ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુરમાં મહાત્મા ગાંધીને ભાવાંજલી અર્પણ
રાજકોટ, તા.૧૩: ૧૨ માર્ર્ચ ૧૯૩૦ મહાત્મા ગાંધીએ અમદાવાદ ખાતે પોતે સ્થાપેલા સાબરમતી આશ્રમથી ૭૯ સત્યાગ્રહીઓ સાથે પગપાળા 'દાંડી યાત્રા'નો પ્રારંભ કર્યો. આ ઐતિહાસિક પ્રસંગની ૮૯મી જયંતી અવસરે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેદ્યાણીની કર્મભૂમિ રાણપુર સ્થિત ક્રાંતિકારી જૈન મુનિશ્રી સંતબાલજી પ્રેરિત અગ્રગણ્ય ખાદી સંસ્થા ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ખાતે મહાત્મા ગાંધીને ભાવાંજલિ અર્પણ થઈ. એપ્રિલ ૧૯૨૫માં મહાત્મા ગાંધી રાણપુર આવેલા. રાણપુર સુધરાઈએ ગાંધીજીને 'માનપત્ર' અર્પણ કરેલું. 'સૌરાષ્ટ્ર'-'ફૂલછાબ' પ્રેસ કાર્યાલયમાં ગાંધીજીએ રાતવાસો કરેલો ત્યારે એમની સાથે ઝવેરચંદ મેઘાણીની સહુપ્રથમ મુલાકાત થયેલી. ૧૯૩૧માં બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ઈંગ્લેન્ડ જઈ રહેલા ગાંધીજીની મનોવ્યથાનું સચોટ નિરૂપણ કરતું કાવ્ય 'છેલ્લો કટોરો' ઝવેરચંદ મેઘાણીએ ૨૭ ઓગસ્ટના રોજ રાણપુરમાં લખ્યું ને 'રાષ્ટ્રીય શાયર'નું ગૌરવભર્યું બિરુદ મહાત્માજી પાસેથી પામ્યા. આથી અહિ ભાવાંજલિનું સવિશેષ મહત્વ રહ્યું હતું. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, ૨૮ વર્ષથી ખાદી ક્ષેત્રમાં કાર્યરત ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના સેવાભાવી ચેરમેન ગોવિંદસંગભાઈ ડાભી, સેક્રેટરી હરદેવસિંહ રાણા, માર્કેટીંગ મેનેજર રણજિતભાઈ બારોટ, એકાઉન્ટસ મેનેજર કલ્પેશભાઈ શાહ, હસુભાઈ કાગરેટિયા, હેતલબેન વાઘેલા, દિપ્તીબેન વાઘેલા, ભૂમિકાબેન પટેલ, વાહીદભાઈ ખલીફા, ઘનશ્યામભાઈ ગોંડલિયા સહિત સંસ્થાનાં ખાદીકામનાં કારીગર બહેનો-ભાઈઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં. ઝવેરચંદ મેઘાણીનાં ગાંધીજી સાથેનાં લાગણીસભર સંભારણાં પિનાકી મેઘાણીએ વાગોળ્યાં હતાં. નવી પેઢીને ખાદી પહેરવા તેમજ ખરીદવાની પ્રેરણા ગોવિંદસંગભાઈ ડાભીએ આપી હતી. છ દાયકાથી કાર્યરત ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ દ્વારા આર્થિક-સામાજિક રીતે વંચિત અને ગ્રામીણ વિસ્તારમાં વસતી બહેનોને ઊની ખાદીનાં હાથ-વણાટનાં વિવિધ કાર્યો દ્વારા સ્વરોજગાર આપવામાં આવે છે જે ખાસ ઉલ્લેખનીય છે.લોકલાગણીને માન આપીને, આગામી ૬ એપ્રિલ ૨૦૧૯ના રોજ 'સિંધુડો' – ધોલેરા સત્યાગ્રહની ૮૯મી જયંતી અવસરે રાણપુર ખાતે 'કસુંબીનો રંગ' સ્વરાંજલિ કાર્યક્ર્મનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે જેમાં ગુજરાતના ખ્યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, લલિતાબેન ઘોડાદ્રા, રાધાબેન વ્યાસ અને પંકજ ભટ્ટ ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવશે.
આલેખનઃ પિનાકી નાનકભાઈ મેઘાણી. ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન (મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)