Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

પ્રેમીએ જીવતી સળગાવેલી માંગરોળના કારેજની મહિલાને રાજકોટ ખસેડાઇ

કોળી મહિલા ભાવનાએ પ્રથમ પતિ સાથે છુટાછેડા લીધા'તાઃ બીજા પતિનું મૃત્યુ થયું એ પછી બે વર્ષથી દિનેશ રાઠોડ સાથે રહે છે

રાજકોટ તા. ૧: માંગરોળના કારેજ ગામમાં ચાર દિવસ પહેલા પતિ તરીકે સાથે રહેતાં પ્રેમીએ જીવતી સળગાવેલી કોળી મહિલાને કેશોદ, જુનાગઢ સારવાર અપાવ્યા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. મહિલાએ પોતાની જમીન વેંચીને બીજા ગામમાં રહેવા જવાની ના પાડતાં પ્રેમીએ તેને જીવતી સળગાવી હતી.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગત સાંજે દાખલ કરવામાં આવેલી ભાવનાબેન (ઉ.૩૨) નામની કોળી મહિલાએ પોતે ૨૭/૮ના સવારે કારેજ ગામે પોતાની વાડીએ હતી ત્યારે પતિ તરીકે સાથે રહેતાં પ્રેમી દિનેશ રાઠોડે કેરોસીન છાંટી સળગાવી દેતાં તેનો ૮ વર્ષનો દિકરો મીત નજીકમાં બકરા ચારતો હોઇ બૂમો સાંભળીને દોડી આવ્યો હતો અને પડોશીઓને બોલાવ્યા હતાં. ભાવનાબેનને કેશોદ, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ દાખલ કરાઇ છે.

જે તે દિવસે પોલીસની પુછતાછમાં તેણીએ પોતાને પ્રેમી દિનેશે સળગાવ્યાનું કહ્યું હતું. તેણીએ હોસ્પિટલના બિછાનેથી કહ્યું હતું કે તેના પ્રથમ લગ્ન સમીજાણાના યુવાન સાથે થયા હતાં. તે દારૂ પી મારકુટ કરતો હોઇ આઠ વર્ષ પહેલા છુટાછેડા લીધા હતાં અને બીજા લગ્ન ગોપાલ સાથે કર્યા હતાં. તેના થકી એક પુત્ર મિતનો જન્મ થયો હતો. તેનું કેન્સરથી મોત થયા બાદ છેલ્લા દોઢ-બે વર્ષથી તે લગ્ન કર્યા વગર જ દુરના ફઇજીના દિકરા દિનેશ રાઠોડ સાથે રહે છે. પોતાના નામે એકાદ કરોડની જમીન છે. આ જમીન વેંચીને રાજકોટ કે જુનાગઢ રહેવા જતાં રહેવાનું દિનેશ અવાર-નવાર કહેતો હતો. તેને જમીન વેંચવાની ના પાડતાં ઉશ્કેરાઇ જઇ સળગાવી દીધી હતી. તેમ વધુમાં તેણીએ જણાવ્યું હતું. (૧૪.૫)

(12:02 pm IST)