સરલાબેન રમેશચંદ્ર મોદીની પુણ્યસ્મૃતિમાં ૧૯મીએ અમદાવાદ ખાતે પ્રાર્થનાસભા
મહાત્મા ગાંધીના નિકટના સાથી, અગ્રગણ્ય સ્વાતંત્ર-સેનાની મણિલાલ કોઠારીના પુત્રી : મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરૂ, સરદાર વલ્લભભાઇ પટેલ, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, મોરારજીભાઇ દેસાઇ જેવા મહાનુભાવો સાથે પારિવારિક આત્મીય સંબંધ હતો
રાજકોટ તા. ૧૬ : મહાત્મા ગાંધીના નિકટના સાથી, અગ્રગણ્ય સ્વાતંત્ર-સેનાની મણિલાલ કોઠારીનાં પુત્રી તથા ગુજરાત સરકારનાં જાહેર આરોગ્ય વિભાગનાં નિવૃત્ત્। સયુકત સચિવ, મુખ્ય ઈજનેર રમેશચંદ્ર મોદીનાં ધર્મપત્ની સરલાબેન મોદીએ ૨ જાન્યુઆરીના ૯૩ વર્ષની વયે આપણી વચ્ચેથી વિદાય લીધી હતી.
સરલાબેન મોદીની પુણ્યસ્મૃતિમાં એમનાં પરિવાર દ્વારા તેમના અમદાવાદ સ્થિત નિવાસસ્થાન ('પ્રતિક', ૨-ગોકુલપાર્ક, કાશીરામ હોલની પાછળ, એલ.ડી. એન્જિીનઅરિંગ કોલેજની પાસે) ખાતે તા. ૧૯ ને શનિવારનાં રોજ સવારે ૧૦થી ૧૨ સુધી પ્રાર્થનાસભાનું આયોજન કરાયું છે. જેમાં સરલાબેનને પ્રિય એવાં ભજનો રજૂ થશે.
રાષ્ટ્ર-ભાવના ધરાવતાં પરિવારમાં સરલાબેનનો જન્મ ૧૯ એપ્રિલ ૧૯૨૬ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાનાં જોરાવરનગરમાં થયેલો. નાનપણથી જ સેવાકીય-કાર્યો, શિક્ષણ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સાહિત્ય અને સંગીતમાં સવિશેષ રૂચિ. જે સમયે કન્યા કેળવણીનું પ્રમાણ ખૂબ ઓછું હતું ત્યારે સરલાબેને એમ.એ. વીથ સાયકોલોજીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, મોરારજીભાઈ દેસાઈ જેવાં મહાનુભવો સાથે પારિવારિક આત્મીય સંબંધ હતો. સ્વ. રમેશભાઈ મોદી સાથે ૧૯૫૧માં લગ્નગ્રંથિથી જોડાયેલાં સરલાબેનનાં પરિવારમાં ચાર પુત્રીઓ અર્પિતા, આશિતા, અનાર અને સોનાલી છે.
સંકલન : પિનાકી નાનકભાઈ મેઘાણી ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન
મોબાઈલ : ૯૮૨૫૦ ૨૧૨૭૯