાના કેસમાં ચાર્જશીટ બાદ આરોપીની જામીન અરજી નામંજુર

રાજકોટ, તા. ૩ :  રાજકોટ તાલુકાના ઠેબચડા ગામે જમીનના વિવાદમાં ગરાસીયા ખેડૂતો પર કરાયેલા હુમલામાં ઘવાયેલા પ્રૌઢની હત્યાના ગુનામાં પોપટ વાઢેરની ચાર્જશીટ બાદની સેશન્સ કોર્ટમાં જામીન પર છુટવા કરેલી અરજી ફગાવી દેવામાં આવી છે.

વધુ વિગત મુજબ શહેરના ભાવનગર રોડ પર આવેલા ઠેબચડા ગામે ગત તા. ૩૦ના રોજ રક્ષણ માટે મુકામયેલી પોલીસની હાજરીમાં ખેડૂતની પોતાની જ વાડીમાં કોળી જુથ દ્વારા હથિયાર વડે કરવામાં આવેલા હુમલામાં લગધીરસિંહ નવુભા જાડેજા નામના પ૭ વર્ષના ગરાસીયા પ્રૌઢની હત્યા થઇ હતી. જયારે અન્ય બે ઘવાતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં.

આ બનાવમાં આજી ડેમ પોલીસ મથકના સ્ટાફે હરેન્દ્રસિંહ જાડેજાની ફરીયાદના આધારે મગન બીજલ રાઠોડ, મહેશ છગન રાઠોડ, ખોડા છગન રાઠોડ, સંજય મગન રાઠોડ, લક્ષમણ લાલજી રાઠોડ, લાભુબેન છગન રાઠોડ, દેવુબેન મગન રાઠોડ, દક્ષાબેન લક્ષ્મણ રાઠોડ, કાન્તાબેન રમેશ રાઠોડ, કલ્પેશ ભીખુ સોલંકી, સંય ભીખુ સોલંકી, નાથા જેરામ, ખીમજી નાથા, ભૂપત નાથાભાઇ રોનકનાથાભાઇ, પોપટ વશરામભાઇ કેશુબેન વશરામભાઇ, ચનાભાઇ વશરામભાઇ, સામજી બચુભાઇ અક્ષીતભાઇ છાયા સામે ગુનો નોંધી ૧પ શખ્સોની ધરપકડ કરી હતી.

ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે હરેન્દ્રસિંહ સહિતના ખેડૂતની પોતાની જમીનનો કેસ સુપ્રિમ કોર્ટમાં જીતી ગયેલા તે જમીનમાં નહીં જવા દેતા પોલીસને જાણ કરતા પોલીસે આરોપીઓને સમાવેશ છતાં નહીં સમજતા વાતાવરણ તંગ જણાતા પોલીસ વધારાનો સ્ટાફ બોલાવેલ અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેવા પ્રયત્ન કરતા ત્યારે કોળી જુથ દ્વારા પોલીસની હાજરીમાં બનાવ બનેલ હતો. દરમિયાન જેલમાં રહેલા પોપટ વશરામ વાઢેરએ ચાર્જશીટ બાદ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી  કરી હતી. સ્પેશ્યલ પીપી અનિલભાઇ દેસાઇએ લેખિત મૌખિત દલીલો કરી હતી. જયારે મુળ ફરીયાદીના એડવોકેટ લેખિત વાંધા રજુ કર્યા હતા. આ બંને પક્ષોની દલીલોના અંતે દસ્તાવેજી પુરાવા ધ્યાને લઇ અધિક સેશન્સ જજ એ. વી. હીરપરા એ પોપટ વશરામ વાઢેરની જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે.

આ કેસમાં સરકાર પક્ષે સ્પેશલ પી.પી. અનિલ દેસાઇ અને મુળ ફરીયાદના એડવોકેટ રૂપરાજસિંહ પરમાર અને મનીષભાઇ પાટડીયા રોકાયા છે.

(4:02 pm IST)