Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

(યાદેવી શકિત રૂપેણ સંસ્થિત)

આરાસુરી અંબાજી માતા

ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે... માતાજીના ઉંચા ગબ્બર ગોખ, ઝરૂખડે દીવાં બળે રે લોલ...

 

અરવલ્લી પર્વતના આરાસુરી શિખરે માં અંબાજીના બેસણા છે. દર પૂર્ણિમાએ માતાજીના દર્શનનો ભારે મહિમા છે. પોષી પૂર્ણિમા એટલે જગજનની ભગવતી અંબાજીનો પ્રાગટય દિન.

હાલના વિશાળ પ્રાંગણમાં સ્થિત અંબાજી મંદિરની બરાબર સામે ગબ્બર પર્વત પર અંબાજી માતાનુ મૂળ પ્રાગટય સ્થાન મનાય છે. ગબ્બર પરનો ત્રાસો ખડક માંના દુર્ગનું દ્વાર ગણાય છે. માતાજી દુર્ગામાં ઝૂલા પર ઝૂલે છે તેવી એક માન્યતા છે.

અંબાજી મંદિરમાં પ્રવેશતા જ કાનમાં કુંડળ, નાકમાં નથ, રંગ બેરંગી વસ્ત્રો અને આકર્ષક આભૂષણોમાં શોભતા અને માઈભકતોને આશિષ આપતા મા જગદંબાના દર્શન થાય છે.

અંબાજી મંદિરમાં ગર્ભગૃહમાં આવેલ ગોખમાં પ્રતિમા નહીં પણ વિસા યંત્ર (શ્રી યંત્ર)ની શાસ્ત્રોકત વિધિથી પૂજા - પ્રાર્થના થાય છે.

મુગટ તથા ચૂંદડી સાથે વિસા યંત્રનોે શણગાર કરાય છે. તેમા સવારી પર આરૂઢ માતાજીની મૂર્તિ પ્રતિત થાય છે. કાચબાની પીઠ (કૂર્મ પૃષ્ઠ)વાળુ યંત્ર સુવર્ણમાંથી બનેલુ છે. આ યંત્રમાં એકાવન અક્ષરોનું સંયોજન થયેલુ મનાય છે. જેનાથી એકાવન શકિત પીઠોનો બોધ થાય છે.

શ્રી યંત્ર સ્વરૂપ માં અંબાજીની પૂજા - આરતી દિવસમાં ત્રણ વાર કરવામાં આવે છે. આ ત્રણેય સમયે જુદા જુદા વસ્ત્રો અને અલંકારોથી માતાજીનો શ્રૃંગાર કરાય છે.

આ શ્રૃંગાર શણગાર દ્વારા સવારે બાલાસ્વરૂપ, મધ્યાહને યુવા સ્વરૂપ અને સાંજે પ્રૌઢા સ્વરૂપ પ્રગટ થાય છે.

આ ઉપરાંત બીજી એક વિશેષતા એ છે કે રવિવારે - વાઘ, સોમવારે નંદી, મંગળવારે સિંહ, બુધવારે ઉંચી સૂંઢનો હાથી.. આ રીતે માતાજીના સપ્તાહના વાહનો છે. આમાથી માં અંબાજીનો પશુ-પંખી પ્રેમ પ્રગટ થાય છે.

મૂર્તિ પૂજાને બદલે પહેલા પીઠ પૂજા પ્રચલિત હતી. અંબાજી માતાના મંદિરમાં પીઠ પૂજા થાય છે. અતિ પ્રાચિન પીઠ અંબાજી શકિતપીઠ છે. પુરાણકાળમાં માતા પાર્વતી એટલે કે માતા અંબિકાના ચાર સ્વરૂપો જાણીતા થયા હતા. ભવાની, શર્વાણી, રૂદ્રાણી અને મૃદાની મહિસાસુર મર્દિની મા અંબાજી આરાસુરી અંબાજી માતાનુ પીઠસ્થાન મનાય છે. અનેક રાજવીઓના કુળદેવી પણ મનાય છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:22 am IST)