Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

સરકારી મહેમાન

કેસર અને ચોખાના હવનથી પ્લેગના જંતુ નષ્ટ પામે; ગુગળ ધૂપમાં વિષાણુંને મારવાની શક્તિ

દિવસમાં 21,600 વખત શ્વસનક્રિયા થાય છે ત્યારે 16 કિલોગ્રામ ઓક્સિજનની જરૂર પડે: શ્વસનતંત્રના રોગને કાબૂમાં લેવા માટે આયુર્વેદની ધુમ્ર ચિકિત્સા શ્રેષ્ઠ હોવાનું સંશોધન: ગાયના ઘી ને અગ્નિમાં હોમવાથી ઉત્પન્ન થતો ધુમાડો અણુ વિકિરણના પ્રભાવને દૂર કરે

હવન કે યજ્ઞ કરવો તે વૈજ્ઞાનિક રીતે ઉત્તમ છે અને તેના ફાયદા પણ છે. હવામાં રહેલા વિષાણું કે જંતુઓને મારવાની તેનામાં શક્તિ હોવાથી આપણા પૂર્વજો વર્ષમાં બે થી ત્રણ વખત ઘરમાં હવન કરાવતા હતા. વાતાવરણની પવિત્રતા સાથે આરોગ્યને પણ તંદુરસ્ત રાખે તેવા હવનના અનેક પ્રકાર છે. ઘરમાં યજ્ઞ કરાવવો હોય તો આપણને શરમ આવે છે પરંતુ વિશ્વમાં એવા અનેક દેશો છે કે જ્યાં સાયન્ટિફિક રીતે હવન કરાવવામાં આવે છે. અમેરિકા, ચિલી, પોલેન્ડ, જર્મની, જાપાન અને તેના જેવા દેશોમાં હવન કરવાની માત્રા વધી રહી છે. સંશોધકોના મતે વિશ્વમાં 60 ટકા પ્રદૂષણ વાહનોથી થાય છે જે પૈકી એક વાહન 970 કિલોમીટરની યાત્રામાં એક વ્યક્તિનો એક વર્ષનો ઓક્સિજન ફૂંકી મારે છે. યજ્ઞમાં હોમવામાં આવતી વનસ્પતિ અને વિવિધ પદાર્થો કોઇને કોઇ ગુણધર્મ ધરાવે છે જે માનવજીવન માટે આવશ્યક છે. હવા પ્રદૂષણના કારણે માનવીના ફેફસાં ખોખલાં બની રહ્યાં છે ત્યારે વૈદિક હવન આરોગ્યની જડીબુટ્ટી બને છે.

માનવીને દિવસમાં 16 કિલો ઓક્સિજન જોઇએ...

સામાન્ય રીતે હવામાં 21 ટકા ઓક્સિજન, 78 ટકા નાઇટ્રોજન, 0.03 ટકા કાર્બન ડાયોક્સાઇડ અને એક ટકા અન્ય વાયુઓ હોય છે. એક ગેલન પેટ્રોલ કે ડિઝલ બાળવાથી ત્રણ પાઉન્ડ નાઇટ્રોજન-ઓક્સાઇડ વાયુ નિકળે છે જે 5 થી 20 લાખ ઘનફૂટ હવાને પ્રદૂષિત કરે છે. બીજી તરફ પ્રાકૃતિક સંતુલન માટે પૃથ્વી પર જમીનના 33 ટકા જંગલો હોવા જરૂરી છે પરંતુ આપણા દેશમાં માત્ર 19 ટકા જમીન પર જંગલો છે. દિલ્હી અને અમદાવાદ જેવા મહાનગરમાં લોકો દિવસમાં 20 સિગારેટ જેટલો ધુમાડો પી જાય છે. મનુષ્ય એક દિવસમાં સરેરાશ 21600 વખત શ્વસનક્રિયા કરે છે અને આ ક્રિયામાં 16 કિલોગ્રામ ઓક્સિજનની જરૂરિયાત રહે છે. પ્રદૂષણના કારણે વનસ્પતિની કાર્બન ડાયોકસાઇડ ગ્રહણ કરવાની અને ઓક્સિજન છોડવાની પ્રાકૃતિક પ્રક્રિયા મંદ પડી છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવામાં નહીં આવે તો લોકોએ ઓક્સિજન ગેસ સિલિન્ડર સાથે બાંધીને ફરવું પડશે, જે રીતે અત્યારે અશુદ્ધ પાણીના કારણે લોકો મીનરલ વોટરની બોટલ લઇને ફરી રહ્યાં છે.

હવન માટે વિદેશના વૈજ્ઞાનિકો શું કહી રહ્યાં છે...

રશિયાના એક વૈજ્ઞાનિક શિરોવિચે તેમના એક પુસ્તકમાં લખ્યું છે કે ગાયના ઘી ને અગ્નિમાં નાંખવામાં આવે તો તેનાથી ઉત્પન્ન થતો ધુમાડો અણુ વિકિરણના પ્રભાવને દૂર કરે છે. એશિયન્ટ હિસ્ટ્રી ઓન મેડીસીનના ચિકિત્સાશાસ્ત્રી એમ. મોનિયર કહે છે કે રોગના જંતુઓને સમાપ્ત કરવા યજ્ઞ સુલભ અને સરળ છે, તેના જેવી બીજી કોઇ પદ્ધતિ નથી. ફ્રાન્સના વૈજ્ઞાનિક ટિલવર્ટ જણાવે છે કે સાકરના દહનથી ઉત્પન્ન થતાં ધુમાડામાં પર્યાવરણ પરિશોધનની વિચિત્ર શક્તિ છે, જેનાથી ટીબી, ઓરી-અછબડાં, શીતળા અને કોલેરાના વિષાણુંઓ નષ્ટ થઇ જાય છે. ડો. કર્નલ કિંગે સાબિત કર્યું છે કે કેસર અને ચોખા મેળવી હવન કરવાથી પ્લેગના જંતુઓ નષ્ટ પામે છે. ડો. ડિલીટ માને છે કે સુકા મેવાનો હવન કરવાથી સન્નિપાત જવર અને ટાઇફોઇડના જીવાણુંઓ અડધા કલાકમાં નષ્ટ થાય છે. સૌથી વધુ અચરજ પમાડે તેવો પ્રયોગ પૂના સ્થિ ફર્ગ્યુસન કોલેજના જીવાણુંશાસ્ત્રીએ કર્યો છે. તેમના મતે 8000 ઘનફૂટના એક હોલમાં કૃત્રિમ રીતે તૈયાર કરવામાં આવેલો વાયુ પ્રદૂષણનો 77.5 ટકા ભાગ માત્ર એક વખતના હવન કરવાથી દૂર થયો હતો. અમેરિકા, ચિલી, પોલેન્ડ અને જર્મનીમાં અગ્રિહોત્ર (હવન)નો પ્રચાર વધી રહ્યો છે.

શંખ ફૂંકવાથી બેક્ટેરિયા-વિષાણું નાશ પામે છે...

આજે કોરોનાથી ગભરાયેલા વિશ્વના દેશોમાં એક સમય હતો જ્યારે સાર્સ નામના રોજચાળાથી અનેક દેશો ભયભીત બન્યાં હતા. સાર્સની પણ એ સમય કોઇ દવા કે રસી ન હતી. ભારતના આયુર્વેદમાં શ્વસનતંત્રના રોગનું નિવારણ કરવાની અનેક પદ્ધતિઓ છે. પૌરાણિક સમયમાં જ્યારે વિષાણુંજન્ય રોગ ફેલાતા હતા ત્યારે આયુર્વેદની પદ્ધતિઓ પ્રચલિત બની હતી. આયુર્વેદના મતે વાત, પિત્ત અને કફને એક સમાન કરવાની દવા આપવામાં આવે ત્યારે કોઇપણ રોગ કાબૂમાં આવે છે. જો કે હવા દ્વારા ફેલાતા રોગો માટે લીમડાના પાન, હળદર અને ગૂગળને ગાયના ઘી માં મેળવીને હવન કરવાથી ફાયદો થાય છે. સાર્સ જેવા શ્વસનતંત્રના રોગને કાબૂમાં લેવા માટે આયુર્વેદની ધુમ્ર ચિકિત્સા શ્રેષ્ઠ હોવાનું સંશોધન થયું છે. અમેરિકામાં પણ હવે લીમડાને માન્યતા આપવામાં આવેલી છે. રશિયામાં તો હવે શંખ ફૂંકીને હવામાં રહેલા બેકટેરિયા કે વિષાણુંને દૂર રાખવાના પ્રયોગ શરૂ થયાં છે. આ કારણથી જ હિન્દુ મંદિરોમાં શંખ વગાડવામાં આવે છે. મહાભારતનું યુદ્ધ થયું ત્યારે શંખ અને નગારા વગાડવામાં આવતા હતા કારણ કે તેનાથી હવામાં રહેલા જીવાણું, વિષાણું અને બેક્ટેરિયાનો નાશ થતો હતો.

ધૂપબત્તીનો પ્રયોગ ઘર માટે સર્વોત્તમ છે...

આયુર્વેદમાં એક શ્ર્લોક છે – નાસા હિ સિરસો દ્વારં – એટલે કે નાક એ માથાનું દ્વાર છે અને નાક વાટે ઔષધી માથાના રોગનો નાશ કરે છે. માનવીના મગજમાં બ્લડ બ્રેઇન બેરીયર છે જે કોઇપણ હાનિકારક વસ્તુને મગજમાં પહોંચવા દેવું નથી. આ બેરીયરને દેશી ગાયનું ઘી અને હવનનું ધૂપ આરામથી મગજના ભાગ સુધી પહોંચીને મગજને વધુ કાર્યક્ષમ બનાવે છે. વૈદિક કાળમાં હવનનો આવિષ્કાર ઋષિઓએ કર્યો હતો જેનો મુખ્ય હેતુ મગજ સાથે સંકળાયેલો હતો. હવનનો ધુમાડો નાક દ્વારા શરીરના મધ્યસ્થ ચેતાતંત્ર (સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ) માં પહોંચે છે અને શરીર શુદ્ધ કરે છે, સાથે સાથે શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક વૃદ્ધિ કરે છે. દેશી ગાયનું વલોણાંનું ઘી, દેશી ગાયનું ગોબર, ભીમસેની કપૂર, જટામાસી, જાયફળ, અત્તર, તગર અને કપૂર કાંચળીથી બનાવેલી ધૂપબત્તી સળગે છે ત્યારે કુદરતી ધુમાડો ઉત્પન્ન થાય છે જે શ્વસનતંત્રને લગતી બિમારી મટાડે છે. લોહીના ગઠ્ઠાને દૂર કરે છે અને નાક, ફેફસાં તેમજ લોહીની નસના હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે.

ગાયનું ઘી પ્રદૂષણ દૂર કરતાં વાયુ પેદા કરે છે...

ગાયનું શુદ્ધ ઘી જ્યારે હવનમાં હોમવામાં આવે છે ત્યારે ચાર પ્રકારના વાયુઓ ઉર્જાના રૂપમાં ઉત્પન્ન થાય છે જેમાં એથેલીન ઓક્સાઇડ, પ્રોપિલીન ઓક્સાઇડ, હાર્મેલ્ડહાઇડ અને બીટા પ્રોપિયોલેક્ટોનનો સમાવેશ થાય છે. આ વાયુ પર્યાવરણ શુદ્ધ કરે છે. રોગ અને મનનો તનાવ દૂર કરે છે. પ્રમેહ માટે કહેવામાં આવે છે કે ઔદુમ્બર (ઉમરાડા)ની સમીધાનો ઘી સાથે હોમ કરવાથી તમામ પ્રકારના પ્રમેહ દૂર થાય છે. મધ અને શેરડીના રસને એકત્ર કરી તેનો હોમ કરવાથી પ્રમેહ રોગ નાશ પામે છે. આયુર્વેદાચાર્ય કહે છે કે શુદ્ધ ગૂગળની ગોળી બનાવી તેનો ઘી સાથે હોમ કરવાતી ભાગ્યની વૃદ્ધિ થાય છે. રાષ્ટ્રીય વનસ્પતિ અનુસંધાન, લખનૌના રિસર્ચ પ્રમાણે હવનના ધુમાડાથી જીવાણુંનું સ્તર સામાન્ય કરતાં 96 ટકા ઓછું જોવા મળે છે. યજ્ઞ એ વિજ્ઞાન છે. હવનકુંડમાં ગાયના છાણમાંથી બનેલાં છાણાં અને આંબાના ડાળની લાકડીઓ તેમજ યજ્ઞ સામગ્રીનો ઉપયોગ કરતાં હવાના ખતરનાક બેક્ટેરિયા નાશ પામે છે. આધુનિક સંશોધનમાં જણાવ્યા પ્રમાણે હવનથી ગંભીર બિમારી ફેલાતી અટકી જાય છે અને નકારાત્મક શક્તિનો નાશ થાય છે.

હવન કે યજ્ઞમાં ક્યા લાકડાં વાપરવા જોઇએ...

ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે – યજ્ઞો ભુવંસ્ય નાભિ:  -- એટલે કે યજ્ઞ સમસ્ત બ્રહ્માંડનું કેન્દ્રસ્થાન છે. હવનની સમધિમાં મુખ્યત્વે આંબાના લાકડા, આકડો, ખાખરો, ખેર, અઘેડો, પીપળો, ઉમરો, ખીજડો, દુર્વા અને કૂશ (ડાભ)નો ઉપયોગ થાય છે જેનો સબંધ ગ્રહ અને રોગ સાથે છે. હવનમાં ચાર પ્રકારના દ્રવ્યો હોય છે જેમાં સુગંધિત (કેસર, કસ્તુરી, અંબર, શ્વેતચંદન, કપુર, જાવંત્રી, જાયફળ, અગર, તગર, પાંદડી, ઇલાયચી), પુષ્ટીકારક (ગાયનું ઘી, ફળ, કંદ, અન્ન, તલ, મૂસળી, બદામ, કાજુ, અંજીર જરદાલું), મિષ્ટ (સાકર, છુઆરિ, ખારેક, દ્વાક્ષ, મધ, ટોપરૂં, દૂધ) તેમજ રોગનાશક દ્રવ્ય ( ગળો, સોમવેલ, બ્રાહ્મી) નો સમાવેશ હોય છે. ઘણીવાર ઋતુ પ્રમાણેના સમિધ વાપરવામાં આવે છે જેમ કે વસંત હોય તો ખીજડો, ગ્રીષ્મ હોય તો પીપળો, વર્ષા હોય તો બીલી, શરદ હોય તો આંબો, હેમન્ત હોય તો ખેર અને શિશિર હોય તો ઉંમરો વપરાય છે.

કપૂર પ્રગટાવવાથી નેગેટિવિટી ખતમ થાય છે...

આપણે હોમ, હવન કે યજ્ઞને કર્મકાંડ સમજીએ છીએ પરંતુ તે ભૂલભરેલું છે, વાસ્તવમાં તે મોટો વૈજ્ઞાનિક આધાર છે. વેદ અનુસાર યજ્ઞ—બ્રહ્મ, દેવ, પિતૃ, વૈશ્વ અને અતિથિ એમ પાંચ પ્રકારના હોય છે. હવન અને યજ્ઞમાં થોડો ફરક છે. જે વ્યક્તિ યજ્ઞમાં ભાગ લે છે તેની પર તથા નજીકના વાયુમંડળ પર તેનો મોટો પ્રભાવ પડે છે. વૈજ્ઞાનિકો હજી કૃત્રિમ વર્ષાના પ્રયોગમાં સફળ થયા નથી પરંતુ યજ્ઞ દ્વારા વરસાદ લાવવાના પ્રયોગો સફળ રહ્યાં છે. હવન એ યજ્ઞનું નાનું સ્વરૂપ છે. કોઇપણ પૂજા કે જાપ કર્યા પછી અગ્નિમાં આપવામાં આવતી આહૂતિની પ્રક્રિયાને હવન કહે છે જ્યે કોઇ ખાસ ઉદ્દેશ સાથે દેવતાને આપવામાં આવતી આહૂતિ એ યજ્ઞ છે. વેદ અને મંત્રોચ્ચાર સાથે આહૂતિ આપવામાં આવે છે. વાસુદેવ યજ્ઞ એટલે કે કૃષ્ણ યજ્ઞ પરિવારમાં પુત્રપ્રાપ્તિ માટે કરવામા આવે છે અને તે પાંચ, સાત, આઠ કે નવ દિવસે પૂર્ણ થાય છે. હોલિકા દહન એક પ્રકારનો યજ્ઞ છે. આચાર્યોનું કહેવું છે કે હવનમાં કપૂર, ગૂગળ, ઇલાયચી, જાવંત્રી, જટામાંસી, સુખડ, સુગંધિત વાળો જેવા દ્રવ્યો ઉમેરવામાં આવે તો અનેક સંક્રમિત રોગથી બચી શકાય છે. ધર્મગ્રંથ અનુસાર પૂજાપાઠમાં પ્રગટાવવામાં આવતા કપૂરથી નેગેટીવ ઉર્જાનો નાશ થાય છે. ઘરમાં સવાર અને સાંજ કપૂર પ્રગટાવવાથી નેગેટીવ ઉર્જા પ્રવેશી શકતી નથી અને ખરાબ હવા બહાર જાય છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:40 am IST)