Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

નવા કલેવર-ફલેવરની સુવિધા સાથે એસ.ટી. લોકોની સેવામાં રજુ થશેઃ વિજયભાઈ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ ખાતે ૪૫ કરોડથી વધુના ખર્ચે નિર્માણ થઈ રહેલ આઈકોનીક બસ ટર્મિનલની મુલાકાત લીધીઃ વિદેશ જેવી સુવિધા

રાજકોટમાં બની રહેલ નવા અદ્યતન બસ સ્ટેશનની મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ કર્યુ હતુ

 

રાજકોટ, તા. ૧ :. રાજકોટ ખાતેના જુના બસ ટર્મિનલ તથા ડેપો અને વર્કશોપ ખાતે હાલ પીપીપી ધોરણે રૂ. ૪૫.૨૩ કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલ નવા આઈકોનીક બસ ટર્મિનલ તથા અદ્યતન ડેપો-વર્કશોપની ચાલી રહેલી કામગીરીની મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ મુલાકાત લીધી અને કામગીરીની ઝીણવટભરી સમિક્ષા કરી હતી.

આ કામગીરીની ઝીણવટભરી સમિક્ષા કર્યા બાદ આ તકે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે, રાજકોટ વિકાસની દિશામાં સતત આગળ વધી રહ્યું છે ત્યારે રાજકોટને નવું આઈકોનીક બસ પોર્ટ ટૂંક સમયમાં મળી રહેશે. નવા કલેવર અને ફલેવરની અદ્યતન સુવિધા સાથે એસ.ટી. લોકોની સેવામાં રજુ થશે. જેમાં વિદેશમાં મળતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે.

રાજકોટ તેના જૂના બસ ટર્મિનલ તથા ડેપો અને વર્કશોપની જગ્યામાં ડીઝાઈન, બિલ્ટ, ફાઈનાન્સ, ઓપરેટ અને ટ્રાન્સફર (ડીબીએફઓટી) મોડલ હેઠળ નિર્માણ થઈ રહ્યું છે. રાજકોટના બસ સ્ટેન્ડમાં દરરોજ ૨૦૦૦થી વધુ બસોની ફ્રિકવન્સી છે અને ૮૦,૦૦૦ જેટલા મુસાફરોનું પરીવહન થાય છે. આ આધુનિક બસ ટર્મિનલ કુલ ૧૧૫૮૯.૩૧ ચો.મી.માં તૈયાર થઈ રહેલ છે. જેનો બિલ્ટ અપ એરીયા ૫૧૯૨૭.૭૨ ચો.મી. તથા એફ.એસ.આઈ. બીલ્ટ અપ એરીયા ૨૨૯૪૫.૮૫ ચો.મી. છે. આ ઉપરાંત અમદાવાદ, બરોડા, સુરત બાદ રાજકોટ, મહેસાણા, પાલનપુર, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં નવા બસપોર્ટનું નિર્માણ થઈ રહ્યુ છે.

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્યશ્રીઓ અરવિંદભાઈ રૈયાણી, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, શ્રીમતિ અંજલીબેન રૂપાણી, મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, કલેકટર ડો. રાહુલ ગુપ્તા, મ્યુનિ. કમિ. બંછાનીધિ પાની, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, એસ.ટી. વિભાગીય નિયામક શ્રી જેઠવા અને અન્ય અધિકારીઓ, બાંધકામ એજન્સીના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.(૨-૯)

(11:59 am IST)