Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

ભગવતી પરાની ૧૪ વર્ષની સગીર પુત્રી ઉપરના બળાત્કાર કેસમાં સાવકા પિતાને ૧૦ વર્ષની સજા

માતા ભંગાર વીણવા જતા ત્યારે આરોપી પિતા દુષ્કૃત્ય કરતો હતો

રાજકોટ તા.૧: રાજકોટના જોઇન્ટ ડિસ્ટ્રીકટ જજ શ્રી એમ.એમ.બાબીએ આરોપી કાળુભાઇ રવજીભાઇ વઘાસીયા ઉ.વ.૫૮ વાળાને પોતાની સાવકી પુત્રી ઉ.વ.૧૪ વાળી ઉમર વારંવાર બળાત્કાર કરવા બદલ ૧૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસની વિગત એવા પ્રકારની છે કે, ભોગ બનનાર ઉવ.૧૪ વાળીની માતાએ આરોપી કાળુ રવજીભાઇ વઘાસીયા સાથે પુનઃલગ્ન કરેલ હતા જે સમયે ભોગ બનનારની ઉમર ૧૪ વર્ષની હતી અને તેણી સાવકા પિતા સાથે રહેતી હતી. ભોગ બનનારની માતા જયારે ભંગાર વીણવા માટે ઘરેથી નીકળતી ત્યારે આરોપી અને ભોગ બનનાર બાલીકા ઘરે એકલા રહેતા. આ સમય દરમ્યાન ભોગ બનનાર ઘરે એકલી હોય ત્યારે આરોપી ભોગ બનનાર ઉપર બળાત્કાર કરેલ હતો અને આ સમયે ભોગ બનનારે પોતાને છોડી દેવા માટે આરોપી સમક્ષ કરગરતા આરોપીએ તેને ધમકી આપેલ હતી કે, જો આ વાત કોઇને કરશે તો આરોપી તેને માતાને મારી નાખશે.

આવી બીકથી ભોગ બનનારે આ વાત કોઇને કરેલ ન હતી. ભોગ બનનારના આવા ડરનો લાભ લઇ આરોપી કાળુ ભોગ બનનારનું વારંવાર શોષણ કરવાનું ચાલુ રાકેલું. એક દિવસ ભોગ બનનાર સાથે આરોપી બળાત્ત્કાર કરતો હતો ત્યારે ભોગ બનનારની પાડોશીની દીકરીએ આ બનાવ નજરે જોયો હતો. પાડોશીની દીકરીએ આ બનાવની જાણ ભોગ બનનારની માતાને કરેલ હતી. આ પ્રકારે જાણ થતાં ભોગ બનનારની માતાએ આ બાળકી સમક્ષ વિસ્તૃત પુછપરછ કરેલ ત્યારે માતાને સમગ્ર બનાવની જાણ થયેલ. તેણીએ પોલીસમાં ફરીયાદ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરેલ હતું.

વધુમાં શ્રી સરકાર તરફે રજુઆત થયેલ કે, ભોગ બનનારની ઉમર ધ્યાનમાં લેતા બનેલ બનાવ અંગે જયારે તેણી કોર્ટ સમક્ષ જુબાની આપતી હોય ત્યારે તેણીના માનસપટ ઉપર સમગ્ર બનાવ ફરીથી જીવંત થતો હોય છે અને તેવા સંજોગોમાં જયારે તેણી જુબાની આપે ત્યારે પોલીસ સમક્ષના નિવેદન કરતા જુબાનીમાં વધુ ચોકસાઇ અને સ્પષ્ટતા આવે. આવી સ્પષ્ટતા અને ચોકસાઇને વિરોધાભાસ ગણી આરોપી નિર્દોષ હોવાના તારણ ઉપર આવવુ તે કાયદાકીય પ્રબંધો અને ન્યાય પ્રક્રિયા સાથે સુસંગત નથી. શ્રી સરકાર તરફની આ તમામ દલીલોને ધ્યાનમાં લઇ સેશન્સ કોર્ટે આરોપીને ઇ.પી.કો.ની કલમ-૩૭૬,૫૦૬ (૨), તથા ધી પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફોમ સેકસ્યુઅલ ઓફેન્સ એકટ-૨૦૧૨ની કલમ-૬ હેઠળ ગુનેગાર ઠરાવી દરેક કલમ હેઠળ કેદની સજાનો તેમજ દંડનો હુકમ કરેલ છે જે સંયુકત રીતે ગણતા આરોપીને ૧૦ વર્ષની સખત કેદની સજા તેમજ રૂ.૯,૦૦૦ નો દંડ ફરમાવવામાં આવેલ છે. વધુમાં કોર્ટે માનવીય અભિગમ દાખવી દંડની રકમ ભરપાઇ થાય ત્યારે ભોગ બનનારની માતાને વળતર પેટે તે રકમ ચુકવવા આદેશ કરેલ છે.

આ કેસમાં શ્રી સરકારતરફે જિલ્લા સરકારી વકીલ શ્રી સંજયભાઇ કે.વોરા રોકાયેલ હતા.

(4:32 pm IST)