Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

શેરબજારમાં રોકાણ તથા ધંધો કરનારાઓ ઓછા ઇન્કમટેક્ષ ભરી માલામાલ થયા છે

નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૦૨૧માં કોરોના દર્દનો પ્રકોપ ખૂબ જ હતો. લોકડાઉનને લીધે અનેક ધંધાઓ બંધ હતા પરંતુ શેર બજારમાં નાણા રોકનારાઓ ખોબે-ખોબે કમાયેલ છે. પાછુ આવકવેરા કાયદાની છટકબારી તથા છુટછાટથી અન્ય કોઇપણ કરદાતા કરતા શેર બજારના રોકાણકારો તથા ધંધાર્થીઓને ઇન્કમટેક્ષમાં ખૂબ રાહત છે અને તેઓ તેનો પુરેપુરો ઉપયોગ કરી ૧૦%થી ૧૫% માત્ર ટેક્ષ ભરે છે. જ્યારે તેટલી જ આવક શેરબજાર નફા સિવાય અન્ય કરદાતાઓ ૨૫%થી ૩૦% ટેક્ષ ચુકવે છે. 'આમ પૈસો પૈસાને કમાવે છે.'

હવે જોઇએ કઇ રીતે ? કોઇપણ પબ્લીક લીમીટેડ કંપનીના શેરો ૧ વર્ષ કરતા વધુ સમય માટે રોકાણ કરેલ હોય તો તેને લાંબાગાળાનો નફો ગણવામાં આવે છે. તેથી વેચાણ અને ખરીદ કિંમતના મૂડી નફા ઉપર ફકત ૧૦ ટકા જ ટેક્ષ છે. આમ ૧ વર્ષ પહેલાના ખરીદેલ શેરો અત્યારની તેજીમાં વેચાણ કરેલ હોય તો તે લાંબાગાળાનો મૂડી નફો ગણવામાં આવે છે. તેમાં પણ રૂ. ૧,૦૦,૦૦૦ એક લાખનો લાંબાગાળાનો મૂડી નફા ઉપર કાંઇ જ ટેક્ષ નથી (ટેક્ષ ફ્રી છે) એટલે કુલ લાંબાગાળાના નફામાંથી રૂ. ૧ લાખ ટેક્ષ ફ્રી છે. છેલ્લા એક વર્ષમાં તમામ સારી કંપનીઓના શેરના ભાવોમાં ૫૦%થી ૭૫% ઉછાળો આવેલ છે.

જ્યારે ૧ વર્ષ દરમિયાન ખરીદ-વેચાણ કરેલ. શેરો ઉપરના નફાને ટુંકાગાળાનો નફો એટલે કે શોર્ટ ટર્મ કેપીટલ ગેઈન ગણવામાં આવે છે. તેના ઉપર પણ ફકત ૧૫ ટકા જ ટેક્ષ છે. આમ શેર બજારની અત્યારની તેજીમાં જૂના તથા વર્ષ દરમિયાન ખરીદ-વેચાણ કરેલ શેરો ઉપર ૧૦ થી ૧૫ ટકા જ ટેક્ષ છે. આ કાયદો મ્યુચ્યુઅલ ફંડની ઈકવીટી સ્કીમમાં રોકાણ કરેલ અને રીડકશન લીધેલ રકમ ઉપર લાગુ પડે છે. આમ ૨૦૨૦-૨૧ તથા ૨૦૨૧-૨૨માં અનેક શેર બજાર રોકાણકારો - લાખો અને કરોડપતિ ફકત ૧૦ થી ૧૫ ટકા ટેક્ષ ભરીને બનશે.

ટૂંકમાં કોરોનાની મહામારીમાં હોસ્પીટલો, ડોકટરો તેમજ શેર તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારાઓ લાખો તથા કરોડોની આવક હીસાબી ખર્ચ ૨૦૨૦-૨૧માં કમાયેલ છે, પરંતુ સરકારને તેમા ખૂબ જ ઓછો ટેક્ષ મળશે.

આમ ભારત Capitalist દેશ બન્યો જ્યાં અમીરો વધુને વધુ અમીર બન્યા છે. મધ્યમ વર્ગ તથા મધ્યમ વર્ગ નીચેના કે આર્થિક રીતે ગરીબની પરિસ્થિતિ જેમની તેમજ રહેલ છે.

: આલેખન :

નીતીન કામદાર

ચાર્ટડ-એકાઉન્ટન્ટ

૭/૯ પંચનાથ પ્લોટ, રાજકોટ

મો. ૯૮૨૫૨ ૧૭૮૪૮

Email : info@nitinkamdar.com

(10:01 am IST)