Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

સંન્યાસની ધારણા જ ભુલાઇ ગઇ છે. લુપ્ત થઇ ગઇ છે. સંન્યાસની વાત માત્ર લોકોને ગભરાવે છે. લોકો સંન્યાસનો વિચાર જ નથી કરતા સંન્યાસ છે. વિલોમ ક્રમ !

અનુલોમ દરમ્યાન લોકો કહે છે.- આ પણ મારું થઇ જાય, તે પણ મારૃં થઇ જાય. વિલોમ દરમ્યાન લોકો કહે છે- ન આ મારૃં છે. ન તે મારૃં છે. કંઇ પણ મારૃં નથી. જીવન સંકોચાવા લાગે છે. શાંત થઇ જાય છે.

અનુલોમ સાથે અશાંતિ સ્વાભાવીક છે. કારણ કે તે ક્રમ દરમ્યાન ખેંચાખેંચી થશે. પ્રતિસ્પર્ધા થશે. કાપાકાપી થશે. યુધ્ધ થશે. વિલોમનો આરંભ થતા જ શાંતિ આપોઆપ સંભવવા લાગશે. વિલોમની પ્રક્રિયા દરમ્યાન વ્યકિત પોતાનામાં સ્થિત થવા લાગશે. પોતાના અંતરમાં સ્થિર થવા લાગશે.

સંસારને હું કહું છું અનુલોમ, સંન્યાસને કહું છું વિલોમ! અને જે વ્યકિતએ આ બન્ને ક્રમને અપનાવ્યા તે પૂર્ણ મનુષ્ય છે. જે વ્યકિત કોઇ એક જ ક્રમને અનુસરે છે. તે પાગલ છે. સાથોસાથ એ વાત પણ યાદ રાખજો કે જોવિસ્તાર ન કર્યો તો સંકોચાશો કઇ રીતે ? જો સંસારને યોગ્ય રીત ન માણ્યો તો સંન્યાસ લેશો કઇ રીતે ?

માટે જ હું કહું છું- સંસારથી ભાગો નહિ.સંસારમાં ઉંડા ઉતરો, સંસારને ફેલાવા દો. પરંતુ તમને જયારે એ વાત સમજાઇ જાય કે હવે ફેલાવવાનું પૂરતું થયું. હવે ફેલાવામાં કોઇ અર્થ ન રહ્યો ત્યારે તમારા મનમાંથી ફેલાવાના ભાવને વિદાય આપી દેજો.

રહેવાનું તો આ સંસારમાં જ છે. જશો કયાં ? જ્યાં જશો ત્યાં સંસાર છે. નવી નવી રીતે સંસાર ફેલાવવા લાગશે. તે વાતનો કોઇ અર્થ નથી રહેતો કે તમે કઇ રીતે સંસાર ફેલાવશો. તમારામાં જયાં સુધી વધુની આકાંક્ષા છેત્યાં સુધી સંસાર ફેલાતો રહેશે.

તમે એકાંતમાં, કોઇ પર્વત પર બેસી જશો તો મન કહેશે કે ધ્યાન વધુ ગહન થાય. સમાધિ હજુ વધુ તીવ્ર થાય, વધુ ત્યાગ સંભવે, વધુ ઉપવાસ થાય. હું વધુ પુણ્યવાન બનું. મન કહેશે કે હજુ ઉંચુ સ્વર્ગ મળે. હજુ વધુ આનંદ મળે. પરંતુ વધુની ઇચ્છા તો કાયમ રહેશે. આ રીતે તો કોઇ ફરક ન પડયો.

જે દિવસે તમને વધુની ઇચ્છાથી કંટાળો આવશે તે દિવસે સંન્યાસ ! કયાંય જવાની જરૂર નથી. વધુની ઇચ્છા પ્રત્યે પરિપૂર્ણપણે સુગ થતા જ સંન્યાસનો જન્મ થાય છ.ે પછી તમે જયાં હો છો ત્યાં જ રહો છો. બધું ચાલ્યા કરશે. સંસાર પણ પોતાની રીતે ચાલશે. પરંતુ તમારા અંતરમાં સંન્યાસ સંભવશે.

જે રીતે સામાન્ય માણસને થાય કે હું વધુ ને વધુ ફેલાતો જાઉ. મારી પાસે ખૂબ ધન હોય. મારી પાસે મોટુ રાજય હોય. મારી પ્રતિષ્ઠાનો ફેલાવો થાય.મને યશ, નામ. કિર્તિ પ્રાપ્ત થતા રહે. આ છે સંસાર ! પછી એક દિવસ દેખાય કે આ બધું તો વ્યર્થ છે. કીર્તિમાં કોઇ સાર નથી ન તો નામ ઉભું કરવામાં કોઇ અર્થ છે કારણ કે નામ વગર હું આવ્યો હતો અને નામ વગર હું ચાલ્યો જઇશે. ધનમાં પણ કોઇ અર્થ નથી. બધું અહીનું અહીં પડયું રહેશેે. મારી સાથે કંઇ જ લઇ જઇ નહિ શકું. મૃત્યુ આવશે ત્યારે હું શું સાથે લઇ જઇ શકીશ ? જેેને તમે મૃત્યુ પછી પણ સાથે લઇ જઇ શકશો તે તમને સંન્યાસ દ્વારા પ્રાપ્ત થશે.

મરતા પહેલા મરી જવાનું નામ છે. સંન્યાસ ! મરે છે તો બધાં પરંતુ ધન્યભાગી છે તેઓ જે મરતા પહેલા અહંકારરૂપે મરી જાય છે. જેઓ એ વાત સમજી જાય છે કે જે મારૂ નથી તેને જ મોત છીનવી લેશે. જે મારૃં છે તેને તો કોઇ છીનવી નહિ શકે.

સંસારનો અર્થ છે- આ પણ જોઇએ અને તે પણ જોઇએ. અને સંન્યાસનો અર્થ છે-આ પણ નહિ, તે પણ નહિ. નેતિ-નેતિ ! મનુષ્ય જયારે છોડવાના આ ભાવમાંઉંડો ઉતરતો જાય છે. ત્યારે ધીરે ધીરે ત્યાં આવી પહોંચે છે., જયાં શાશ્વત અમૃત તેના અંતરમાં બીની જેમ પડયું છે. : જયાંથી બધો વિકાસ સંભવે છે. આ રીતે પોતાના 'સ્વગૃહે' પાછા આવવાનું સંભવે છે.

આ દશા જ મોક્ષ છે. આ દશાનું નામ જ નિર્વાણ છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:49 am IST)