Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ઝવેરચંદ મેઘાણીને ભાવાંજલી અર્પણ

રાજકોટ, તા.૩૧: પોતાની બાલ્યાવસ્થાની લીલાભૂમિ રાજકોટ સાથે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેદ્યાણીનાં અનેક લાગણીસભર સંભારણાં અને સંસ્મરણો છે. બ્રિટિશ કાઠિયાવાડ એજન્સી પોલીસમાં ફોજદાર તરીકે ફરજ બજાવતા નીડર અને નેકદિલ પિતા કાળીદાસ મેદ્યાણીની ૧૮૯૮માં રાજકોટ ખાતે બદલી થતાં, ઝવેરચંદ મેદ્યાણી ૨થી ૮ વર્ષની ઉંમર સુધી, હાલના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ પોલીસ-લાઈનના કવાર્ટરના બે ઓરડાના મકાનમાં રહ્યા હતા. રાજકોટ શહેરના સંનિષ્ઠ અને સાહિત્ય-પ્રેમી સયુકત પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી (આઈપીએસ)એ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને ૧૨૦-વર્ષ પુરાણી આ સ્મૃતિને જીવંત કરી હતી. ઝવેરચંદ મેદ્યાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેદ્યાણી, પીઆઈ બી. એમ. કાતરીયા, પીએસઆઈ એમ. જે. રાઠોડની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.  ઝવેરચંદ મેદ્યાણીનો જન્મ ચોટીલાની પોલીસ-લાઈનમાં થયો હોવાથી ગુજરાત પોલીસ એમનું 'લાઈન-બોય'તરીકે સવિશેષ ગૌરવ અનુભવે છે. વિશ્વભરમાં વસતાં દરેક ગુજરાતી ઝવેરચંદ મેદ્યાણીના પ્રેરણાદાયી જીવન-કવનમાંથી પ્રેરિત થાય છે. સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ તેમ જ આઝાદીની લડતમાં તેમનું અનન્ય અને મહામૂલું પ્રદાન કયારેય વિસરાશે નહીં તેવી ભાવાંજલિ સયુકત પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રીએ અર્પી હતી. મેદ્યાણી-સાહિત્યનાં અભ્યાસુ એવાં સયુકત પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રીએ ૧૯૩૭માં પ્રગટ થયેલ ઝવેરચંદ મેદ્યાણીની પથદર્શક નવલકથા 'સોરઠ તારાં વહેતાં પાણી' માંથી પ્રેરક પ્રસંગોને પણ વાગોળ્યાં હતાં. આ નવલકથામાં શિસ્ત-શૌર્યને વરેલી કાઠિયાવાડ એજન્સી પોલીસના તત્કાલીન વાતાવરણને ઉઠાવ આપવાનો પ્રયાસ ઝવેરચંદ મેઘાણીએ કર્યો હતો. પિતાની નોકરી દરમિયાન કાઠિયાવાડનાં વિકટ સ્થાનો પર પથરાયેલાં 'આઉટ-પોસ્ટ'તરીકે ઓળખાતાં અનેક થાણાંમાં રહ્યે રહ્યે બાળક તરીકે ઝવેરચંદ મેદ્યાણીએ પીધેલા વાતાવરણની ઊંડી છાપ આ કથામાં ઝીલાઈ છે. નાયક નહિ, નાયિકા નહિ, પ્રેમનો ત્રિકોણ નહિ. એવી આ સોરઠી જીવનની કથા છે. કથાનો નાયક આખો જનસમાજ છે. દેશપ્રેમ, એકતા, ભાઈચારો, સમાનતા, સ્વચ્છતા, વ્યસન-મુકિત, ટ્રાફિક-નિયમોનાં પાલનની પણ વિશેષ પ્રેરણા યુવા પેઢીને સયુકત પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રીએ આપી હતી. ફેબ્રુઆરી ૨૦૧૮માં સુરક્ષા સેતુ સોસાયટી – રાજકોટ શહેર પોલીસ દ્વારા પ્રઘુમનનગર પોલીસ સ્ટેશન ખાતે મેઘાણી-તકતી તથા મેદ્યાણી-સાહિત્ય કોર્નરની સ્થાપના થઈ હતી જે ખાસ ઉલ્લેખનીય છે.

ઝવેરચંદ મેદ્યાણી લાગણીભેર નોંધે છેઃ  રાજકોટ મારી બાલ્યાવસ્થાની લીલાભૂમિ છે. રાજકોટ જે મને જેટલું ગમે છે તેટલું બીજે કોઈ ઠેકાણે જવું ગમતું નથી. આવા આકર્ષણનું સબળ કારણ છે ૅં રાજકોટ જાણે મારી જન્મભૂમિ હતી; કેમકે રાજકોટ પૂર્વેનું એક પણ સ્મરણ મારી પાસે છે નહીં. સમજણા જીવનનું પ્રથમ પ્રભાત રાજકોટમાં પડ્યું. બેથી આઠ વર્ષનો રાજકોટમાં થયેલો. શ્રીફળ લઈને સદરની તાલુકા શાળાએ હું પહેલવહેલો ભણવા બેઠો.બ્રિટિશ કાઠિયાવાડ એજન્સી પોલીસમાં ફોજદાર તરીકે ફરજ બજાવતા પિતા કાળીદાસ દેવચંદ મેદ્યાણીની ૧૮૯૮માં રાજકોટ ખાતે બદલી થતાં, ઝવેરચંદ મેદ્યાણી ૨થી ૮ વર્ષની ઉંમર સુધી, હાલના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ પોલીસ-લાઈનના કવાર્ટરના બે ઓરડાના મકાનમાં રહ્યા. દશ માણસનું કુટુંબ પિતાના પંદર રૂપિયાના પગાર પર તે વખતે નભતું.

આલેખન  પિનાકી નાનકભાઈ મેદ્યાણીઃ ઝવેરચંદ મેદ્યાણી સ્મૃતિ સંસ્થાન  (મો.૯૮૨૫૦૨૧૨૭૯)

(4:01 pm IST)