ઝવેરચંદ મેઘાણીની વાણીમાં દેશપ્રેમ અને કલમમાંથી શૌર્યરસ ટપકતો હતો : વિજયભાઇ
૭૨મી પુણ્યતિથિએ ભાવાંજલિ અર્પતા મુખ્યમંત્રી: રાત્રે બોટાદમાં ડાયરો
રાજકોટ તા. ૯ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૭૨મી પુણ્યતિથિ — ૯ માર્ચ ૨૦૧૯ ને શનિવાર — રાત્રે ૯ કલાકે — એમની કર્મ-નિર્વાણભૂમિ બોટાદ (જૂનું માર્કેટ યાર્ડ, પાળિયાદ રોડ) ખાતે 'કસુંબીનો રંગ'લોકડાયરાનું ભવ્ય આયોજન ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા થયું છે. નવી પેઢી આપણાં સાહિત્ય-સંગીત-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ રાષ્ટ્રભાવના-દેશપ્રેમ જાગૃત થાય તે આશયથી છેલ્લા નવ વર્ષથી સતત આયોજિત થઈ રહેલ આ પ્રેરક કાર્યક્ર્મમાં માતૃભૂમિની રક્ષા કાજે પ્રાણની આહૂતિ આપનાર વીર શહીદ જવાનોને 'સ્વરાંજલિ' અર્પણ થશે. ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, લલિતાબેન ઘોડાદ્રા અને રાધાબેન વ્યાસ ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવશે. લોકસાહિત્યકાર-હાસ્યકાર હરિસિંહ સોલંકી ઝવેરચંદ મેઘાણીનાં જીવન-કવન વિશે રસપ્રદ વાતો કહેશે. જાણીતા સંગીતકાર અને ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીના ચેરમેન પંકજ ભટ્ટનું સૂરીલું સંગીત-નિયોજન છે.
ગુજરાતના સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઝવેરચંદ મેઘાણીને ૭૨જ્રાક પુણ્યતિથિ અવસરે ભાવાંજલિ અર્પણ કરી છે તથા 'કસુંબીનો રંગ' કાર્યક્ર્મ માટે શુભેચ્છા પાઠવતો લાગણીસભર પત્ર પિનાકી મેઘાણીને લખ્યો છે. મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી લખે છે ૅં 'જેમની વાણીમાં દેશપ્રેમ અને કલમમાંથી શૌર્યરસ ટપકતો હતો એવા દેશદાઝની જીવંત મશાલરૂપ અને લોકસાહિત્યના મર્મી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી આપણી ભૂમિનું હીર હતા. એમના શબ્દે-શબ્દે કસુંબીનો રંગ ઘોળાતો હતો. યુવા પેઢી માટે રાષ્ટ્રના પ્રહરી એવા સૈનિકોના બલિદાનની ગાથા અને શૂરાતનની કથા જાણવી એટલી જ જરૂરી છે. મેઘાણી-ગીતોનાં પ્રત્યેક શબ્દ અને કડી આપણા યુવા વર્ગ માટે રાષ્ટ્ર પર ન્યોછાવર થવાનું જોમ પેદા કરનારાં બને તથા આ કાર્યક્ર્મ રાષ્ટ્રીય શાયરની રાષ્ટ્રનિષ્ઠાને સો સો સલામું કરનારો બની રહે એવી અખંડ કામના સાથે અપૂર્વ શ્રધ્ધાંજલિ.'
'કસુંબીનો રંગ'કાર્યક્ર્મને માણવા સહુ રસિકજનોને પિનાકી મેઘાણી (મો. ૯૮૨૫૦૨૧૨૭૯)નું ભાવભર્યું જાહેર નિમંત્રણ છે. વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓ આ ભાવાંજલિ કાર્યક્ર્મને ઘર બેઠા નિહાળી શકે તે માટે તેનું ઈન્ટરનેટ પર જીવંત પ્રસારણ (વેબકાસ્ટ) www.eevents.tv/meghani પર થશે.
સંકલન : પિનાકી નાનકભાઈ મેઘાણી
ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન
મોબાઈલ : ૯૮૨૫૦ ૨૧૨૭૯