Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

ભીસ્તીવાડના મોહસીન જૂણેજાની હત્યાના ફરિયાદી આબીદ જૂણાચને ખૂનની ધમકી

ખૂન કા બદલા ખૂન મુજબ નિદોર્ષ મોહસીનની ધર્મેન્દ્ર રોડ પર દોઢ મહિના પહેલા હત્યા થઇ'તીઃ આબીદ માસી સાથે સામાન લેવા ગયો ત્યારે માજીદ ભાણુએ આવીને-મારા રિઝવાન મામા હજી બહાર છે, તને ગમે ત્યારે મારી નાંખશું,: તે અમારું શું બગાડી લીધું? કહી ધમકી આપી

રાજકોટ તા. ૩: દોઢેક મહિના પહેલા ભીસ્તીવાડના મોહસીન ઉર્ફ અસગર હનીફભાઇ જૂણેજા નામના યુવાનને તે ધર્મેન્દ્ર રોડ પર હતો ત્યારે ભીસ્તીવાડના નામચીન રિયાઝ સહિતની ટોળકીએ છરીના આડેધડ ઘા ઝીંકી રહેંસી નાંખ્યો હતો. આ હત્યાના બનાવમાં ફરિયાદી બનેલા જામનગર રોડ જુણેજા હોલ પાછળ મોમીન સોસાયટીમાં રહેતાં મૃતકના માસીના દિકરા આબીદ હુશેનભાઇ જૂણાચ (ઉ.૨૬)ને હત્યાની ફરિયાદનો ખાર રાખી ગઇ સાંજે ભીસ્તીવાડમાં માજીદ રફીકભાઇ ભાણુએ ખૂનની ધમકી આપતાં ગુનો નોંધાયો છે.

બનાવ અંગે પ્ર.નગરના પી.એસ.આઇ. યુ. બી. જોગરાણા અને શકિતસિંહ ગોહિલે આબીદની ફરિયાદ પરથી માજીદ ભાણુ સામે ગુનો નોંધ્યો છે. આબીદના કહેવા મુજબ શુક્રવારે સાંજે સાડા પાંચેક વાગ્યે હું મારા માસી હુરબાઇબેન કે જેઓ પહેલા ભીસ્તીવાડમાં રહેતાં હતાં તેનો સામાન ફેરવવાનો હોઇ જેથી હું તથા તે તેના મકાને ગયા હતાં. દરવાજો ખોલતા હતાં ત્યારે માજીદ ભાણુ ત્યાં આવ્યો હતો અને કહેલ કે તે મારું શું કરી લીધું? કહી ગાળો દઇ મારા રિઝવાન મામા હજી બહાર છે, તને જાનથી મારી નાંખશું તેવી ધમકી આપી ભાગી ગયો હતો.

મારા મામા યુસુફભાઇ અને હનીફભાઇને આ બાબતે મેં વાત કરતાં પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાવવા તેણે કહ્યું હતું. બનાવનું કારણ એવું છે કે ગત ૧૧ જાન્યુઆરીના રોજ મારા માસી હુરબાઇબેનના દિકરા મોહસીનની ધર્મેન્દ્ર રોડ પર રિયાઝ સહિતનાએ છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. અગાઉ નિઝામની હત્યા થઇ હોઇ તેમાં મોહસીનના મામા દલ ભાઇઓ સામેલ હતાં. તેની હત્યાનો બદલો લેવા નિર્દોષ મોહસીનને મારી નંખાયો હતો. એ બનાવમાં હું ફરિયાદી બન્યો હોઇ જેથી ખાર રાખી ધમકી અપાઇ છે. પોલીસે હત્યાના ગુનામાં આગઉ રિયાઝ ઇસ્માઇલ દલ, શાહરૂખ ઉર્ફ રાજા બાબુ જુણેજા સહિતને પકડી લેવાયા હતાં. રિઝવાન સહિત બે  હજુ ફરાર છે. (૧૪.૧૫)

 

(4:45 pm IST)