Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

મંગળવારે ઝવેરચંદ મેઘાણીની ૧૨૨મી જન્મજયંતિ : ચોટીલામાં લોકડાયરો

ખ્યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, ધીરૂભાઈ સરવૈયા, પંકજ ભટ્ટ, રાધાબેન વ્યાસ, નીલેશ પંડ્યા અને ઋષભ આહીર મેઘાણી-ગીતોની રમઝટ બોલાવશે : નવી પેઢી આપણાં ગૌરવવંતા સાહિત્ય-લોકસાહિત્ય-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય એ આશયથીગુજરાત રાજય સંગીત નાટક અકાદમી તથા ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા પ્રેરક આયોજન

રાજકોટ તા. ૨૫ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૨મી જન્મજયંતી – ૨૮ ઓગસ્ટ ૨૦૧૮ ને મંગળવારે – સવારે ૯.૩૦ કલાકે — એમની જન્મભૂમિ ચોટીલા (એન. એન. શાહ હાઈસ્કૂલ, મનહર પાર્કની આગળ, જૂની રેલ્વે-લાઈન પાસે) ખાતે 'મેઘાણી વંદના' (કસુંબલ લોકડાયરા)નું ભવ્ય આયોજન થયું છે.

નવી પેઢી આપણાં ગૌરવવંતા સાહિત્ય-લોકસાહિત્ય-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય એ આશયથીગુજરાત રાજય સંગીત નાટક અકાદમી તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક આયોજન કરાયું છે. ચોટીલા એજયુકેશન એન્ડ ચેરીટી ટ્રસ્ટનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે. શાળા-કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શકે તે માટે આ કાર્યક્ર્મ સવારે ૯.૩૦ કલાકે યોજાશે.

ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ, નીલેશ પંડ્યા અને ઋષભ આહીર ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવશે. સુપ્રસિધ્ધ લોકકલાકાર-હાસ્યકાર ધીરૂભાઈ સરવૈયા, પોતાની આગવી શૈલીમાં, ઝવેરચંદ મેઘાણીનાં જીવન-કવન વિશે રસપ્રદ અને માહિતીસભર વાતો કરશે. જાણીતા સંગીતકાર પંકજ ભટ્ટનું સૂરીલું સંગીત નિયોજન છે. કસુંબીનો રંગ, મોર બની થનગાટ કરે, કોઈનો લાડકવાયો, શિવાજીનું હાલરડું, ચારણ-કન્યા, ભેટ્યે ઝૂલે છે તલવાર, ઓતરાદા વાયરા ઊઠો ઊઠો, આષાઢી સાંજનાં અંબર ગાજે જેવી ઝવેરચંદ મેઘાણીની અમર રચનાઓ રજૂ થશે. ચાંદો ઊગ્યો ચોકમાં,  જોડે રહેજો રાજ, દાદા હો દીકરી, કાન તારી મોરલી, સવા બશેરનું મારું દાતરડું, આભમાં ઝીણી ઝબૂકે વીજળી, આવી રૂડી અંજવાળી રાત, માડી હું બાર બાર વરસે આવિયો, ના છડિયાં હથિયાર જેવાં લોકપ્રિય લોકગીતો પણ તેમના સંગ્રહ 'રઢિયાળી રાત 'માંથી રજૂ થશે. જે હજી છાપખાનામાં હતી ત્યારે ઝવેરચંદ મેઘાણી આ દુનિયા છોડી ગયા હતા તે તેમની અંતિમ કૃતિ 'સોરઠી સંતવાણી'માંથી ગંગા સતી,  જેસલ-તોરલની પ્રાચીન અમરવાણી આ પ્રસંગે ખાસ આસ્વાદ-રૂપે રજૂ થશે.

કાર્યક્ર્મને માણવા સહુ રસિકજનોને જાહેર નિમંત્રણ છે. વધુ વિગત માટે પિનાકી મેઘાણી (૯૮૨૫૦૨૧૨૭૯), કિરીટસિંહ રહેવર-મામા (૯૯૭૮૧૭૦૯૩૪)નો સંપર્ક કરી શકાશે. વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓ આ ભાવાંજલિ કાર્યક્ર્મને ઘર બેઠા નિહાળી શકે તે માટે તેનું ઈન્ટરનેટ પર જીવંત પ્રસારણ (વેબકાસ્ટ) www.eevents.tv/meghani પર થશે.     ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ।ઓ વિભાગના ગ્રંથાલય ખાતા દ્વારા ચોટીલા સરકારી તાલુકા પુસ્તકાલય તથા રાજકોટ સરકારી જિલ્લા પુસ્તકાલય ખાતે સમગ્ર 'મેઘાણી-સાહિત્ય'પુસ્તક પ્રદર્શનનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. 

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિને જીવંત રાખવા અને એમનાં જીવન, કાર્ય અને સાહિત્યના પ્રચાર-પ્રસારની વિવિધલક્ષી પ્રવૃત્ત્િ।ઓને વેગ આપવા તથા નવી પેઢીમાં દેશભકિતની ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન થાય તે પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન સવિશેષ પ્રયત્નશીલ અને કાર્યરત છે. 

મહાત્મા ગાંધીએ જેમને 'રાષ્ટ્રીય શાયર'ના ગૌરવપૂર્ણ બિરુદથી નવાજેલા તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યકાર, સ્વાતંત્ર્ય-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણી પોતાને 'પહાડનું બાળક'તરીકે ઓળખાવતા. ઝવેરચંદ મેઘાણીનો જન્મ ૨૮ ઓગસ્ટ ૧૮૯૬ (શ્રાવણ વદ પાંચમ : નાગ પંચમી, વિક્ર્મ સંવત ૧૯૫૨)ના દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના એ વેળાના ગામને છેવાડે આવેલા અને અઘોરવાસ લેખાતા પોલીસ-બેડાના કવાર્ટરમાં થયેલો. બ્રિટિશ કાઠિયાવાડ એજન્સી પોલીસમાં ફોજદાર તરીકે ફરજ બજાવતા પિતા કાળીદાસ દેવચંદ મેઘાણી નીડર અને નેક પુરુષ હતા. પુત્રમાં ઉચ્ચ સંસ્કાર સિંચનાર હતા ધર્મપરાયણ માતા ધોળીમા. પોલીસ-પરિવાર અને પોલીસ-બેડા સાથે ઝવેરચંદ મેઘાણીનાં બાળપણનાં અનેક સંસ્મરણો તથા સ્મૃતિઓ જોડાયેલ છે. ઝવેરચંદ મેઘાણી લાગણીસભર નોંધે છે  :  'આ પોલીસ-બેડાની દુનિયા અનોખી છે. તમે એમાં ભમ્રણ કરી શકશો નહિ. એ માટે તો તમારે એ દુનિયામાં જ જન્મ ધરવો જોઈએ.' દશા શ્રીમાળી જૈન વણિક એવા મેઘાણી-પરિવારના વડવાઓનું મૂળ વતન અમરેલી જિલ્લામાં સાતલ્લી નદીને કાંઠે વસેલું ભાયાણીનું બગસરા.

ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ હસ્તકનું ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળનું આ ઐતિહાસિક મકાન સરકારી તાલુકા પુસ્તકાલયની સામે આવેલું છે. આ મકાનમાં ૨ ખંડ અને પાછળ નાનું ફળિયું છે. ભારતના પ્રધાન મંત્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૦૧૦માં 'સ્વર્ણિમ ગુજરાત'ની ઊજવણી દરમિયાન ૧૧૪મી મેઘાણી-જયંતીએ સહુ પ્રથમ વખત જન્મસ્થળને જાહેર જનતા માટે ખુલ્લું મૂકાયું હતું. પિનાકી મેઘાણી દ્વારા અહિ, સ્વખર્ચે, ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્યને નિરૂપતું રસપ્રદ સચિત્ર પ્રદર્શન કાયમી રીતે મૂકાયું છે.

લોકલાગણીને માન આપીને ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાલમાં જ આ ઐતિહાસિક ઈમારતનો જીરર્ણોધ્ધાર કરવામાં આવ્યો છે. સ્વતંત્ર દિનની પૂર્વ-સંધ્યાએ ગુજરાતના સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી અહિ લાગણીથી પ્રેરાઈને પધાર્યા હતા. ઐતિહાસિક જન્મસ્થળ 'સ્મારક-સંકુલ'તરીકે વિકાસ પામશે તેવી લાગણી પણ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ વ્યકત કરી હતી.

:: આલેખન ::

પિનાકી  નાનકભાઇ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯

(3:25 pm IST)