Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

મહાશિવરાત્રી

ભગવાન મહાકાળ ભવનાથ સ્વરૂપે ગીરનાર તળેટીમાં બીરાજયા

સત, રજ અને તમથી જગતની ઉત્પતિ થઇ છે પુરાણોએ આ ત્રિગુણને દેવાધિદેવની કલ્પનામાં આરાધ્યો છે સત એટલે બ્રહ્મા, રજ એટલે વિષ્ણુ અને તપ એટલે મહેશ.

એક સમયની કથા છે ત્રિગુણ દેશોની ઉપસ્થિતિવાળી દેવસભા મળી હતી આ સભામાં જગતની ઉત્પતિ અને લય વિશે ચર્ચા ચાલતી હતી.

આ સભામાં જગત ઉત્પતિના જન્મદાતા બ્રહ્માજીએ પોતાનુ વડપણ સ્થાપિત કરવા પ્રયાસ કર્યો પોતાની ઇચ્છાથી જગત ઉત્પન્ન થાય છે તેવો દેવોની સભામાં હુંકાર કર્યો.

બ્રહ્માના હુંકારથી સ્મશાનનો જોગંદર ક્રોધથી ઉકળી ઉઠયો જગતના જન્મદાતાનું અભિમાન ઓગાળવા માટે તે આંખના પલકારામાં ઉત્પત્તિનો લય કરી નાખવા ઉગ્ર બન્યા આમ બંને દેવો વચ્ચે ઉગ્ર વાદવિવાદ વધી પડયો.

દેવોની સભામાં સન્નાટો પ્રસરી ગયો, વાદ વિવાદ ઉગ્ર સ્વરૂપ પકડે અને તેનો અંત જ ન આવે તો જગત ઉત્પતિ અને લયની પરંપરામાં જીવ બીચારા જીવન મૃત્યુ વચ્ચે ઝોલા ખાતા રહેશે.

એમ દેવસભાના વિચારશીલ દેવોને લાગ્યું આ વિવાદનો અંત આવે તેમજ શાંતિ સ્થપાય તે માટે બંને દેવાધિદેવોને શાંત પાડવાની જરૂર હતી પરંતુ અહંતાવાળા બ્રહ્માજી અને મહાક્રોધી મહાદેવને કોણ સમજાવે?

બધા દેવોની મુંઝવણ પારખીને નારદજીએ ભગવાનને પ્રાર્થના કરી  હે! શાંત સ્વરૂપ! હે લક્ષ્મીપતિ! દેવસભાના દેવોએ મને આપની પાસે મોકલ્યો છે. ઉત્પતિ અને સર્જન અને સંહારના સ્વામીએ એક બીજાની મહાનતા માટે ઉગ્ર વાદવિવાદે ચડયા છે તેઓ ક્રોધગ્રસ્ત બને તે પહેલા આપ એમને શાંત કરો.

હે નાથ, જો એમાં મોડુ થશે તો ત્રિમુર્તિએ સર્જેલા જગતના જીવો ભૂચર, જળચર અને માનવ સમુદાય, અનંતકાળ સુધી દુઃખ અને આપતિના મહાદાવાનળમાં ભસ્મિભૂત થતાં રહેશે હે! કલ્યાણકારી દયાસાગર મહાવિનાશમાંથી વિશ્વને ઉગારી મહેરબાની કરી દેવોની પ્રાર્થના સ્વીકારો.

નારદજીની પ્રાર્થના સાંભળી ભગવાન મંદ મંદ હસ્યા આરૂઢ થયેલા સિંહાસનનો ત્યાગ કરી બ્રહ્મા અને મહેશ પાસે પધાર્યા.

ભગવાન વિષ્ણુનું આગમન થતાં બંને દેવોનો વાદવિવાદ અટકયો.

ભગવાન વિષ્ણુ પ્રથમ બ્રહ્માજીને શાંત પાડતા કહેવા લાગ્યા, હે દેવ, આપ કેમ ભૂલી જાઓ છો કે જગતનો જયારે લય થાય છે ત્યારે આપનો અને મારો પણ લય થાય છે એ સમયે મૃત્યુંજય એવા મહેશ્વર જ ઉદધિમાં શયન કરતાં હોય છે તેવા આજન્મા મહાદેવ પ્રથમ મારી ઉત્પતિ કરે અને હું તમારી ઉત્પતિ કરૂ છું અને પછી જ આપ જગતની ઉત્પતિ કરો છો માટે આપને આ વિવાદ શોભે નહી જગતની ઉત્પતિ કરવાનંુ કામ આપને અને તેની સંભાળ રાખવાનું કાર્ય મને આ મહાદેવે જ સોંપ્યું છે માટે વાદ વિવાદ તજી મહેશ્વરને ચરણે જાઓ.

ભગવાન વિષ્ણુની ધીરગંભીર વાણી સાંભળી બ્રહ્માજીને પોતાની ભૂલ સમજાઇ તેથી તેઓ તુરત પીનાક પાણીના ચરણોમાં નમી પડયા.

મહાક્રોધી છતાં એટલાં જ ભોળા હૃદયના ભગવાન શંકરે ચરણમાં પડેલા બ્રહ્માજીને ઉભા કરી હેતપૂર્વક છાતી સરખા ચાંપી ઇચ્છા હોય તે માંગવા કહ્યું.

નમ્રતાપૂર્વક બ્રહ્માજી બોલ્યા હે જગતનિયંતા આપની ઇચ્છાથી જ મેં આ સચરાચર જગત ઉત્પન્ન કર્યું છે તેથી આપ ભવનાથ સ્વરૂપે પ્રગટ થાઓ તથાસ્તુ કહી ભગવાન શંકરે વચન આપ્યું.

બંને મહાદેવો વચ્ચે સુમેળ સધાતા બધા દેવો પ્રસન્ન થતાં વિખરાયા.

બ્રહ્માજી મેરૂ પર્વત પર તપ કરવા મંડયા આપેલા વરદાનનું પાલન કરવા મહાદેવે કૈલાસમાં નહી જતાં સીધુ પૃથ્વી તરફ પ્રયાણ કર્યું.

ભગવાન શંકર પૃથ્વીનું પરિભ્રમણ કરતાં કરતા સૌરાષ્ટ્રની તિર્થભૂમિમાં પધાર્યા આ દેવાભૂમિને જોતાં જોતા ભોળાનાથ રેવતાચળ પર્વત નજીક આવ્યા રેવતાચળની અલોૈકિક શોભા, વનશ્રી, શાંત અને પવિત્ર વાતાવરણે ભવસાગર તારવા પૃથ્વી પર પધારેલ દેવાધિદેવને અહીં જ નિવાસ કરવાની ઇચ્છા થઇ અને ત્યાં જ એ જોગીંદર આસન જમાવી તપ કરવા બેસી ગયા.

ભોળાનાથ જતાં તેમની ઉપસ્થિતિ વગર કેૈલાસ અને સ્વર્ગ સૂનકાર બની ગયા. જોગંદરના ઓચીંતા પ્રસ્થાને મહાદેવી અને દેવગણ ચિંતામાં ડુબી ગયા ભગવાન વિષ્ણુ સહિત સમગ્ર દેવગણ મહેશ્વરની શોધમાં નીકળ્યા.

મહાદેવ શંકરને શોધતાં શોધતા દેવતાઓ પૃથ્વીલોકના રેવતાચળ પર્વત પાસે આવ્યા આવતા જતાં જોગીઓમાં મહાદેવને શોધવા મહાદેવી રેવતાચળ પર બેસી ગયા.

ભોળાનાથને પકડી પાડવા માટે ગીરનારના રસ્તા પર દામોદર સ્વરૂપે ભગવાન વિષ્ણુ બીરાજયા બ્રહ્માજીએ કુમુદ પર્વત પર આસન જમાવ્યું અને દેવો ગીરનાર ફરતા જુદા જુદા સ્થળોએ ગોઠવાઇ ગયા.

 આમ ચારે તરફ ભગવાન શંકરને શોધવા માટે ગીરનાર ફરતા ચારે તરફ દેવો બીરાજયા છતાં તેઓ મળ્યા નહી તેથી દેવો ભોળાનાથને પ્રાર્થના કરવા લાગ્યા.

દેવોની પ્રાર્થનાથી પ્રસન્ન થઇને સ્વયંભૂ 'ભવનાથ' રૂપે પ્રગટ થયા.

બધા દેવોએ ભગવાન મહાકાલને કૈલાસમાં પધારવા વિનંતી કરી દેવોની વિનંતી સાંભળી ભગવાને કહ્યું હે! દેવો! તમે કેમ ભૂલી જાઓ છો કે દેવસભામાં મેં બ્રહ્માજીને વરદાન આપ્યું છે તેથી જગત જળચર અને ભૂચરના કલ્યાણ માટે પૃથ્વીમાં ભવનાથ સ્વરૂપે બીરાજીશ.

રેવતાચળ પર્વત એ તિર્થસ્થાનોમાં પવિત્ર છે. તેમાં એ મહાદેવી, બ્રહ્માજી, ભગવાન વિષ્ણુ અને આપ સોૈ દેવોએ મારી શોધ માટે જુદા જુદા સ્વરૂપો ધારણ કરીને જે જે સ્થળે વાસ કર્યો છે તે પવિત્ર સ્થળનું મહાત્મય રહેશે.ર્ી

જે જીવ આ સ્થળના દર્શન કરશે તેને જગતની ઘટમાળમાં ફરી ફેરો નહી થાય તેવા જીવોનો મારા કૈલાસમાં વાસ થશે. પ્રસન્નચિંતે ભગવાન બોલી ઉઠયા.

આ પછી ભગવાન મહાકાળ ભવનાથ સ્વરૂપે ગીરનારની તળેટીમાં બિરાજયા અને દેવો પણ અંશરૂપે ગીરનારમાં જુદા જુદા સ્થળોએ બીરાજયા.

ત્યારથી ગીરનારની તળેટીમાં ભવનાથ સ્વરૂપે બીરાજેલા દેવાધિદેવ અને દામોદર રૂપે બીરાજેલાં લક્ષ્મીપતિએ સૌરાષ્ટ્રની ભૂમિ પવિત્ર કરી.

આથી મહાશિવરાત્રીના પવિત્ર દિને જે જીવ શ્રધ્ધાપૂર્વક મૃગીકુંડ અને દામોદર કુંડમાં સ્નાન કરી કૈલાસપતિ શ્રી ભવનાથ મહાદેવના દર્શન કરે છે તે ભવ બંધનમાંથી મુકત થાય છે.

ભર્વન્યા સહ ભુતેષુ

ભવચ્છેદક મો ભવઃ

ભવે ભવચળા પાહી

ગૃહણાર્ધ્યે નમો સ્તુતે!!

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:48 am IST)