Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

મોરબીના કાળુભાઇ પરમાર અને જમાઇ દિલીપ પર રાજકોટમાં હુમલો

રૈયાધાર રહેતી દિકરીના ઘરેથી પરત જતાં હતાં ત્યારે દિકરીનો જેઠ મનિષ વાળા મકાનના ડખ્ખામાં પાવડાના હાથાથી તૂટી પડ્યોઃ પોતાના ભાઇને પણ ફટકાર્યો

રાજકોટ તા. ૨: મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે રહેતાં અને સફાઇ કામની મજૂરી કરતાં કાળુભાઇ શામજીભાઇ પરમાર (ઉ.૫૫) રાજકોટ રૈયાધારમાં રહેતી દિકરી મીના દિલીપ વાળાને ત્યાં ખબર પુછવા આવ્યા હોઇ પરત મોરબી જવા માટે સાંજે રામાપીર ચોકડીએ જમાઇ દિલીપ મુળજીભાઇ વાળા (ઉ.૩૦)ની સાથે પહોંચ્યા ત્યારે દિકરીના જેઠ મનિષ મુળજીભાઇ વાળાએ આવી પાવડાના ધોકાથી હુમલો કરી કાળુભાઇ અને પોતાના ભાઇ દિલીપને માર મારતાં બંનેને ઇજાઓ થઇ હતી.

 

કાળુભાઇ અને જમાઇ દિલીપ સારવાર માટે સિવિલ હોસ્પિટલે પહોંચતા દિલીપની પ્રાથમિક સારવાર અપાઇ હતી. જ્યારે કાળુભાઇને દાખલ કરવામાં આવતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરાઇ હતી. દિલીપના કહેવા મુજબ પોતે મોદી સ્કૂલમાં સફાઇ કામ કરે છે. ભાઇ મનિષ બાજુમાં જ રહે છે. પોતાને મકાન વેંચી જતાં રહેવાનું તે અવાર-નવાર કહેતો હતો. ગત સાંજે પોતે સસરાને મુકવા રામાપીર ચોકડીએ આવ્યો ત્યારે તે અચાનક આવ્યો હતો અને પાવડાના હાથાથી હુમલો કરી ભાગી ગયો હતો.

(11:52 am IST)