Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

મોરબી રોડ પર સુખસાગર સોસાયટીના ગીતાબેન પટેલે ટ્રેન હેઠળ કૂદી જીવ દીધો

મૃતદેહનું પોટલુ વાળવું પડ્યું: ઘરેથી ફુલછોડ માટે માટી લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પગલું ભરી લીધું: માસુમ પુત્ર મા વિહોણો થયો

રાજકોટ તા. ૨: મોરબી રોડ પર નાની ફાટક પાસે સુખસાગર સોસાયટીમાં રહેતી ગીતાબેન રણછોડ ભુરીયા (ઉ.૩૦) નામની પટેલ પરિણીતાએ સવારે ઘર નજીક ટ્રેન હેઠળ પડતું મુકી દેતાં દેહના ટૂકડે ટૂકડા થઇ જતાં કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.

બનાવની જાણ થતાં બી-ડિવીઝનના પીએસઆઇ વી. કે. ઝાલા, કોન્સ. હરપાલસિંહ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે તપાસ કરતાં આપઘાત કરનાર મહિલાના વાલીવારસ મળી આવ્યા હતાં. સવારે ગીતાબેન ઘરેથી ફુલછોડના કુંડામાં નાંખવા માટેની માટી લેવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતાં અને બાદમાં આ પગલું ભરી લીધું હતું.

ગીતાબેનના પતિને રણછોડનગરમાં ઇમિટેશનની દૂકાન છે. સંતાનમાં એક પુત્ર છે જે મા વિહોણો થઇ ગયો છે. ગીતાબેનને બ્લડ પ્રેશરની તકલીફ હોવાનું પરિવારજનોએ કહ્યું હતું. કારણ બહાર ન આવતાં પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે.

(3:46 pm IST)