Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

ઠેબચડાના પ્રૌઢની હત્યા કેસમાં અક્ષિત છાયાની વચગાળાની જામીન અરજી નામંજુર

કોરોનાની મહામારીથી બચવાનું કારણ બતાવી ૩૦ દિવસના જામીન માંગેલા

રાજકોટ તા. ૧: રાજકોટ તાલુકાના ઠેબચડા ગામે જમીનનાં વિવાદમાં ગરાસીયા ખેડુતો પર કરાયેલા હુમલામાં ઘવાયેલા ગરાસીયા પ્રૌઢની હત્યાના ગુનામાં અક્ષીત છાયાએ કોરોનાની મહામારીની બિમારીની આરોગ્ય ઉપર અસર પડે તેમજ અન્ય કારણથી ૩૦ દિવસની વચગાળાની કરેલી જામીન અરજી અદાલતે નકારી કાઢી ફગાવી દેતો હુકમ કર્યો છે.

વધુ વિગત મુજબ શહેરના ભાવનગર રોડ પર આવેલા ઠેબચડા ગામે ગત તા. ૩૦ ના રોજ પોલીસની હાજરીમાં ખેડુતની પોતાની જ વાડીમાં કોળી જુથ દ્વારા તિક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવેલા હુમલામાં લગધીરસિંહ નવુભા જાડેજા નામના પ૭ વર્ષના ગરાસીયા પ્રૌઢનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. જયારે અન્ય બે ઘવાતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતા. આ બનાવમાં આજીડેમ પોલીસ મથકના સ્ટાફે હરેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદ પરી મગન બીજલ રાઠોડ, મહેશ છગન રાઠોડ, ખોડા છગન રાઠોડ, સંજય મગન રાઠોડ, લક્ષમણ લાલજી રાઠોડ, લાભુબેન છગનભાઇ રાઠોડ, દેવુબેન મગનભાઇ રાઠોડ, દક્ષાબેન લક્ષમણભાઇ રાઠોડ, કાન્તાબેન રમેશભાઇ રાઠોડ, કલ્પેશ ભીખુ સોલંકી, સંજય ભીખુ સોલંકી, નારણ જેરામ, ખીમજી નારણભાઇ, ભુપત નાથાભાઇ, રોનક નાથાભાઇ, પોપટ વશરામભાઇ કેશુબેન વશરામભાઇ, ચનાભાઇ વશરામભાઇ, સામજી બચુભાઇ, અક્ષીતભાઇ છાયા સામે ગુનો નોંધી ૧પ શખ્સોની ધરપકડ કરી હતી.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે હરેન્દ્રસિંહ સહિતના ખેડૂતની પોતાની જમીનનો કેસ સુપ્રિમ કોર્ટમાં જીતી ગયેલા તે જમીનમાં નહીં જવા દેતા પોલીસને જાણ કરતા પોલીસે આરોપીઓને સમજાવેલ છતાં નહિં સમજતાં વાતાવરણ તંગ જણાતા પોલીસે વધારાનો સ્ટાફ બોલાવેલ અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેવા પ્રયત્ન કરતા ત્યારે કોળી જુથ દ્વારા પોલીસની હાજરીમાં બનાવ બનેલ હતો.

આ ગુનામાં અક્ષીત કદમકાંત છાંયા નામના શખ્સે રાજકોટ કોર્ટમાં કોરોનાની મહામારીથી પોતાના સ્વાસ્થ્ય ઉપર અસર પડે તેમ હોવાથી વચગાળાની જામીન અરજી કરી હતી. જેમાં બંને પક્ષોની રજુઆત બાદ સરકારી વકીલ રક્ષીત કલોલા અને મુળ ફરીયાદીના એડવોકેટ રૂપરાજસિંહ પરમારની ધારદાર દલીલ તેમજ લેખીત અને દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા. જેમાં જો અક્ષીત છાંયાને જામીન મંજુર કરવામાં આવશે તો પુરાવાનો નાસ અને સાક્ષીઓને છોડવામાં આવશે અને અન્ય આરોપીની ધરપકડ કરવાની બાકી છે. તમામ દલીલથી સહમત થઇ અધિક સેશ. જજ પી. એન. દવેએ અક્ષીત છાંયાની વચગાળાની ૩૦ દિવસ જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે. આ કામમાં સરકાર પક્ષે એપીપી રક્ષીત કલોલા અને મુળ ફરિયાદી વતી એડવોકેટ રુપરાજસિંહ પરમાર, અજીત પરમાર, મનીષભાઇ પાટડીયા, કુલદિપસિંહ જાડેજા અને ભરત સોમાણી રોકાયા છે.

(3:27 pm IST)