Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

શાપર-વેરાવળ પાસે જુનાગઢના વેપારીને ૩ શખ્સોએ લુંટી લઇ કારના કાચ ફોડી નાખ્યા

વાહન અથડાવા મુદ્દે અગાઉ ઝઘડો થયા બાદ રાજકોટના રાહુલ બોરીચા સહીત ત્રણેયે કારનો પીછો કરી ગીરીશભાઇ આહીરને લુંટી લીધા

રાજકોટ, તા., ૧: શાપર-વેરાવળ પાસે કિસાન પેટ્રોલ પંપ નજીક જુનાગઢના વેપારીનેી કારનું રાજકોટના ૩ શખ્સોએ પીછો કરી લુંટી લીધા હતા અને બાદમાં કારના કાચ ફોડી નાખી નુકશાન કર્યુ હતું.

પ્રાપ્ત વિગતો મુજબ જુનાગઢ ગાંધીગ્રામ જાફર મેદાનની સામે રહેતા વેપારી ગીરીશ ભીખુભાઇ પીઠીયા (આહીર) ગત તા.ર૭ના રોજ રાજકોટથી જુનાગઢ જતા હતા ત્યારે શાપર-વેરાવળ કિસાન પેટ્રોલ પંપ પાસે કારની પાછળ બ્લેક કલરના એકટીવામાં આવી રાહુલ બોરીચા તથા તેની સાથેના બે અજાણ્યા શખ્સોએ કાર રોકાવી ગીરીશભાઇ તથા તેની સાથેના વ્યકિત સાથે ઝપાઝપી કરી ગીરીશભાઇના ખિસ્સામાંથી રોકડા રૂ. ૪૦૦૦ અને મોબાઇલ લુંટી લીધો હતો. આ ઝપાઝપીમાં ગિરીશભાઇનો દોઢ તોલાનો સોનાનો ચેઇન કયાંક પડી ગયો હતો. ત્યાર બાદ રાહુલ સહિતના શખ્સોએ કારના કાચ તોડી નાખી નુકશાન કર્યુ હતું.

પોલીસના જણાવ્યા મુજબ ગત મંગળવારે ફરીયાદી અને આરોપીઓ વચ્ચે રાજકોટમાં વાહન અથડાવા મુદ્દે બોલચાલીથઇ હતી અને તેનો ખાર રાખી રાહુલ સહિતના શખ્સોએ જુનાગઢના વેપારીને લુંટી લીધો હતો. શાપર પોલીસે રાહુલ સહિત ઉકત ત્રણેય શખ્સો સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(4:02 pm IST)