Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

શ્રાવણ સત્સંગ

શ્રદ્ધાના જળ વડે માનસિક અભિષેક

દેવાધિદેવ મહાદેવજીને શ્રાવણ માસ અતિપ્રિય છે. ભોળાનાથ સ્વયં જ્યોતિમય અને નિત્યસ્વરૂપે છે. ભગવાન શિવની મહાદેવ તરીકેની પ્રતિષ્ઠા થઇ છે. અને એટલે જ મહાદેવજીની ઉપાસના સંસારને સુખમય અને મુકિતરૂપ બનાવીને આ લોક તેમજ પરલોકમાં પણ કલ્યાણ કરનાર છે.

બિલ્લીપત્રના ત્રણ પાન હોવાથી તે ત્રિદેવ સ્વરૂપ મનાય છે. હિમાલયના પહાડોમાં બિલીપત્રોના જંગલો છે. ચરક સંહિતામાં એને શ્રેષ્ઠ ઔષધી મનાઇ છે.

''અખંડ સ્વરૂપે ધ્યાન વિષય જે, શુભ જ્યોતસમુ તેજ જેનું, શુભ કમળથા શોભા જેની એવા દેવાધિદેવ મહાદેવ પ્રત્યે દ્રઢ ઉજજવલ પ્રેમશીઓ'' દેવાધિદેવ મહાદેવ સદાશિવનો અર્થ જ કલ્યાણ છે. મહાકાલને એકાંત પસંદ છે. અન્ય કોઇ દેવોની જેમ તેઓ ઝાકઝમાળ ઇચ્છતા નથી. તેમનો વાસ હિમાલયમાં વન અને સ્મશાનમાં હોય છે. છતાં પણ તેઓ આ દ્રષ્ટિમાં દુઃખીજનો માટે સદાય તેઓ તેમની તૃષા છીપાવે છે.  જયારે કયાંય કોઇ રસ્તો મળતો ન હોય ત્યારે મહાકાલના શરણે જાઓ તેઓ તો ભોળા છે સરળ છે. અને કરૂણામય છે. ભોળાનાથ ત્વરીત પ્રસન્ન થનારા પ્રભુ છેતેથી તેઓ ભકતજન મુશ્કેલી સત્વરે દુર કરે છે.

પાવન પવિત્ર શ્રાવણ માસ એટલે ભોળાનાથ મહાદેવજીને રીઝવવાનો અવસર, ભગવાન ભોલેનાથ ભકતજનોને સદાય સહાય કરે છે.

હે અંતર્યામિ, પ્રભુ દેવાધિદેવ મહાદેવજી સર્વજ્ઞ, સર્વશકિત સંપન્ન, હૃદયેશ્વર, આપની લીલા અપાર છે.

આપ નિર્ગુણ હોવા છતા ભકતજનો માટે સગુણ બનો છો નિરાકાર હોવા છતાં આકાર ધારણ કરો છો. માયા રહિત શુદ્ધ બ્રહ્મ હોવા છતા લીલા માટે માયાનો સ્વીકાર કરી મહેશ્વર સબળ બ્રહ્મ બનો છો.

ભકતોના પ્રેમને લીધે સ્તૃતિ, પ્રાર્થના ધ્યાન અને જ્ઞાનના વિષય વાચો છો અને આનંદરૂપથી ભકતોના હૃદયમાં પ્રગટો છો.

વિશ્વભરમાં સુખની વર્ષા કરો છો લૌકિક પારલૌકિક સખ આપીને મોક્ષ સુખ પ્રદાન કરો છો.

આપનો મહિમા અનંત, ગુણો અનંત મને આનંદ પણ અનંત છે.

હે ! પ્રભુ શ્રદ્ધાના જળ વડે માનસિક અભિષેક કરૂ છું હે ! ભોળાનાથ, કરૂણાના સાગર માનસિક પૂજન ત્રિગુણરૂપી, બિલ્વપત્ર તેમજ મહિમ્નઃ સ્તૃતિના વાકયરૂપી કુસુમોથી ગુંથાયેલી ગુર્જરગિરામાં વણાવેલી સાત્વિક પ્રેમ માળાને અંગીકાર કરી કૃતાર્થ કરો.

આપના અનંત રૂપમાં મને એક રૂપ આપો, સત્ય, શિવમ્, સુંદરમ્

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:13 am IST)