Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

પટેલ મહિલાને અમેરિકા જવાની લાલચ આપી, લાખો રૂપિયા પડાવ્યા

હવે છૂટાછેડા માગ્યા : કાગળો ઉપર સહિ ન કરે તો એસિડ ફેંકવા ધમકી : અમેરિકા જવા માટે કટકે કટકે માગેલા લાખો રૂપિયા અને દાગીના બીનદાસ્ત વાપરી નાખ્યા : સરકારી નોકરી કરતો હોવાની જૂઠી વાર્તા ઘડી કાઢેલ : નણદોયાએ પણ શારીરિક અડપલા કર્યા : મારકૂડ કરી

રાજકોટ તા. ૧ : અમદાવાદના નરોડામાં મધુવન સોસાયટીમાં રહેતા રીનાબહેન ભરતભાઈ પટેલ (૨૨) એ ૨૦૧૩માં તેમના વતન અરવલ્લીના ભાવિક પંચાલ સાથે થયા હતા. મનમેળ ન હોવાથી ૨૦૧૪ માં તેમણે છુટાછેડા લીધા હતા. દરમિયાન જુલાઈ ૨૦૧૬ માં તેમના કોઈ સંબંધી મારફતે એક વાત આવી હતી. જેમાં છોકરો સરકારી નોકરી કરતો હોવાનું અને તેનું અમેરિકા જવાનું નક્કી હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં બન્નેના પરિવારજનો એકઠા થયા હતા.

જેમાં જુલાઈ મહિનામાં ચાંદલોડીયામાં રહેતા અને હાલ કડીમાં રહેતા અમિત બળદેવભાઈ પટેલ સાથે સગાઈ થઈ હતી. રીનાબહેનના પિતા આ લગ્ન ધામધુમથી કરવા માંગતા હતા. પરંતું અમિતના સંબંધીઓએ અમિતને અમેરિકા જવાનું હોવાથી ખોટો ખર્ચ કરવાને બદલે કોર્ટમાં મેરેજ કરવાનું નક્કી કર્યું હતું. બાદમાં અમિતના સંબંધીઓએ લગ્નના ખર્ચના બચેલા રૂપિયા ઊછીના આપો તો અમિતના કાગળો તૈયાર કરવાનું કામ શરૂ કરી શકાય, એમ કહીને રીનાબહેનના પિતા પાસેથી અઢી લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ ૨૪ ઓકટોબરના રોજ બન્નેના કોર્ટમાં રજીસ્ટર્ડ મેરેજ થયા હતા.

લગ્ન બાદ અમિતના સંબંધીઓેએ રીનાબહેનના પિતા પાસેથી ટુકડે ટુકડે બીજા રૂ. ૩,૬૭,૦૦૦ લીધા હતા. રીનાબહેને પતિને અમેરિકા જવા બાબતે પુછતા તેમણે કાગળનુ કામ ચાલું હોવાનું અને થોડા સમયમાં થઈ જશે, એમ કહ્યું હતું. રીનાબહેનને શંકા જતા તેમણે તપાસ કરતા પતિ અમિતને કોઈ સરકારી નોકરી મળી ન હોવાનું જણાયું હતું. ઊપરાંત પોતાના પિતા પાસેથી લીધેલા પૈસા અને લગ્નમાં આપેલા દાગીના વેચી નાંખ્યા હોવાની ખબર પડી હતી.

સુરતથી આવેલા રીનાબહેનના નણદોઈ ઘનશ્યામકુમારે રીનાબહેન સાથે શારીરિક અડપલા કર્યા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. બાદમાં રીનાબહેનના પિતા અને ભાઈએ પૈસાની માંગણી કરતા અમિતના સંબંધીઓએ ત્રણ ચેક આપ્યા હતા. જોકે ત્રણેય ચેક એકાઊન્ટ કલોઝના શેરા સાથે પરત થયા હતા. ઊપરાંત છુટાછેડાનું લખાણ અને પૈસા ચુકવી દીધા હોવાનું લખાણ લઈને આવ્યા હતા.

પરંતું રીનાબહેન અને તેમના ભાઈએ લખાણ પર સહીઓ કરવાની ના પાડી દીધી હતી. આથી બન્ને નણદોઈઓ અને અમિતે રીનાબહેનને મારઝુડ કરી હતી. તેમણે ચુપચાપ છુટાછેડાના કાગળો પર સહી કરી આપજે અને રૂપિયા ભુલી જજો નહીતો તારા મોઢા પર એસિડ છાંટી ચહેરો બગાડી નાંખવાની ધમકી આપી હતી.

આ અંગે રીનાબહેને નરોડા પોલીસ સ્ટેશનમાં પતિ અમિત, સાસુ જશુબહેન, નણદોઈ ઘનશ્યામભાઈ પટેલ, મનોજકુમાર પટેલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસે તપાસ આદરી છે.

(3:51 pm IST)