Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

કાલે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભુમિ ચોટીલામાં ભારત ગૌરવ સાયકલ યાત્રા

રાજકોટ તા.૨૦ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા ખાતે, ૨૧ જાન્યુઆરી ૨૦૧૮ ને રવિવારે – સવારે ૯.૩૦ વાગે 'ભારત ગૌરવ'સાયકલ યાત્રાનું આયોજન થયું છે. સાયકલ યાત્રાનું પ્રસ્થાન ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક જન્મસ્થળથી તથા પૂર્ણાહૂતિ શ્રી એન. એન. શાહ હાઈસ્કૂલ ખાતે થશે. નવી પેઢીને દેશપ્રેમ, એકતા અને અંખડતા, ભાઈચારો, સમાનતા, સ્વચ્છતા, આરોગ્ય, વ્યસનમુકિતની પ્રેરણા મળે તે આશયથી ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન અને શ્રી ચોટીલા એજયુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટ દ્વારા આ સાયકલ યાત્રાનું પ્રેરક આયોજન થયું છે.  ૬૯માં પ્રજાસત્ત્।ાક દિન અને ઝવેરચંદ મેઘાણીની ૧૨૧મી જન્મજયંતી વર્ષ નિમિત્ત્।ે આનું સવિશેષ મહત્ત્વ છે. પરિભ્રમણ માટે ઝવેરચંદ મેઘાણી સાયકલનો ઉપયોગ પણ કરતા જે ખાસ ઉલ્લેખનીય છે.

પિનાકી મેઘાણી અને તેમના માતા કુસુમબેન મેઘાણી, મેઘાણી-ગીતોના મેધાવી લોકગાયક અભેસિંહ રાઠોડ, ૧૯૮૮ની અરૂણાચલથી ઓખા સુધી ૯૦૦૦ કિ.મી. 'ભારત જોડો' સાયકલ યાત્રાનાં યાત્રીઓ સહિત વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ આ પ્રસંગે ખાસ ઉપસ્થિતિ રહેશે. ઝવેરચંદ મેઘાણી રચિત લોકપ્રિય ગીત 'કસુંબીનો રંગ' બુલંદ કંઠે લલકારીને ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ સાયકલ યાત્રાને પ્રસ્થાન કરાવશે. 'ભારત જોડો'સાયકલ યાત્રાનાં યાત્રીઓનું અભિવાદન પણ આ અવસરે કરવામાં આવશે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નગરજનોને પોતાની સાયકલ લઈને આ પ્રેરક યાત્રામાં શામેલ થવા જાહેર નિમંત્રણ છે. નિમંત્રણ-પત્રિકા અથવા રજિસ્ટ્રેશન જરૂરી નથી. વધુ વિગત માટે પિનાકી મેઘાણી (૯૮૨૫૦ ૨૧૨૭૯), કિરીટસિંહ રહેવર 'મામા'(૯૯૭૮૧ ૭૦૯૩૪), રાજેશ ભાતેલીયા (૯૪૨૭૨ ૨૦૧૭૨)નો સંપર્ક કરી શકાશે.

'ભારત જોડો'સાયકલ યાત્રાનાં સંભારણાં

આજથી ૩૦ વર્ષ પૂર્વે — ૧૯૮૮-૮૯માં અરૂણાચલથી ઓખા સુધી ૯૦૦૦ કિ.મી. 'ભારત જોડો' સાયકલ યાત્રામાં દેશનાં ૮૭ યુવા ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પાંચ મહિનામાં ૧૫ રાજયોમાંથી પસાર થયેલી આ સાયકલ યાત્રામાં ગુજરાતમાંથી આઠ યુવક-યુવતીઓ પણ રાષ્ટ્ર-ભાવનાથી પ્રેરાઈને જોડાયાં હતાં : રાજેશ ભાતેલીયા (રાજકોટ), વિજય ભારતીય (અમદાવાદ), દેવેન્દ્ર ખાચર (સણોસરા-ચોટીલા), મુસ્તુફા કોટવાલ (રાજકોટ), પરીષા પંડ્યા (જામનગર), વંદના ગોરસીયા (જૂનાગઢ, હાલ જામ ખંભાળીયા), નયના પાઠક (જામ ખંભાળીયા, હાલ રાજકોટ), સ્વ. મહેરાઝ મીરઝા (જેતલસર જંકશન).

'ભારત જોડો'યાત્રા દરમિયાન સાયકલ-યાત્રીઓ વહેલી સવારે ૪ વાગે જાગે. નિત્ય-ક્ર્મ પતાવીને પોતપોતાની સાયકલ લઈને સવારે ૬ વાગે તો નીકળી પડે. સૂર્યાસ્ત સુધી આશરે ૮૦-૧૦૦ કિ.મી.નો પંથ કાપે. પહાડી અને દુર્ગમ વિસ્તારમાં તો માંડ ૨૫-૩૦ કિ.મી. જ કાપી શકાય. પહાડ, જંગલ, નદી તેમનાં સંગી. હિંદી, અંગ્રેજી તથા સ્થાનિક ભાષામાં લખેલાં પ્રેરક સંદેશનાં પ્લે-કાર્ડ સાયકલ પર આગળ રાખે. રસ્તાની બન્ને બાજુ સ્વાગતમાં ઊભેલાં ગ્રામજનોનું અભિવાદન ઝીલતાં જાય. સ્થાનિક લોકો સાથે હળે-મળે, તેમની સાથે ગોષ્ઠી કરે તથા તેમની સંસ્કૃતિ, રીત-રીવાજો, કલા, સાહિત્ય, અને જીવન-શૈલી વિશે જાણે. ગ્રામજનો ભાવથી ભોજન કરાવે. તરસ લાગે ત્યારે વચ્ચે આવતાં નદી-ઝરણાંનું પાણી પણ પી લે. રાત્રે ગામમાં પડાવ થાય ત્યારે પણ મેળાવડો જામે. આમ ભરતભરનાં ભિન્ન-ભિન્ન પ્રદેશોનું વિરાટ દર્શનનો લ્હાવો આ સાયકલ-યાત્રીઓને મળ્યો. 'અનેકતામાં એકતા'નું સૂત્ર જાણે સાર્થક થયું હતું. ડો. એસ. એન. સુબ્બારાવજી, સ્વ. બાબા આમટેજી, સ્વ. યદુનાથજી થટ્ટે જેવા અગ્રણી સમાજ-સેવકોની પ્રેરણા અને માર્ગદર્શન આ સાયકલ-યાત્રીઓને ત્યારે પ્રાપ્ત થયું હતું.ગુજરાતના આ સાયકલ-યાત્રીઓનું સરકાર દ્વારા યોગ્ય સન્માન થાય તેવી લોકલાગણી છે.

(12:29 pm IST)