Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

બિનઅનામત વર્ગોને શૈક્ષણિક-આર્થિક યોજનાના લાભાલાભઃ ભંડેરી-ભારદ્વાજ

જીપીએસસી પરીક્ષામાં પણ સવર્ણો માટે વયમર્યાદા વધારવા ભલામણ

રાજકોટ, તા. ૧ :. ગુજરાત મ્યુ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની સંયુકત યાદીમાં જણાવાયુ છે કે પ્રગતિશીલ, નિર્ણાયક, સંવેદનશીલ અને પારદર્શક સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી ભાજપ શાસિત સરકારે બિનઅનામત વર્ગો માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

સરકારે અનામત વર્ગની જેમ બિનઅનામત વર્ગના લોકોને પણ પ્રમાણપત્ર આપવામાં આવશે. આ નિર્ણયથી બિનઅનામત વર્ગોને રાજ્ય સરકારને શૈક્ષણિક અને આર્થિક યોજનાઓના લાભ માટે બિનઅનામત વર્ગનું પ્રમાણપત્ર અપાશે. પ્રમાણપત્ર આપવાની સત્તા તાલુકા વિકાસ અધિકારીથી લઈ કલેકટર કક્ષાના અધિકારીઓને સોંપવામાં આવી છે. આ માટે રાજ્ય સરકારે ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કરી છે. જે યોજનાના લાભે બિનઅનામત વર્ગની જ્ઞાતિઓને આપવા માટે પ્રમાણપત્ર આપવામાં આવશે જેનાથી આ પ્રમાણપત્રો નિગમની યોજનાઓનો લાભ લેતા સમયે જોડવાના રહેશે.

વધુમાં જણાવ્યુ કે, રાજ્ય સરકારના આ નિર્ણયથી જીપીએસસીની પરિક્ષામાં બેસવા માટે સવર્ણો માટે પણ વય મર્યાદા વધારવામાં આવે તેમજ એસસી-એસટીના વિદ્યાર્થીઓ માટે બનાવાયેલી સમરસ હોસ્ટેલમાં જો જગ્યા ખાલી પડે તો સવર્ણોને પણ પ્રવેશ અપાય તે માટે ભલામણો કરવામાં આવી છે.

બિનઅનામત વર્ગોની જરૂરીયાતને જાણવા માટે રાજ્ય સરકાર તરફથી દરેક જિલ્લામાં સર્વે કરાવવામાં આવશે. તેના માટે દરેક જિલ્લામાંથી વિવિધ પ્રકારના ૫૦૦-૬૦૦ જેટલા સેમ્પલ લેવામાં આવશે. આ ઉપરાંત બેથી ચાર ટકાના દરે એજ્યુકેશન લોન, વિદેશ અભ્યાસ માટે લોન આપવા પણ રાજ્યની ભાજપ સરકાર દ્વારા વિચારણા હાથ ધરાઈ છે. તેમ અંતમાં ધનસુખ ભંડેરી, નિતીન ભારદ્વાજ, કમલેશ મિરાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જણાવ્યુ છે.

(4:26 pm IST)