Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

સૌરાષ્ટ્ર હાઇસ્કુલમાં સંસ્કૃત પાઠશાળા શરૂ થશે

૧ર૧ વર્ષ જૂની સૌરાષ્ટ્ર હાઇસ્કુલ ટ્રસ્ટને મળેલી મંજૂરીઃ માર્ગદર્શક તરીકે પ્રો. ચોટલીયાની સેવા

રાજકોટ તા. ર :.. રાજકોટમાં પ્રથમ સંસ્કૃત પાઠશાળા શ્રી સૌરાષ્ટ્ર હાઇસ્કુલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષથી શરૂ કરવામાં આવી રહી છે. ૧ર૧ વર્ષ જુના શ્રી સૌરાષ્ટ્ર હાઇસ્કુલ   ટ્રસ્ટ દ્વારા રાજય સરકારશ્રી સમક્ષ સંસ્કૃત પાઠશાળા શરૂ કરવા માંગણી કરાઇ હતી. કમિશનર સ્કુલસ દ્વારા ધો. ૯ એટલે કે પ્રથમાની મંજૂરી મળતા હવે, શ્રી સૌરાષ્ટ્ર સંસ્કૃત પાઠવાળાનો આરંભ થશે.

આ અંગે માહિતી આપતા ટ્રસ્ટના પ્રમુખ ડો. ભદ્રાયુભાઇ વછરાજાની ટ્રસ્ટી હરદેવસિંહ જાડેજા, મુકેશભાઇ દોશી, ડો. નિદત્તભાઇ બારોટે જણાવ્યું હતું કે, રાજકોટમાં પ્રજાને એક આદર્શ પાઠશાળાની આવશ્યકતા છે. આ જરૂરીયાતની પૂર્ણ હેતુ આ વર્ષથી સંસ્કૃત પાઠશાળાનું પ્રથમ વર્ષ એટલે કે પ્રથમા શરૂ કરવામાં આવશે. ધો. ૮ પાસ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે. આવતીકાલથી શાળાએથી પ્રવેશ ફોર્મ ઉપલબ્ધ થશે. દસ દિવસ સુધી પ્રવેશ ફોર્મ આપવામાં આવશે અને ત્યારબાદ પ્રવેશ આપી પાઠશાળાનો પ્રારંભ થશે.

રૂ. પાંચ હજારની સત્ર ફી થી શાળા કાર્ય કરશે. જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપી કોઇ ઇચ્છુક વિદ્યાર્થી પાઠશાળાથી વંચિત ન રહે તેવું આયોજન કરવામાં આવનાર છે.

પાઠશાળાના સમય અને શકિત આપવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંસ્કૃત ભવનના પૂર્વ પ્રાધ્યાપક ડો. ચોટલીયાએ નવી શરૂ થનાર પાઠશાળામાં માર્ગદર્શક તરીકે સેવાઓ આપવા અને જરૂર પડયે પ્રાધાનાચાર્યની જવાબદારી નીભાવવા વિશ્વાસ વ્યકત કરતા ટ્રસ્ટીઓએ ડો. ચોટલીયાનો આભાર વ્યકત કરી તેમની નિષ્ઠાને બીરદાવી હતી.

(4:02 pm IST)