Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

લોઠડા પાસે ડમ્પરે બાઇકને ઉલાળતા ૨૩ વર્ષના અજયપરી ગૌસ્વામીનું મોત

પાણીપુરીની રેકડીએ પિતાને માલસામાન આપવા જતો'તોને કાળ ભેટી ગયો

રાજકોટ તા. ૨ : ભાવનગર રોડ પર આવેલા લોઠડા ગામ પાસે ડમ્પરના ચાલકે બાઇકને ઉલાળતા ચિત્રાવાવના યુવાનનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ ચિત્રાવાવ ગામમાં શીવજીના મંદિર પાસે રહેતા રમેશપરી કરશનપરી ગૌસ્વામી (ઉ.વ.૫૦)એ આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતાને બે પુત્રી અને બે પુત્ર છે. પોતે શીવજીના મંદિરમાં સેવાપુજા કરે છે અને છેલ્લા એકાદ માસથી મોટા પુત્ર અજય (ઉ.૨૩)એ લોઠડા ગામમાં ભાડાની રેકડી રાખી પાણીપુરીનો ધંધો શરૂ કર્યો હતો અને પોતે ત્યાં બેસે છે. ગઇકાલે પોતે નાનાપુત્ર વિપુલપરી સાથે નાસ્તાની રેકડીએ હતા ત્યારે મોટોપુત્ર અજય રેકડીએ માલસામાન આપવા માટે પોતાનું બાઇક લઇને આવ્યો હતો. માલસામાન આપીને તુરંત જ તે પરત ઘરે જવા માટે નિકળ્યો હતો. થોડીવાર બાદ ગામમાં જ એક વ્યકિતએ પોતાને કહેલ કે તમારા પુત્રનું લોઠડા ગામની આગળ પાવર સોલાર કંપની પાસે અકસ્માત થયેલ છે તેમ કહેતા પોતે નાના પુત્ર વિપુલ બંને તુરંત જ બનાવ સ્થળે પહોંચ્યા હતા. જ્યાં પુત્ર અજયપરી રોડની સાઇડમાં પેટ અને જમણા પગના સાથળના ભાગે ગંભીર ઇજા થયેલી હાલતમાં પડયો હતો. બાદ કોઇએ ૧૦૮ને ફોન કરતા ૧૦૮ના તબીબે તપાસ કરતા અજયનું મૃત્યુ નિપજ્યું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યાં જીજે૩એઝેડ-૧૨૯૨ નંબરનું ડમ્પર પણ પડેલું હતું જાણ થતાં આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ. ડી.એ.પરમાર સહિતે સ્થળ પર પહોંચી મૃતક અજયના પિતા રમેશપરી ગૌસ્વામીની ફરિયાદ પરથી જીજે૩એઝેડ-૧૨૯૨ નંબરના ડમ્પર ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(2:54 pm IST)