Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

અમદાવાદ જોધપુર-સેટેલાઈટ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘે જન્મઅભિનંદનનો કાર્યક્રમ યોજાયો

જિનશાસનના ગૌરવ સમા પૂ.સા.વર્યા પ્રવર્તિની વાચંયમાશ્રીજી મ.સા. (બેન મ.સા.)એપોતાનાં ૮૨માં જન્મદિવસે આશિષ આપ્યાં

ચોટીલા, તા. ૧૪ : જિનશાસનના ગૌરવ સમા, બાલદીક્ષિતા, પરમ વાત્સલ્યમયી, શાસનસેવિકા પૂ.સા.વર્યા પ્રવર્તિની વાચંયમાશ્રીજી મ.સા. (બેન મ.સા.)ના ૮૨માં જન્મદિવસે શ્રી પાર્શ્વનાથ-પદ્માવતી સમારાધક, શ્રી લબ્ધિ-વિક્ર્મ ગુરુકૃપાપ્રાપ્ત, અનેક પ્રાચીન તીર્થોધ્ધારક-પ્રતિષ્ઠાચાર્ય, પ્રખર પ્રવચનકાર જૈનાચાર્ય પૂ. આ.દેવ શ્રીમદ્ વિજય રાજયશસૂરીશ્વરજી મ.સા.ની શુભનિશ્રામાં અમદાવાદ સ્થિત શ્રી જોધપુર-સેટેલાઈટ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ ખાતે જન્મઅભિનંદનનો ભવ્ય કાર્યક્ર્મ યોજાયો હતો.     પૂ. બેન મ.સા.એ પૂ. આ.દેવ રાજયશસૂરીશ્વરજી મ.સા. પાસે આશીર્વાદ પ્રાપ્ત કર્યા તે દિવ્ય અવસરને મોટી સંખ્યામાં ઉપસ્થિત વિવિધ ક્ષેત્રોનાં અગ્રણીઓ અને ભાવિકોએ હર્ષભેર વધાવી લીધો હતો. ઉપસ્થિત સહુને પૂ. બેન મ.સા.એ સદ્ગુણ, સહનશીલતા અને સરળતાનાં આશિષ આપ્યાં હતાં. પૂ. આ.દેવ રાજયશસૂરીશ્વરજી મ.સા.એ પૂ. બેન મ.સા.નાં પ્રેરણાદાયી સંયમ-જીવનનાં અનેક પ્રેરક પ્રસંગો કહ્યાં હતાં.જૈન સાધ્વીજી જીવનનું સર્વોચ્ચ-સર્વશ્રેષ્ઠ પદ શ્નપ્રવર્તિની પદલૃ, ૨૦૧૮માં મહાતીર્થ પાલીતાણા ખાતે ૫૦૦૦થી વધુ ભાવિકોની ઉપસ્થિતિમાં, પૂ. આ.દેવ રાજયશસૂરીશ્વરજી મ.સા.એ પૂ. બેન મ.સા.ને પ્રદાન કર્યું હતું જે ખાસ ઉલ્લેખનીય છે.કરૂણામૂર્તિ - વાત્સલ્યમૂર્તિ પૂ. બેન મ.સા.માતા શાંતાબેન અને પિતા રતિલાલનું જગવિખ્યાત સંતાન એટલે શ્નવસુમતી રતિલાલ ઝવેરીલૃ. પૂ. બેન મ.સા. તરીકે આગવી ઓળખ ધરાવતાં પૂ.સા.વર્યા વાચંયમાશ્રીજી મ.સા.નો જન્મ ૧૯૩૮માં અમદાવાદ મુકામે થયો હતો. નિવાસસ્થાન મુંબઈ અને મૂળ વતન ધોલેરા. મુંબઈની જાણીતી શકુંતલા ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ દરમિયાન દેશદાઝની ભાવના અને ગાંધી-વિચારોથી પ્રેરિત થઈને તેઓએ બાળકોની 'વાનરસેના'ની સ્થાપના પણ કરી હતી. નાનપણથી જ જૈન સંસ્કારો વચ્ચે ઉછેર. માત્ર ૧૧ વર્ષની વયે, દીક્ષા ગ્રહણ કરતાં પોતાનાં ૧૩ વર્ષીય મોટા બહેન (પૂ.સા. રત્નચૂલાશ્રીજી મ.સા.) સાથે, કોઈપણ વિશેષ ધાર્મિક ભૂમિકા વગર પોતે પણ દીક્ષા લેવાનો નિર્ધાર કર્યો. એ વખતે એવી એક લહેર પણ ઊઠી હતી કે આવી બે નાની દિકરીઓની દીક્ષા કોઈપણ રીતે રોકવામાં આવે. પણ નાની વયની આ બન્ને બહેનોએ જીવનભર માટે સંયમનાં ૧૭ ભેદોનાં પાલન કરવાનો દ્રઢ સંકલ્પ કર્યોં. તે સમયે પૂનામાં બિરાજમાન જૈનાચાર્ય 'કવિકુલકિરીટ'પૂ. દાદા ગુરુદેવ લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞાથી પૂ. મુનિ કાંતિવિજયજી મ.સા. પાસેથી સિધ્ધાચલજીના આદેશ્વરદાદાના ધ્વજારોહણ દિને પાલીતાણા સ્થિત સાહિત્ય મંદિરની નાની ઓરડીમાં માત્ર સાત જ વ્યકિતઓની ઉપસ્થિતિમાં અતિ સાદાઈથી દીક્ષા ગ્રહણ કરી. દીક્ષાના પહેલા દિવસથી તેઓની અદભુત અને પ્રતિભાશાળી આભા ચારેકોર ફેલાઈ. ૮૨ વર્ષની ઉંમરે, આજે પણ, તેઓ વિશ્વભરમાં સેંકડો અનુયાયીઓમાં ત્યાગ, વૈરાગ્ય, કરૂણા, પરોપકાર, દેશસેવા અને શાસનસેવાની ભાવનાનાં સતત બીજ વાવે છે. લોકોનાં મનને સમજવાની તેઓમાં અનન્ય અને આગવી શકિત છે. માતા-પિતાથી પણ વિશેષ સંરક્ષણ તેઓ સહુનું કરે છે. જિનભકિત, વીતરાગી મસ્તી, ફકીરી જેવું જીવન એમની વિશેષતા છે. ગુરુજનોની કૃપા અને માતા પદ્માની સાધનાથી તેઓ મહાપુણ્યનાં સ્વામી બન્યા છે. છતાંય વિનમ્રતાનાં ઉચ્ચ શિખરે તેઓ બિરાજમાન છે. લગભગ સાત દાયકાનાં સંયમી-જીવનમાં ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, ઉત્ત્।ર પ્રદેશ, પશ્યિમ બંગાળ જેવાં વિવિધ રાજયોમાં વ્યાપક વિહાર કર્યો છે. અનેક ભાષાઓનાં જ્ઞાતા, પ્રખર વકતા અને કુશળ આયોજક છે. નવી પેઢીને પ્રેરણાદાયી અનેક પુસ્તકો-ગ્રંથો પણ તેમણે લખ્યાં છે. જિનશાસનનાં મહાન અને અતિ મહત્વનાં વિવિધ નવ્ય કાર્યોની પરંપરાનો તેઓ આરંભ કર્યો છે. અનેક પ્રાચીન તીર્થનાં જીર્ણોધ્ધાર, નવીન તીર્થની સ્થાપના, ઉપાશ્રય – ધર્મશાળા - ભોજનશાળા આદિ ધાર્મિક સંકુલો તેમજ શાળા - પ્રાર્થના મંદિર - સાધાર્મિક આવાસો –વૃધ્ધાશ્રમ – પુસ્તકાલય આદિ સામાજિક સંકુલો માટે પણ તેમની હરહંમેશ પ્રેરણા રહી છે.

આલેખન 

પિનાકી નાનકભાઈ મેઘાણી 

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

(મો. ૯૮૨૫૦૨૧૨૭૯)

(1:27 pm IST)