Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

પવિત્ર શ્રાવણ માસ

સત્કર્મ સાથે સાત્વીક જીવનથી પ્રભુકૃપા પ્રાપ્ત થાય

મનનું ચિંતન મહત્વપુર્ણ છે ઋષિએ કહયું છે તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ

સત્કર્મો જ આપણા જીવનની સૌથી મોટી મુડી છે. નીતી મતા અને પ્રમાણીકતાનું તે જ હોય છે તેમ સત્કર્મનું પણ તે જ હોય અને પ્રાર્થનામાં જોડાયેલા બે હાથ કરતા સત્કર્મમાં જોડાયેલ એક જ હાથ વધુ સારો મનાય છે.

જીવનમાં સંતોષ પણ ખુબ જરૂરી છે પરમ કૃપાળુ પરમાત્માએ મને જે કાંઇ આપયું છે તે પુરતું છે જો તૃષ્ણા છુટે તો સંતોષ મળે, શાંતિ અને સુખ મળે.

ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ મન પ્રસન્ન હોય સ્વસ્થ હોય અને ચિંતન સકારાત્મક હોય તો બસ જીવનમાં આનંદ જ છે. મનને ઘડવા માટે કેળવવા માટે સદવિચારોનું ચિંતન જરુરી બને છે. માટે જો ચિંતન શિષ્ટ હોય, શુભ હોય તો વાણી અને કર્મ પણ શુભ હશે અને તેનું પ્રાપ્ત થનારૂ ફળ પણ શુભ જ હશે.

સાદુ સરળ જીવન, ઉચ્ચ વિચારના સિધ્ધાંતએ જીવનમાં અપનાવીએ. સુખ વહેચો અને દુઃખમાં ભાગીદાર બનો. બીજાના દુઃખમાં ભાગ લેવાથી તેમજ તેની પ્રત્યે લાગણી કે સહનાભુતી રાખવાથી માનવી સુખી થાય છે. કારણ કે જયારે દુઃખ આવે છે ત્યારે તે લોકો તેની સહાયતા કરે છે આપણાથી મોટી વ્યકિતને સન્માન અને નાનાને પ્રેમ આપવો જોઇએ કારણ કે સાચુ સુખ સમજણમાં છે.

સર્વે ભવંતુ સુખીનઃ માત્ર હુ જ સુખી બનુ એમ નહી પરંતુ સર્વજન સુખી બને એવી ભાવના આપણે કેળવવી જોઇએ. આ માટે વર્તમાન સુંદર બનાવો. ભુતકાળમાંથી પ્રેરણા લો અને ભાવી માટે સુંદર સ્વપ્નનું નિર્માણ કરીએ.

સંતો મહંતોએ ઉપાય બતાવ્યો છે કે જીવન જીવવા માટે સતનો એટલે કે ઇશ્વરનો આધાર રાખવો. સંપુર્ણ શ્રધધ્ધા સાથે સત્કર્મ કરવુ અને સ્મરણ બળ આગળ વધારવું તેમજ આત્મ નીરીક્ષણ કરવું.

પરમ કૃપાળુ પરમાત્માની પુર્ણ શરણાગતી સ્વીકારવી. પરમાત્માને હદયમાં રાખી પ્રત્યેક કાર્ય, નીતી, નિષ્ઠા અને પ્રમાણીકતાથી કરવાનું ધ્યેય રાખવું આવા સાત્વીક જીવનથી પ્રભુકૃપા પ્રાપ્ત થાય છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:19 am IST)