Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

રાજકોટ તાલુકાના ઠેબચડાના પ્રૌઢની હત્યાના ગુનામાં મહિલાની વચગાળાની જામીન અરજી રદ

રાજકોટ,તા.૨: રાજકોટ તાલુકાના ઠેબચડા ગામે જમીનનાં વિવાદમાં ગરાસીયા ખેડુતો પર કરાયેલા હુમલામાં ઘવાયેલા ગરાસીયા પ્રૌઢની હત્યાના ગુનામાં વધુ એક મહિલાની માનવતાના ધોરણે વચગાળાની કરેલી જામીન અરજી અદાલતે નકારી કાઢી ફગાવી દેતો હુકમ કર્યો છે.

વધુ વિગત મુજબ શહેરના ભાવનગર રોડ પર આવેલા ઠેબચડા ગામે ગત તા.૩૦ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ પોલીસની હાજરીમાં ખેડુતની પોતાની જ વાડીમાં કોળી જુથ દ્વારા તિક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવેલા હુમલામાં લગધીરસિંહ નવુભા જાડેજા નામના ૫૭ વર્ષના ગરાસીયા પ્રૌઢનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. જયારે અન્ય બે ઘવાતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતા. આ બનાવમાં આજી ડેમ પોલીસ મથકના સ્ટાફે હરેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદ પરથી મગન બીજલ રાઠોડ, મહેશ છગન રાઠોડ, ખોડા છગન રાઠોડ, સંજય મગન રાઠોડ, લક્ષમણ લાલજી રાઠોડ, લાભુબેન છગનભાઈ રાઠોડ, દેવુબેન મગનભાઈ રાઠોડ, દક્ષાબેન લક્ષમણભાઈ રાઠોડ, કાન્તાબેન રમેશભાઈ રાઠોડ, કલ્પેશ ભીખુ સોલંકી, સંજય ભીખુ સોલંકી, નાથા જેરામ, ખીમજી નાથાભાઈ, ભુપત નાથાભાઈ, રોનક નાથાભાઈ, પોપટ વશરામભાઈ, કેશુબેન વશરામભાઈ, ચનાભાઈ વશરામભાઈ, સામજી બચુભાઈ, અક્ષીતભાઈ છાયા સામે ગુનો નોંધી ૧૫ શખ્સોની ધરપકડ કરી હતી.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે હરેન્દ્રસિંહ સહિતના ખેડૂતની પોતાની જમીનનો કેસ સુપ્રિમ કોર્ટમાં જીતી ગયેલા તે જમીનમાં નહીં જવા દેતા પોલીસને જાણ કરતા પોલીસે આરોપીઓને સમજાવેલ છતાં નહીં સમજતાં વાતાવરણ તંગ જણાતા પોલીસે વધારાનો સ્ટાફ બોલાવેલ અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા પ્રયત્ન કરતા ત્યારે કોળી જુથ દ્વારા પોલીસની હાજરીમાં બનાવ બનેલ હતો. આ ગુનાના આરોપીઓ ત્યારથી જેલમાં છે. દરમિયાન આરોપી લાભુબેન છગનભાઇ રાઠોડે પોતાની બીમારી તેમજ બે પુત્રવધૂઓને delivery time હોવાથી અગાઉ કરેલી બધી કરવાની અરજી મંજૂર થઈ હતી તેનો સમય પૂરો થતાં વચગાળાના જામીન લંબાવવાની અરજી કરી હતી

બંને પક્ષોની રજુઆત બાદ સરકારી વકીલ રક્ષિત કલોલાએ રૂબરૂ દલીલ તેમજ મદદ માં રોકાયેલા ફરિયાદીના વકીલે લેખીત અને દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા.ઙ્ગ તમામ દલીલથી સહમત થઈ અધિક સેશ.જજ ડી. ડી. ઠક્કરે આરોપી લાભુબેન છગનલાલ રાઠોડની વચગાળાની જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે. આ કામમાં સરકાર પક્ષે એપીપી રક્ષિત કલોલા અને મુળ ફરિયાદી વતી રુપરાજસિંહ પરમાર, મનીષભાઈ પાટડીયા રોકાયા હતા.

(2:43 pm IST)