Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

મહાત્‍મા ગાંધીની ૧૫૦મી જન્‍મજયંતી અવસરે રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર ખાતે ‘ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન' દ્વારા સેવાભાવીઓનું અભિવાદન

રાજકોટ : મહાત્‍મા ગાંધીની ૧૫૦મી જન્‍મજયંતી અવસરે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર ખાતે ‘ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન' દ્વારા સેવાભાવીઓનું ભાવભર્યું અભિવાદન કરાયું હતું. બોટાદ જિલ્લાના સરવા ગામના મૂળ વતની અને છેલ્લા પાંચ દાયકાથી મેઘાણી-ગીતોને વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓનાં હૈયે જીવંત રાખનાર વિશ્વવિખ્‍યાત લોકગાયક અભેસિંહભાઈ રાઠોડ, ૨૮ વર્ષથી ખાદી ક્ષેત્રે કાર્યરત, રાણપુર સ્‍થિત ક્રાંતિકારી જૈન મુનિશ્રી સંતબાલજી પ્રેરિત અગ્રગણ્‍ય ખાદી સંસ્‍થા ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ચેરમેન,  વંચિત સમાજની બહેનોને ખાદી દ્વારા સ્‍વરોજગારીમાં સહાય કરનાર અને અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના જવારજ ગામના ખાદી-સહકારી-ખેડૂત આગેવાન સ્‍વ. ફલજીભાઈ ડાભીના પૌત્ર ગોવિંદસંગભાઈ દાજીભાઈ ડાભી, ૧૯૮૮-૮૯ની અરૂણાચલથી ઓખા સુધી ૯૦૦૦ કિ.મી.ની ઐતિહાસિક ‘ભારત જોડો' સાયકલ-યાત્રાના સાયકલ-વીર, નેશનલ યુથ પ્રોજેકટના રાજકોટ એકમના પ્રેસિડન્‍ટ અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રાજેશભાઈ ભાતેલીયા, ‘મેઘાણી-સાહિત્‍ય' કોર્નરના આકર્ષક કાચના કબાટને બનાવનાર કચ્‍છના મૂળ વતની સેવાભાવી મિષાી વાલજીભાઈ પિત્રોડાનું ખાદીની શાલ અને સૂતરની આટીથી સન્‍માન કરાયું હતું.     રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ‘ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન'ના સ્‍થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, ખાદી-સહકારી ક્ષેત્રના આગેવાન દાજીભાઈ ડાભી, ભાલ નલકાંઠા પ્રાયોગિક સંઘ (ગુંદી આશ્રમ)ના પ્રમુખ ધીરૂભાઈ ડાભી, બોટાદ એલસીબી પીઆઈ એચ.આર. ગોસ્‍વામી, રાણપુર સરપંચ અબ્‍બાસભાઈ ખલાણી, રાણપુર એપીએમસી ચેરમેન નરેન્‍દ્રભાઈ દવે, રાણપુર સાર્વજનિક એજયુકેશન સોસાયટીના પ્રમુખ મુકુન્‍દભાઈ વઢવાણા, એ.ડી. શેઠ હોસ્‍પીટલના વિજયભાઈ પરીખ આ પ્રસંગે ઉપસ્‍થિત હતા. રાષ્ટ્રીય-રાજયનાં અનેક એવોર્ડથી સન્‍માનિત ગોવિંદસંગભાઈ ડાભીનું રાણપુર સાર્વજનિક એજયુકેશન સોસાયટી દ્વારા પણ શાલથી સન્‍માન કરાયું હતું.એપ્રિલ ૧૯૨૫માં મહાત્‍મા ગાંધી સાથે ઝવેરચંદ મેઘાણીની પહેલી મુલાકાત રાણપુરમાં થઈ હતી. રાણપુર સુધરાઈએ ગાંધીજીને ‘માનપત્ર' અર્પણ કરેલું. ‘સૌરાષ્ટ્ર' પ્રેસ કાર્યાલયમાં ગાંધીજીએ રાતવાસો કરેલો. ૧૯૩૧માં ગાંધીજીને સંબોધતું કાવ્‍ય ‘છેલ્લો કટોરો' ઝવેરચંદ મેઘાણીએ રાણપુરમાં રચ્‍યું અને ‘રાષ્ટ્રીય શાયર'નું ગૌરવભર્યું બિરૂદ પામ્‍યા.

 આલેખન  : પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન  (મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(9:53 am IST)