News of Monday, 26th March 2018
મૃત્યુની અંતિમ પળ સુધી ચિત્ત યુવાન રહી શકે છે.
એવું ચિત્ત જ, જીવન તથા મૃત્યુના રહસ્યને જાણી શકવા યોગ્ય છે.
એવા ચિત્તને જ ''ધાર્મિક ચિત્ત'' કહી શકાય.
જયાં વિચાર જાગૃત છે ત્યાં ચિત્ત સદા યુવાન છે. જયાં ચિત્ત યુવાવસ્થામાં છે ત્યાં જીવન સતત પ્રગતીશીલ છે. ચેતનના દ્વાર ખુલ્લાં છે.
જયાં સંદેહને મુકત કરનાર તીવ્રતા નથી ત્યાં સત્યની શોધ કે પ્રાપ્તિ નથી.
જીવન જયારે વિવેકના પ્રકાશમાં ગતિ કરે છે ત્યારે સ્વચ્છંદતા અને અરાજકતા આપોઆપ જ દૂર થાય છે.
તર્કની દુનિયામાં બધું સ્પષ્ટ અને સુવ્યવસ્થિત હોય છે. તર્કની દુનિયા એવી છે જાણે તમારા આંગણામાં ઉભો કરેલો બગીચો-બધું જ સુવ્યવસ્થિત ! અતર્કની દુનિયા એવી છે જાણે જંગલ ત્યાં કંઇ પણ વ્યવસ્થિત નથી બધું ગુંચવાયેલું છ.ે
જે વાત તમને તદ્દન સ્પષ્ટ અને સુવ્યવસ્થિત લાગે, તો સમજી લેજો કે તે મનુષ્ય નિર્મિત છે. તે સત્ય ન હોઇ શકે. સુવ્યવસ્થિતતા અને સ્પષ્ટતા સત્યના અંગ ન હોઇ શકે. જો તમને સ્પષ્ટતા અને વ્યવસ્થાની ઇચ્છા હોય તો પછી સત્યને શૂળી પર ચઢાવી દેવું પડશે. અને જો તમે સત્ય ઇચ્છતા હો તો સત્ય તો રહસ્યપૂર્ય છે, ત્યાં સ્પષ્ટતા કે સુવ્યવસ્થા નથી.
પૂર્ણ સત્ય તો અત્યંત જટિલ, ગુંચવણ ભરેલું છે તેને ઉકેલી ન શકાય. તે તો એવી ગુંચ છે જે કયારેય ઉકેલી ન શકાય. સત્યનું તો હોવું જ રહસ્યપૂર્ણ છે. તેને કયારેય પરિપૂર્ણપણે જાણી ન શકાય. સત્યને કયારેય કોઇ કોટિમાં મૂકી ન શકાય.
એક વર્ગ કહે છે કે પૂર્વજો મરો અને બીજો વર્ગ કહે છે કે, આવનારા બાળકો માટે મરો. તમને કોઇ એમ નથી કહેતું કે તમે સ્વયં માટે જીવો.
હું તમને એ જ વાત કહેવા માગું છું કે તમે સ્વયં, પોતાને માટે જીવો.હું ત્રીજા પ્રકારની વ્યકિત છું. હું કહું છું કે, સુવર્ણયુગ અત્યારે છે. જો અત્યારે નથી તો કયારેય શકય નથી. કારણ કે સંસારમાં સમયનો એક જ આયામ છે. વર્તમાન, હમણા, અત્યારે ! ભૂતકાળ વીતી ચુકયો. ભૂવિષ્યકાળ હજી સંભવ્યો નથી. જે કંઇ સંપદા હાથમાં છે, તે વર્તમાનકાળની છે.
સમયને સંભવવાનો માત્ર એક જ આયામ છે-વર્તમાન ! અતીત છે સ્મૃતિ અને ભવિષ્ય છે. કલ્પના !
હું ઇચ્છુ છું કે તમે આ વાતને સ્પષ્ટતાથી સમજી લો. તમારા સુવર્ણયુગને ન તો ભુતકાળમાં મુકો કે ન તો ભવિષ્યકાળમાં. આ બન્ને સ્થિતિમાં તમે દુઃખી રહેશો અને દુઃખમાં જ મરશો. સુવર્ણયુગ અત્યારે છે હમણાં છે. જો તમને જીવન જીવવાની કલા આવડતી હશે તો અત્યારે જ આનંદ વરસશે.
મારૃં સત્ય અત્યંત વિશાળ છે, તેમાં ઇશુએ જે કહ્યું છે તે એક આયામ છે. અને મહાવીરે કહ્યું છે તે બીજો આયામ છે. તે બન્ને આયામો ભલે પરસ્પર વિપરીત હોય પરંતુ એક જ સત્યના આયામ છે.
જે રીતે તમારો ડાબો અને જમણો હાથ એકબીજાથી વિપરીત છે. જો તમે ઇચ્છો તો તેને એક બીજા સાથે લડાવી પણ શકો. અને જો તમે ઇચ્છો તો ડાબા અને જમણા હાથનો એકજ કાર્યમાં સહયોગ લઇ શકો. તમારા પર નિર્ભર છે.
સત્યના બધાં જ આયામો પોતાની રીતે યોગ્ય છે અને કોઇ પણ એક આયામ પૂર્ણ સત્યનું પ્રતિપાદન કરી ન શકે. અને કોઇપણ એક આયામ પૂર્ણ સત્યનું પ્રતિપાદન કરી ન શકે. અને કોઇ પણ આયામ પૂર્ણ સત્યને સમગ્રપણે અભિવ્યકત કરવાનો દાવો કરી ન શકે- ન તો કુરાન, ન તો ગીતા કે ન તો બાઇબલ ! ન તો હું કે ન તો બીજું કોઇ !
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬