Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

પુરૂષોતમ ગુરૂ તું...!

જીવનમાં સુખ અને દુઃખમાં પરમાત્મા હાજર જ હોય

પરમ કૃપાળુ પરમાત્માની જુદી જુદી વ્યાખ્યાઓ તેમજ સમજણ કરવામાં આવી છે. આ સૃષ્ટિનું સર્જન વિસર્જન કરનારા પરમાત્મા, સર્વશકિતમાન છે. સર્વવ્યાપી છે. આ જગતના કર્તા, હર્તા, અને પાલન હાર છે.

 

પરમાત્માનું અસ્તિત્વ બાહ્મ સ્વરૂપ માયાના આવરણથી વિટંળાયેલું ચૈતન્ય છે.

જીવનમાં અને મૃત્યુમા, સુખમાં અને દુઃખમાં ઇશ્વર હાજર હોય છે. પરંતુ પોતાની જાતને સમજયા વિના ઇશ્વરને શોધી શકાય જ નહીં. જયારે તમારૂ મન સમયની જાળમાંથી મુકત થશે ત્યારે જ તમને ઇશ્વરના સાચા સ્વરૂપની અનુભુતિ થાય છે પોતાનું શરિર પણ પ્રભુએ બનાવેલું એક માનવ મંદિર છે. મન એક મંદિર કે ઘર એક મંદિર પ્રભુની પ્રતિષ્ઠા પહેલા હૃદયમાં થવી જોઇએ.

પોતાના કાર્યો અને સંદેશા દ્વારા જગતને સાચો રાહ બતાવનાર મહાત્મા ગાંધીજીએ સત્ય એજ ઇશ્વર નામના પુસ્તકમાં કહયુ હતું કે, પરમ મૌનનો અવાજ સાંભળી શકીએ તો કેવુ સારૂ ! પોતાની જાતને સમજયા વિના ઇશ્વરને શોધી શકાય નહીં.

અર્જુન અન્યાય, અત્યાચારથી મુંઝાઇને ત્રસ્ત બનેલ સમગ્ર માનવ જાતનો પ્રતિનિધ છે નર - નારાયણનો આ સંવાદ આત્મા પરમાત્માનો છે મહાભારત યુધ્ધમાં ધર્મ માર્ગે ચાલનારા પાંડવોના અર્જુનના સારથી બની, હાથમાં ઘોડાની લંગામ પકડી કુરૂક્ષેત્રના રણ મેદાનમાં હતાશ બનેલાં અર્જુન હાથમાં શસ્ત્ર ગ્રાહણ કરી અધર્મી અને અત્યાચારી કૌરવો સામે યુદ્ધ કરવા પ્રેરે છે.

ભગવાન શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી શાંતિ સત્ય, અને સમતાની સંજીવની સમી ભગવતગીતા રૂપી કવિતા પ્રસરી.

માનવ જાતને જીવન જીવવાની કલા શીખવા ગીતામાં તો યુદ્ધની ભયંકરતામાંથી શાંતિની દિશામાં જવાનો સંદેશ છે.

ગીતા એટલે મહાભારતના મહાભંડારનું અણમોલ રત્ન, મહાભારતના ભીષ્મ પર્વમાં ૧૮ અધ્યાયો રૂપે કુલ સાતસો શ્લોકોમાં ગીતાનું અવતરણ થયું છે. ગીતા યુદ્ધ મેદાનનું શાંતિગીત છે અને માનવજાતની રક્ષા અને ઉત્કર્ષનો જીવનમંત્ર છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

 

(10:25 am IST)