News of Wednesday, 2nd May 2018
રાજકોટ તા. ર : જમીન વળતર કેસમાં સરકાર સામે વળતર પેટે રૂા. ૩ કરોડથી વધુ રકમની મિલ્કત જપ્તીનું વોરંટના કેસમાં આજ બપોરે ર વાગ્યા પછી બજવણી થશે એવો નિર્દેશ કલેકટર કચેરીના સતાવાર વર્તુળોએ આપ્યો હતો.
દરમિયાન આ બાબતે કલેકટર કચેરીનો કોર્ટ કબજો લેશે કે જમીન સંપાદન કચેરીનો તે અંગે એડી.કલેકટરશ્રી હર્ષદ વોરાએ ‘‘અકિલા''ને ઉમર્યું હતું કે, વોરંટમા જે લખ્યુ હશે તે પ્રમાણે થશે. પરંતુ મને વિશ્વાસ છે ક ેસંભવત કબજો નહી લેવાય, અમે અપીલ કરીશું
એડી. કલેકટરશ્રી વોરાએ ઉમેર્યું હતું કે ધોરાજીનો જમીન સંપાદનનો આ કેસ છે, અને હાલ જમીન સંપાદન કચેરીના ડે.કલેકટર તરીકે મધ્યાહન ભોજન યોજનાના ડે. કલેકટર શ્રી પટેલ ચાર્જમાં છે, શ્રી પટેલે એડી. કલેકટર શ્રી હર્ષદ વોરાને જણાવેલ કે પોતાની જમીન સંપાદન કચેરીએ બપોરે ર વાગ્યા બાદ વોરંટની બજવણી થશે.
દરમિયાન એડી.કલેકટર શ્રી વોરાએ ‘‘અકિલા''ને જણાવેલ કે આ મામલામાં ગયા વીકમા જ સરકારને જાણ કરી દેવાઇ છે. ગ્રાંટ પણ માંગી લેવાઇ છે, હવે સરકારના નિર્દેશ મુજબ કાર્યવાહી થશે.
દરમિયાન આ કેસની વિગત મુજબ કેસની વિગત એવી છે કે આ કામના અરજદારો વિજયાબેન ગોરધનભાઈ પરસાણા વિગેરેઓની રાજકોટ ગામની ખેતીની જમીન કન્સ્ટ્રકશન ઓફ બાયપાસ એરાઉન્ડ ધ સીટી જોઈનીંગ રાજકોટ, જામનગર, રાજકોટ, મોરબી અને રાજકોટ-ગોંડલ રોડના કામ માટે સને ૧૯૯૫ની સાલમાં સંપાદન થયેલ. જે તે વખતે સરકારશ્રી દ્વારા એક ચો.મી.ના રૂા. ૨૦ વળતર પેટે અરજદારને ચુકવવા એવોર્ડ કરવામાં આવેલ. જે તે વખતે એવોર્ડ મુજબ રકમ રૂા. ૧,૩૭,૭૦૦ નો એવોર્ડ કરવામાં આવેલ. ઉપરોકત એવોર્ડથી નારાજ થઈ અરજદારે તેમના એડવોકેટ મારફત કલમ ૧૮ મુજબ નામદાર અદાલતમાં વધારાની રકમ મેળવવા લેન્ડ રેફરેન્સ કેસ નં. ૪૧૬/૧૯૯૮થી દાખલ કરેલ. ઉપરોકત કેસમાં તા. ૨૯-૯-૨૦૧૭ના રોજ નામદાર અદાલતે પોતાનો આખરી હુકમ કરી વધારાની રકમ રૂા. ૫૮૦ એક ચો.મી.ના આપવાનું ઠરાવેલ તેમજ પ્રથમ વર્ષના ૯ ટકા વ્યાજ તથા ત્યાર પછીના દરેક વર્ષના ૧૫ ટકા વ્યાજ તેમજ કલમ-૪ની તારીખથી એવોર્ડની તારીખ સુધીના પ્રતિવર્ષ ૧૨ ટકા લેખે ભાવ વધારો મંજુર કરેલ તેમજ ૩૦ ટકા સોલેશીયમ આપવાનું નામદાર અદાલતના આખરી હુકમમાં મંજુર કરવામાં આવેલ છે.
ત્યારબાદ ઉપરોકત લેન્ડ રેફરેન્સ કોર્ટમાં સરકારશ્રી દ્વારા નિયત સમયમાં અરજદારોને નામદાર અદાલતના હુકમ મુજબ વળતર ન ચૂકવતા અરજદારોએ તેમના એડવોકેટ દ્વારા દિવાની દરખાસ્ત દાખલ કરેલ, જેમાં સરકારશ્રીને તથા જરૂરી પક્ષકારોને નોટીસ બજ્યા બાદ પણ અરજદારોની નામદાર અદાલતના હુકમ મુજબની બહુ જ મોટી રકમ સરકારશ્રી દ્વારા જમા ન કરાવતા અરજદારોએ નામદાર અદાલતના હુકમ મુજબની રકમ જેટલુ જપ્તી વોરંટ કાઢી આપવાની માંગણી કરતા નામદાર અદાલતે તા. ૧૯-૪-ર૦૧૮ના રોજ સરકારશ્રી તથા જરૂર પક્ષકારોની સ્થાવર તેમજ જંગમ મિલકતોનું રૂા. ૩,૦૯,૧૩,૩૭૧/નું વોરન્ટ કાઢી આપવાનો હુકમ ફરમાવેલ છે.