Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

માધાપર ચોકડી પાસે શ્રીરામ પાર્કમાં ભરવાડ પરિણીતાનો બાથરૂમમાં ફાંસો ખાઇ આપઘાત

કુવાડવા માવતર ધરાવતી મીરાબેન ચાવડીયા (ઉ.૨૬)ના આપઘાતથી માસુમ પુત્ર મા વિહોણો

રાજકોટ તા. ૧: માધાપર ચોકડીથી બ્રીજ ઉતરતાં સંતોષીનગર ફાટક તરફ જવાના રસ્તે શ્રીરામ પાર્ક-૨માં રહેતી ભરવાડ પરિણીતા મીરાબેન દિલીપ ચાવડીયા (ઉ.૨૬)એ સાંજે ઘરના બાથરૂમમાં ફુવારાના પાઇપમાં દોરીથી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

બનાવ અંગે પોલીસ કન્ટ્રોલ રૂમના ઇન્ચાર્જ રાજુભાઇ મકવાણાએ જાણ કરતાં પ્ર.નગરના પીએસઆઇ બી. પી. વેગડા અને રાઇટર બાબુલાલ ખરાડીએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે આપઘાત કરનાર મીરાબેનના માવતર કુવાડવા રહે છે. તેણીના લગ્ન સાત વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં પાંચ વર્ષનો પુત્ર છે. પતિ દિલીપભાઇ મુકેશભાઇ ચાવડીયાને નવરંગપરામાં કારખાનુ છે. પતિ કારખાને હતાં અને સાસુ ઉપરના રૂમમાં હતાં ત્યારે મીરાબેને બાથરૂમમાં જઇ ફુવારાના પાઇપમાં દોરી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. પતિ રાત્રે પોણા દસેક વાગ્યે ઘરે આવ્યા ત્યારે બનાવની ખબર પડતાં ૧૦૮ બોલાવી હતી. પરંતુ તેના ઇએમટી ચિરાગભાઇ પરમારે તેને મૃત જાહેર કરતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો.

બનાવને પગલે માસુમ પુત્ર મા વિહોણો થઇ ગયો છે. પરિવારજનો આપઘાતનું કારણ જાણતા નથી. પોલીસ મૃતકના માવતર પક્ષના નિવેદન નોંધશે. કારણ બહાર ન આવતાં તપાસ યથાવત રાખવામાં આવી છે.

(3:26 pm IST)