પુરૂષોતમ ગુરૂ તું...!
વિષ્ણુ સહસ્ત્રનામ-જપ કલ્યાણકારી-શુભફળદાતા
જીવનમાં દુઃખ તો આવે અને એ દુઃખોનો સામનો કરીને વિજય પ્રાપ્ત કરીએ એમ મનાય છે. કે જો દુઃખ વિનાનું જીવન હોત તો વિજય શબ્દ જ અસ્તિત્વમાં આવ્યો હોત નહી માટે જ કહેવાય છે કે આ જીવનમાં વિજયી થવુ હોય તો દુઃખનો સામનો કરવાનું મનોબળ કેળવવું પડે છે.
સંસારમાં જેમ દુઃખ છે. તેને મીટાવવા માટે શકિત મેળવવાના ઉપાયો પણ કરવા પડે. કુરૂક્ષેત્રના ૧૮ દિવસના મહાભારતના યુદ્ધ બાદ બંને પક્ષે મોટી તારાજી થઇ હતી અને યુદ્ધનું દુશ્ય પરિણામ જોઇને યુધિષ્ઠિર બાહ્ય વ્યથિત થઇ ગયા હતા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને બાણશૈયા પર પડેલ ભિષ્મપિતામહ પાસે લઇ ગયા ભીષ્મપિતામહે ધર્મરાજને શ્રી વિષ્ણુના અતિદિવ્ય એક હજાર નામનું જ્ઞાન આપ્યું જેનાથી યુધિષ્ઠિરનો તમામ સંતાપ, દુર થયો હતો.
જો કે યુધિષ્ઠિરની સાથે અત્યારના કળીયુગના માનવીને રાખી શકાય નહી કારણ કે યુધિષ્ઠિર જેવી નિર્દોષ બુદ્ધિ કળીયુગના માનવી પાસે નથી.
ભગવાન વિષ્ણુના એક હજાર નામમાં અનેક સદ્દગુણ અને સમર્થ્ય સાથે દિવ્યતત્વ પણ છે.વિષ્ણુ સહસ્ત્રનામ જપ કલ્યાણકારી અને શુભફળ દાતા અવશ્ય છે.
વિષ્ણુ સહસ્ત્ર નામ જપ કરવાથી મનને શાંતિ મળે તનાવ દુર થાય છે. અને શાશ્વત જ્ઞાન મળે છે. એમ કહેવાય છે કે આ જપ રોજ કરવાથી કે તેનું રટણ કરવાથી માનવીનું મન શુદ્ધ થાય છે. તેના જીવનની વિટંબણાઓ દુર થાય છે. તમામ ભયોથી મુકત બને છે અને માનવીમાં હિંમત અને બળ મળે છે.
જે આ સ્તોત્રનો ધ્યાનથી અને ભકિતભાવ પૂર્વક પાઠ કરે તેને માનસિક શાંતિ મળે છે. તેનામાં ધૈર્ય, સમૃધ્ધિ સ્થિરતા પ્રાપ્ત થાય છે.
જેઓ લાભ અને સુખ મેળવવા ઇચ્છતા હોય તેઓએ આ ભકિતમય સ્તોત્રનો નિયમિત જપ કરવો જોઇએ આદરપૂર્વક ભકિત કરનાર ભકતની વહારે ભગવાન અચુક આવે છે
ધર્નુમાસમાં ભગવાન વિષ્ણુની ભકિતને ખુબજ પ્રાધાન્ય અપાયું છે આહિ શંકરાચાર્યનું તેમના સ્તોત્ર ''ભજ ગોવિંદમ્''ના શ્લોક ર૭માં કહે છેકે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ નિયમિત કરવો જોઇએ અને લક્ષ્મીના દૈવી સ્વરૂપ વિષ્ણુનું ધ્યાન ધરવું જોઇએ.
જેમના હાથમાં ગદા અને ચક્ર છે. જેમનું વાહન ગરૂડ છે જેની હથેળીમાં શંખ છે તે વિષ્ણુ મારા પર પ્રસન્ન થાઓ.
દીપક એન. ભટ્ટ
મો. ૯૮રપ૧ પપ૩પ૪