Gujarati News

Gujarati News

News of Saturday, 2nd March 2019

ન્યારી તરફ ધસમસતા નર્મદા નીર : રાઉકીમાં નદી વહેતી થઇ

રાજકોટને પીવાના પાણીમાંથી સંપૂર્ણપણે ચિંતામુકત કરાવવા બદલ નરેન્દ્રભાઇ મોદી અને વિજયભાઇ રૂપાણીનો આભાર માનતા બિનાબેન આચાર્ય, બંછાનિધી પાની અને ઉદયભાઇ કાનગડ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે સોમવારે જામનગર ખાતે નર્મદાના નીર ન્યારી-૧ ડેમ પહોંચાડવા માટેના પ્રોજેકટનું લોકાર્પણ કરાશે

રાજકોટ તા. ૨ : 'સૌની યોજના'નાં પ્રણેતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની કલ્પનાને સાકાર કરવા રાજયના માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 'સૌની યોજના' હેઠળ થોડા વખત પૂર્વે નર્મદાનાં નીર આજી-૧ જળાશયમાં પહોંચાડવાનાં ભગીરથી પ્રોજેકટને સાકાર કરી શહેરની પીવાના પાણીની સમસ્યાને કાયમ માટે ભૂતકાળ બનાવી દીધી હતી. આ સિલસિલો વધુ એક કદમ આગળ ધપાવી મુખ્યમંત્રીશ્રીએ રાજકોટનાં વોટર મેનેજમેન્ટને જબરદસ્ત મજબુતી પ્રદાન થાય એ માટે હવે નર્મદાના નીર ન્યારી-૧ જળાશયમાં ઠાલવવા માટેનાં પ્રોજેકટને પણ સાકાર કરી રાજકોટવાસીઓને ચિંતામુકત કરી દીધા છે. આજે સિંચાઇ વિભાગ દ્વારા આજી-૧ ડેમ નજીક સ્થિત ત્રંબા ગામ પાસેથી શરૂ થઇ ન્યારી—ડેમ નજીકના રાઉકી ગામ સુધી પહોંચતી નર્મદા પાઈપલાઈનમાં પાણી વહેતું કરવા માટે ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું જે સંપૂર્ણપણે સફળ રહયું હતું અને આજે સવારે નર્મદા નીર રાઉકી ગામે પહોંચી ગયા હતાં. રાજકોટને પીવાના પાણીમાંથી સંપૂર્ણપણે ચિંતામુકત કરાવવામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા જેઓની રહી છે તે પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રત્યે મેયર બિનાબેન આચાર્ય, મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની અને સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન  ઉદયભાઈ કાનગડે સમગ્ર રાજકોટનાં નાગરિકો વતી ખુબખુબ આભારની લાગણી વ્યકત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તા. ૪નાં રોજ સવારે જામનગર ખાતે નર્મદાનાં નીર ન્યારી-૧ ડેમ પહોંચાડવા માટેનાં પ્રોજેકટનું લોકાર્પણ થશે.

કુલ ૨૫ ફૂટની ઊંડાઈ ધરાવતા ન્યારી-૦૧ ડેમમાં હાલ જળસપાટી ૮.૩૬ ફૂટ એટલે કે, તેમાં ૨૦૭ એમ.સી.એફ.ટી. પાણી છે જે મે ની શરૂઆત સુધી આ જથ્થો ચાલે એમ છે પરંતુ ન્યારી ઝોન હેઠળના વિસ્તારોને આગામી ચોમાસા સુધી નિયમિત પાણી પૂરું પાડી શકાય તે માટે સૌની યોજના મારફત પાણી મળવાનું શુરૂ થતા પાણી સમસ્યા હલ થઇ જશે. ન્યારી-૦૧ ડેમની અગાઉની કુલ ઊંડાઈ ૬.૬૫ મીટર હતી અને તેની ક્ષમતા ૯૪૪ એમ.સી.એફ.ટી. જલસંગ્રહની હતી. ત્યારબાદ ડેમની ઊંચાઈ ૧ મીટર વધારવામાં આવતા કુલ ઊંડાઈ ૭.૬૫ મીટર(૨૫ ફૂટ) થઇ છે અને ડેમની કુલ જલસંગ્રહ ક્ષમતા ૧૨૪૮ એમ.સી.એફ.ટી થયેલ છે એટલે કે, ડેમની પાણી સંગ્રહની ક્ષમતામાં ૩૩%નો વધારો થયેલ છે.

આ પાઈપલાઈનને મળતી ન્યારી-૦૧ ડેમમાં રોજનું ૭ એમ.સી.એફ.ટી. ઠલવાશે. વિસ્તૃત રીતે જોઈએ તો પ્રતિ કલાક ૮૨૩૨ કયુબિક મીટર એટલે કે, પ્રતિ સેકન્ડ ૨૨૩૨ લીટર પાણી ડેમમાં આવશે.

(3:19 pm IST)