Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

આચારાંગ સૂત્રના ૧૨ ભાગોનું વિમોચન સંપન્ન

જાગનાથ જૈન સંઘના ઉપક્રમે ૧૨ વર્ષની જહેમતથી તૈયાર થયેલ

રાજકોટઃ ભગવાન મહાવીરનો અદ્ભૂત અને ગંભીર ઉપદેશ જે ગ્રંથોમાં સમાયેલો અને સચવાયેલો છે તેને 'આગમ' કહેવાય છે. હાલના સમયમાં આવા '૪૫' આગમો ઉપલબ્ધ છે. આ આગમોમાં સૌથી પહેલુ આગમ એટલે આચારાંગ સૂત્ર. આ સૂત્રોમાં પ્રભુવીરની વાણી સાક્ષાત પડઘાય છે. અધ્યાત્મ માર્ગે આગળ વધવા ઈચ્છતા સાધકોને બહુ અદ્ભૂત માર્ગદર્શન આ સૂત્રોમાં આપવામાં આવ્યુ છે. સાથે જૈન સાધુઓના આચાર અને વ્યવહારને પણ સુરેખ રીતે નિરૂપવામાં આવ્યો છે. આ સૂત્રો 'અર્ધમાગધી' ભાષામાં ૨૫૦૦ વર્ષ પૂર્વે રચાયા છે અને ખૂબ ગૂઢ-ગંભીર રહસ્યોથી ભરેલા છે. પ્રભુવીરનો સંદેશ આ આગમ સૂત્રો દ્વારા જ વર્તમાન સમય સુધી પહોંચ્યો છે.

આ આગમને સ્પષ્ટ કરવા માટે, તેના રહસ્યોને ઉજાગર કરવા માટે અનેક પ્રકારનું વ્યાખ્યાસાહિત્ય લખાયુ છે. તેમા સૌથી પ્રાચીન વ્યાખ્યા એટલે 'ચૂર્ણિ'. આ પ્રાકૃત ભાષામાં લખાઈ છે અને તેમા ઘણાં જ ઐતિહાસિક, ધાર્મિક, વૈજ્ઞાનિક રહસ્યો છુપાયેલા છે. આ સાહિત્યને પ્રાચીન હસ્તપત્રો / હાથે લખાયેલ પ્રાચીન સાહિત્યના આધારે સંશોધિત કરવાની વર્ષોથી જરૂરત હતી. ઘણું જ શ્રમસાધ્ય આ કાર્ય કોઈ સંશોધકની વાટ જોઈ રહ્યુ હતું.

શ્રી જાગનાથ જૈન સંઘમાં બિરાજમાન પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી યશોવિજયસૂરીશ્વરજી મહારાજાના આશિર્વાદથી તેમના જ પ્રથમ શિષ્યરત્ન પૂજ્ય મુનિ શ્રી અનંતયશવિજયજી મહારાજે આ કાર્ય કરવાનું બીડુ ઝડપ્યું અને આખરે બાર વર્ષની ભારે જહેમત પછી આચારાંગ સૂત્ર - પહેલા આગમની ચૂર્ણિ તથા વ્યાખ્યા - બન્ને ગ્રંથનું સંશોધન તેમણે પરિપૂર્ણ કર્યુ. આ રવિવારે તે ગ્રંથનું બાર વિભાગમાં ભવ્ય વિમોચન શ્રી જાગનાથ જૈન સંઘના આંગણે યોજાઈ ગયું.

શ્રી જાગનાથ જૈન સંઘના ટ્રસ્ટી ગણ, શ્રી પ્રહલાદપ્લોટ જૈન સંઘના ટ્રસ્ટી ગણ તથા શ્રીપંચવટી જૈન સંઘના ટ્રસ્ટી ગણ, આદિના હસ્તે આ વિમોચન સંપન્ન થયું. આ તકે પૂજ્ય આચાર્યભગવંતશ્રીએ જણાવ્યું કે - આજના જ દિવસે આ ગ્રંથોનું વિમોચન અમદાવાદ મુકામે પણ થઈ રહ્યું છે ત્યાં પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ, પૂજ્ય સંઘ-શાસનકૌશલ્યાધાર શ્રી જયસુંદરસૂરીશ્વરજી મહારાજ આદિના આશિર્વાદથી ભવ્ય મહોત્સવનું આયોજન થયું છે. મુનિશ્રી હાલ અમદાવાદમાં જ બિરાજમાન છે. તેમના સંયમજીવનના ૨૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. સાથે વર્ધમાન તપની ૧૦૦મી ઓળીનું પારણું પણ તેમનુ થવા જઈ રહ્યુ છે. તપની દુનિયામાં વર્ધમાન તપની ૧૦૦ ઓળી એક અઘરો અને લાંબો તપ છે, જે કરતા કમસેકમ ૧૫ વર્ષ જેટલો સમય લાગી જાય છે.

મુનિરાજ શ્રી અનંતયશવિજયજીના સંયમજીવનના ૨૫ વર્ષ પૂર્ણ કરી, વર્ધમાન તપની ૧૦૦ ઓળી પૂર્ણ કરી આચારાંગ સૂત્રના કાર્યને પણ સંપન્ન કરી શકયા છે, તેથી તેમની ધીરજ, સાત્વિકતા, દ્રઢ નિશ્ચિય વગેરેના કારણે શકય બન્યું છે.

આ પ્રસંગે સર્વેએ મુનિભગવંતના પુરૂષાર્થની અનુમોદના કરી હતી.

(4:49 pm IST)