Gujarati News

Gujarati News

News of Wednesday, 20th May 2020

ભાગીદારી પેઢીમાંથી રીટાયર્ડ થતા ભાગીદારોને મળતો લાંબાગાળાનો નફો

સામાન્ય રીતે કોઇપણ ભાગીદારી પેઢીમાંથી ભાગીદાર કે ભાગીદારો રાજીનામુ આપતા હોય કે રીટાયર્ડ થતાં હોય તો ભાગીદારી પેઢી આવા રીટાયર્ડ થતા ભાગીદારોનાં ખાતામાં પડેલ મૂડી, મૂડી ઉપરનું વ્યાજ તથા ભાગે આવતો નફો તેને ચુકવી આપે છે અથવા છુટા થનાર ભાગીદારોના ખાતે અનસિકયોર્ડ ડીપોઝીટ તરીકે રકમ જમા રાખી તેના ઉપર વ્યાજ આપે છે. આ પ્રથા લગભગ બધી ભાગીદારી પેઢીઓ અપનાવે છે.

લગભગ બધા ભાગીદારી - દસ્તાવેજોમાં એવી કલમ હોય છે કે છુટા થવાની ઇચ્છા ધરાવનાર ભાગીદારોએ  છ માસ પહેલા પેઢીને, પોતે છુટા થવાની ઇચ્છા ધરાવે છે તેવી લેખીત નોટીસ આપવાની હોય છે. આવા સમયે પેઢીએ ખરેખર પેઢીના નામે આવેલ તમામ સ્થાવર મિલ્કતોનું રી-વેલ્યુએશન કરવું જોઇએ. તેમજ ગુડવીલની આકારણી કરી, મીલ્કતમાં વધારો કરવો જરૂરી છે અને સરવૈયાની જમા સાઇડમાં ભાગીદારોની મૂડીમાં વધારો કરવો જરૂરી છે. (ગુડવીલની ગણત્રી સામાન્ય રીતે પેઢીના છેલ્લા ત્રણ અથવા પાંચ વર્ષના નેટ નફાની એવરેજને ડબલ કરવાથી ગુડવીલ ગણાય છે.)

અનેક હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર આવા રી-વેલ્યુએશનથી તેમજ ગુડવીલથી જે કાંઇ મિલ્કતમાં વધારો થાય અને ભાગીદારોના ખાતે નફા - નુકસાનના વરાડે જમા થાય છે અને તે આવક નથી પણ લાંબાગાળાનો નફો ગણવો જોઇએ. આવા ચુકાદામાં દર્શાવેલ છે કે,

'કોઇપણ ભાગીદાર કાયમી ધોરણે પેઢીમાંથી છુટો થાય છે અને હવે તેનો પેઢીમાં કોઇપણ લાગ-ભાગ, હક્ક - હિસ્સો, દર-કર કે હીત રહેતું નથી, અને ચાલુ રહેતા ભાગીદારો પેઢી ચાલુ રાખે છે. ડીઝોલ્વ કરતા નથી કે પેઢી બંધ કરતા નથી તેથી છુટા થનારા ભાગીદારોને પેઢીની મીલ્કતમાં જે કાંઇ રી-વેલ્યુશનનો લાભ મળે કે ગુડવીલની રકમ મળે તેને આવક ન ગણી શકાય પણ તેને લાંબાગાળાનો નફો ગણવો જ જોઇએ.'

મિલ્કતના રીવેલ્યુએશન તથા ગુડવીલથી વધતી રકમ આવક નથી

આમ છુટા થનાર ભાગીદારોને રીવેલ્યુએશનથી તથા ગુડવીલનો લાભ મળશે. જ્યારે ચાલુ રહેતા ભાગીદારોને પણ તેમના નફા - નુકસાન મુજબ મૂડીમાં આપોઆપ વધારો થવાથી તેઓને મૂડી ઉપર મળતું ૧૨% વ્યાજ મળશે. જે વ્યાજ પેઢીને વ્યાજ ખર્ચ તરીકે બાદ મળશે પરંતુ આમા નીચે મુજબ શરતોનું પાલન થવું જ જોઇએ.

(૧) પેઢી ડીઝોલ્વ એટલે કે બંધ થવી ન જોઇએ.

(ર)  ચાલુ રહેતા ભાગીદારો પેઢીનો વહીવટ પોતાના દ્વારા અથવા છુટા થનાર ભાગીદારોની જગ્યાએ નવા ભાગીદારો સાથે પેઢી ચાલુ રાખશે.

ઉપરોકત કાયદાને સીધી-સાદી રીતે સમજવા આપણે એક દાખલો લઇએ. જે સમજવા જેવો છે.

ધારોકે A નામની પેઢીમાં A, B, C, D એમ ચાર ભાગીદારો છે. દરેકનો ૨૫% ભાગ નફા-નુકસાનમાં ભાગ છે. આ ભાગીદારી પેઢી ૧૯૯૦ વર્ષથી દરેક ભાગીદારોએ રૂ. ૨ લાખ રોકાણ કરી કુલ આઠ લાખની મૂડીથી શરૂ કરેલી પેઢીએ શરૂઆત કરવા રૂ. ૬ લાખની સ્થાવર મિલ્કત, દુકાન, ગોડાઉન વગેરે પેઢીના નામે ખરીદેલ. ભાગીદારો પોતાની મૂડી સ્થિર રૂ. ૨,૦૦,૦૦૦ રાખી દર વર્ષે વ્યાજ નફો તથા મહેનતાણુ ઉપાડી લેતા હતા. હવે ૨૦૧૮માં બે ભાગીદારોએ પેઢીમાંથી છુટા થવાની નોટીસથી પેઢીને જાણ કરી- કે તેઓ તા. ૩૧-૩-૨૦૧૯થી પેઢીમાંથી છુટા થશે અને પેઢીની મિલ્કતોનું રી-વેલ્યુએશન તથા ગુડવીલની ગણત્રી કરવા જણાવેલ.

પેઢીએ ૧૯૯૦માં ખરીદેલ રૂ. આઠ લાખની સ્થાવર મિલ્કતોનું વેલ્યુએશન રૂ. અઢાર લાખ થયું. આમ, રૂ. ૧૦ લાખનો વધારો થયો. ઉપરાંત ગુડવીલની ગણત્રી કરતા તે રૂ. ૬ લાખ થઇ. આમ, મિલ્કતો રૂ. ૧૦ + રૂ. ૬ = રૂ. ૧૬ /- નો વધારો થયો તેની સામે દરેક ભાગીદારના ખાતે રૂ. ૪ લાખ જમા કરવામાં આવ્યા.

હવે છુટા થનાર ભાગીદારોને મૂળ મૂડી રૂ. ૨ લાખ ઉપરાંત રૂ. ૪ લાખ જમા થયા. ચાલુ વર્ષમાં પેઢીમાંથી આવેલ વ્યાજ, મહેનતાણાની રકમનું તેઓએ ઇન્કમ ટેક્ષ રીર્ટન ભરી, ટેક્ષ ભર્યો અને રૂ. ૪ લાખ છૂટા થતી વખતે મળેલ રકમ દર્શાવેલ.

આમ, પેઢીમાંથી પ્રાપ્ત થયેલ વ્યાજ તથા મહેનતાણુ ને આવક તરીકે ગણાશે. જ્યારે રૂ. ૪ લાખ લાંબાગાળાના નફાની આવક ગણાશે.

: આલેખન :

નીતિન કામદાર

ચાર્ટડ એકાઉન્ટન્ટ, રાજકોટ.

મો. ૯૮૨૫૨ ૧૭૮૪૮

(2:49 pm IST)