Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

રાજકોટ રહેતી જુનાગઢની એન્જિનીયરીંગની છાત્રા શ્રધ્ધા પરમારનો ફાંસો ખાઇ આપઘાત

દલિત યુવતિ બે વર્ષથી રાજકોટ રહી જીપીએસસીની તૈયારી કરતી'તીઃ આપઘાતના કારણ અંગે સ્વજનો પણ અજાણ

રાજકોટ તા. ૨: રાજકોટ રહી જીપીએસસીની પરિક્ષાની તૈયારી કરતી મુળ જુનાગઢની એન્જિનીયરીંગની છાત્રા દલિત યુવતિએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

જાણવા મળ્યા મુજબ કાલાવડ રોડ પર પરિમલ સ્કૂલ પાસે શકિતનગર-૧માં ગાયત્રી મંદિર પાસે પેઇંગ ગેસ્ટ તરીકે અમિતભાઇના મકાનમાં અન્ય ત્રણ છાત્રાઓ સાથે રહેતી મુળ જુનાગઢની શ્રધ્ધા મસરીભાઇ પરમાર (ઉ.૨૩) નામના છાત્રાએ ગત રાત્રે છતના હુકમાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધાની જાણ તેની સાથે રહેતી છાત્રાઓ મારફત પોલીસને થતાં યુનિવર્સિટીના હેડકોન્સ. હિતુભા ઝાલા અને કોન્સ. બોઘાભાઇએ ત્યાં પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. 

તેણીના માતા-પિતા પણ બનાવની જાણ થતાં રાજકોટ આવી ગયા હતાં. પોલીસના કહેવા મુજબ શ્રધ્ધા બે વર્ષથી રાજકોટ રહી જીપીએસસીની પરિક્ષાની તૈયારી માટે કલાસમાં જતી હતી. તેણીએ એન્જિનીયરીંગનો અભ્યાસ પણ કર્યો હતો. ગઇકાલે સાંજે ચારેક વાગ્યે તેની સાથેની છાત્રાઓ બજારમાં ખરીદી કરવા ગઇ હતી. તે સાડા આઠેક વાગ્યે પરત આવી ત્યારે શ્રધ્ધાએ ફાંસો ખાઇ લીધાની ખબર પડી હતી.

દિકરીએ શા માટે આપઘાત કર્યો? તે અંગે તેના માતા-પિતા પણ કંઇ કારણ જાણતા ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે. તેણીના પિતા નિવૃત શિક્ષક છે. લાડકી દિકરીના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.

(11:28 am IST)